શું ઇથેનોલથી ગાડીનું એન્જિન ખરાબ થઈ જશે? E20 પેટ્રોલના ફાયદા કે નુકસાન? સરકારે આપ્યો દરેક સવાલનો જવાબ
સરકારના મતે, E20 એ કોઈ નવો પ્રયોગ નથી. અમેરિકા, બ્રાઝિલ, કેનેડા, જાપાન અને ઘણા યુરોપિયન દેશોમાં વર્ષોથી પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવામાં આવે છે. ભારત પણ આ દિશામાં આગળ વધી રહ્યું છે.

દેશભરમાં E20 પેટ્રોલને લઈને સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના દાવાઓ વાયરલ થઈ રહ્યા છે. ક્યાંક કહેવામાં આવે છે કે, તેનાથી એન્જિન ખરાબ થઈ જશે, તો ક્યાંક માઇલેજ ઘટવાની વાત થાય છે. કેટલાક વિડિયોમાં તો પેટ્રોલ ટાંકી પર ચીંટીઓ અને મધમાખીઓ ભેગી થતી હોવાનું પણ બતાવવામાં આવે છે. હવે આ તમામ દાવાઓ અંગે પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે.
સરકારનું કહેવું છે કે, E20 અંગે ફેલાવવામાં આવતા ઘણા દાવાઓ વૈજ્ઞાનિક તથ્યો પર આધારિત નથી અને લોકોમાં ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સરકારના જણાવ્યા મુજબ E20 કોઈ નવો પ્રયોગ નથી. અમેરિકા, બ્રાઝિલ, કેનેડા, જાપાન અને અનેક યુરોપીય દેશોમાં વર્ષોથી પેટ્રોલમાં ઇથેનોલ ભેળવીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. ભારત પણ આ દિશામાં આગળ વધી રહ્યું છે અને ડિસેમ્બર 2025 સુધીમાં 20% ઇથેનોલ બ્લેન્ડિંગનું લક્ષ્ય હાંસલ કરી ચૂક્યું છે.
એન્જિન ખરાબ થવાના દાવાઓ પર સરકારનો જવાબ
સરકારનું કહેવું છે કે, ARAI, IOCL અને SIAM સહિતની અનેક સંસ્થાઓએ E20 પર વ્યાપક પરીક્ષણો કર્યા છે. કારોને 40,000 કિલોમીટર અને દ્વિચક્રી વાહનોને 20,000 કિલોમીટર સુધી ચલાવીને તપાસવામાં આવ્યા હતા. આ પરીક્ષણોમાં એન્જિન, સ્ટાર્ટિંગ, ડ્રાઇવિંગ અને મોટાભાગના પાર્ટ્સમાં કોઈ ગંભીર સમસ્યા જોવા મળી નહોતી. જોકે, કેટલીક જૂની ગાડીઓમાં રબરના કેટલાક ભાગો થોડા વહેલા બદલવા પડે તેવી શક્યતા છે.
શું ગાડીઓનું માઇલેજ ઘટે છે?
સરકાર સ્વીકારે છે કે, માઇલેજ માત્ર ઇંધણ પર આધારિત નથી. ડ્રાઇવિંગ સ્ટાઇલ, ટાયરનું પ્રેશર, સર્વિસિંગ અને ટ્રાફિક જેવી પરિસ્થિતિઓ પણ અસર કરે છે. મંત્રાલયનો દાવો છે કે E20ના કારણે માઇલેજમાં મોટો ઘટાડો થતો નથી. તેના બદલે E20 વધુ સારી એક્સેલરેશન અને ઓછા કાર્બન ઉત્સર્જનમાં મદદરૂપ બને છે.
ચીંટીઓ અને મધમાખીઓ કેમ આવતી નથી?
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અંગે BPCLએ જણાવ્યું છે કે, ફ્યુઅલ-ગ્રેડ ઇથેનોલમાં કોઈ ખાંડ (શુગર) હોતી નથી. ઉપરાંત તેમાં એવા તત્વો ઉમેરવામાં આવે છે જે જીવાતોને દૂર રાખે છે. તેથી E20 પેટ્રોલને કારણે ચીંટીઓ કે મધમાખીઓ પેટ્રોલ ટાંકી પર ભેગી થાય છે એવો દાવો વૈજ્ઞાનિક રીતે સાચો નથી.
સરકારે ગણાવેલા ફાયદા
સરકારના જણાવ્યા મુજબ, 2014-15થી મે 2026 સુધીના ઇથેનોલ બ્લેન્ડિંગ કાર્યક્રમથી:
₹1.90 લાખ કરોડથી વધુની વિદેશી ચલણની બચત થઈ.
ખેડૂતોને ₹1.60 લાખ કરોડથી વધુની ચૂકવણી કરવામાં આવી.
અંદાજે 930 લાખ મેટ્રિક ટન CO₂ ઉત્સર્જનમાં ઘટાડો થયો.
310 લાખ મેટ્રિક ટન કાચા તેલની આયાતની જરૂરિયાત ઘટી.
E20 પેટ્રોલ અંગે સરકારે પહેલીવાર સ્વીકાર્યું: માઇલેજ થોડું ઘટી શકે
E20 પેટ્રોલને લઈને લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા વચ્ચે સરકારે પહેલીવાર સ્વીકાર્યું છે કે, તેનાથી વાહનોની માઇલેજમાં થોડો ઘટાડો થઈ શકે છે.
જોકે સરકારનું કહેવું છે કે, માઇલેજ માત્ર ઇંધણથી નક્કી થતું નથી. ડ્રાઇવિંગ સ્ટાઇલ, ટ્રાફિક, રસ્તાની સ્થિતિ અને વાહનની જાળવણી જેવા અનેક પરિબળો પણ તેમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
પેટ્રોલિયમ મંત્રી Hardeep Singh Puriએ આ બાબતો પ્રેસ કોન્ફરન્સમાં જણાવી હતી.
માઇલેજ અંગે સરકાર શું કહે છે?
સરકારનું કહેવું છે કે, E20 પેટ્રોલના ઉપયોગથી માઇલેજમાં હળવો ઘટાડો થઈ શકે છે, પરંતુ તેના બદલામાં કેટલાક ટેકનિકલ લાભ પણ મળે છે.
સરકાર અનુસાર ઇથેનોલના કારણે ઇંધણની ઓક્ટેન રેટિંગ વધે છે, જેના પરિણામે એન્જિનમાં નોકિંગ ઓછી થાય છે અને કેટલીક પરિસ્થિતિઓમાં વાહનનો પિકઅપ વધુ સારો મળી શકે છે.
રેસિંગ કારનું ઉદાહરણ – શું સરખામણી યોગ્ય છે?
E20ના સમર્થનમાં સરકારે જણાવ્યું કે રેસિંગ કારોમાં પણ ઇથેનોલનો ઉપયોગ થાય છે. જોકે ટેકનિકલ નિષ્ણાતો આ સરખામણીને સંપૂર્ણપણે યોગ્ય માનતા નથી.
રેસિંગ કારોમાં વપરાતું ઇંધણ સામાન્ય E20 પેટ્રોલથી ઘણું અલગ હોય છે. ત્યાં ઘણીવાર વધુ ઇથેનોલ મિશ્રણવાળા ઇંધણનો ઉપયોગ થાય છે અને એન્જિન પણ તે મુજબ ડિઝાઇન કરવામાં આવે છે.
બીજી તરફ સામાન્ય લોકોની ગાડીઓ રોજિંદા ઉપયોગ માટે બનાવવામાં આવે છે. તેથી રેસિંગ કાર અને સામાન્ય રોડ પર ચાલતી ગાડીના પ્રર્ફોમની સીધી સરખામણી કરવી યોગ્ય માનવામાં આવતી નથી.
આગળ શું?
સરકારે સ્પષ્ટ કર્યું છે કે, E20 વાપરતી ગાડીઓના ઇન્શ્યોરન્સ અંગે કોઈ સમસ્યા નથી. સાથે જ સરકારે જણાવ્યું છે કે ભવિષ્યમાં જો ઇથેનોલ મિશ્રણને E25 સુધી વધારવાનો નિર્ણય લેવામાં આવશે, તો તે પહેલાં વ્યાપક ટેકનિકલ પરીક્ષણો કરવામાં આવશે અને ઓટોમોબાઇલ ઉદ્યોગ સહિત તમામ સંબંધિત પક્ષો સાથે ચર્ચા કરવામાં આવશે.
સરકારે ભલે E20ને સુરક્ષિત અને વૈજ્ઞાનિક પરીક્ષણોથી પ્રમાણિત ગણાવ્યું હોય, છતાં પાણીના વપરાશ, કૃષિ પર અસર, કાચા માલ (ફીડસ્ટોક) અને પર્યાવરણ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા હજુ પણ ચાલુ છે. તેથી ભવિષ્યમાં E20ના વાસ્તવિક પ્રભાવ પર સતત દેખરેખ અને સ્વતંત્ર અભ્યાસો મહત્વપૂર્ણ રહેશે.






















