રાજકોટમાં 'ઓપરેશન જંગલેશ્વર' બીજા દિવસે યથાવત, આજે 300 જેટલા ગેરકાયદે મકાન તોડી પડાશે
રાજકોટનો જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશનનો બીજો દિવસ છે. આજે બપોરે 3 વાગ્યે સુધીમાં ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરાશે

રાજકોટનો જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશનનો બીજો દિવસ છે. આજે બપોરે 3 વાગ્યે સુધીમાં ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરાશે. સોમવારે 12 કલાકમાં 1119 દબાણગ્રસ્ત મકાન તોડી પડાયા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે. આવતીકાલ સુધીમાં તમામ કાટમાળ પણ ઉપાડી લેવાશે. પહેલાં દિવસે 1 હજાર, 119 ગેરકાયદે મિલકતો તોડી પડાઈ હતા. બાકીની 300 મિલકતો આજે બપોરના 3 વાગ્યા સુધીમાં તોડી દેવાશે.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરના અનુસાર, TP રોડ ખુલ્લો કર્યા બાદ તાત્કાલિક નવો રોડ બનાવવામાં આવશે. દબાણો દૂર થવાથી ચોમાસામાં આજી નદી કાંઠાના વિસ્તારમાં પાણીનો ભરાવો નહીં થાય. જંગલેશ્વરના અસરગ્રસ્તો માટે રાહતની વાત એ કે નવા બનતા 3 હજાર આવાસમાં તેમને પ્રાથમિકતા અપાશે. તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બોલ્યા કે જંગલેશ્વર વિસ્તાર ગુનેગારોનો અડ્ડો બની ગયો હતો. હત્યા, મારામારી, બળાત્કારના અનેક આરોપી જંગલેશ્વરમાંથી ઝડપાયા હતા.
2500થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળોને પણ તૈનાત
આજી નદીના કિનારે ઉપરાંત ટી.પી રોડ ખુલ્લો કરવા માટે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કુલ 87 હજાર ચોરસ મીટરમાં કરવામાં આવેલા દબાણોને તોડી પાડવાની પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. અલગ અલગ સાત ઝોનમાં વહેંચીને અધિકારીઓ, તકનીકી સ્ટાફ, સુપરવાઈઝર અને ફિલ્ડ કર્મચારીઓની હાજરીમાં આ મેગા ડિમોલિશનની કામગીરી કવામાં આવી રહી છે. સુરક્ષાના ભાગરૂપે 2500થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં એક હજાર 26 મકાનો લોકોએ જાતે જ ખાલી કરી દીધા છે. 25 જેટલા ડ્રોન કેમેરાથી મેગા ડિમોલિશનની કામગીરી પર સતત નજર રાખવામાં આવી રહી છે. મેગા ડિમોલિશનને લઈને મહાનગરપાલિકાએ વિશેષ કંન્ટ્રોલરૂમ પણ શરૂ કર્યો છે. જ્યાંથી મહાનગરપાલિકા કમિશનર તુષાર સુમેરા સમગ્ર કામગીરીનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. દબાણો હટાવવા માટે 64થી વધુ જેસીબી, 90 ટ્રેક્ટર, 7 હિટાચી મશીન, 50 બ્રેકર, 42 ગેસ કટર, 14 ડમ્પર, 260થી વધુ મશીન અને એક હજાર 450 જેટલા શ્રમિકોની મદદ લેવામાં આવી રહી છે. બહુમાળી ઈમારતોને પણ ધરાશાયી કરવામાં આવી રહી છે. સરકારી જગ્યામાં અંદાજિત 400થી 500 વારમાં ત્રણ માળના કારખાનાને પણ તોડી પાડવામાં આવ્યું છે. એટલુ જ નહીં જંગલેશ્વર વિસ્તારમાં રહેતા મુરઘા ગેંગના સાગરિતોના મકાનોને પણ જમીનદોસ્ત કરવામાં આવ્યા છે.
આજી નદી વિસ્તારમાં દબાણો દૂર થતાં ચોમાસામાં પાણીના પ્રવાહને નીકળવામાં અવરોધ નહી થાય. પાણી ભરાવવાની સમસ્યામાંથી મુક્તિ મળશે. ડીમોલેશન રોકવા માટે કુલ 91 પિટિશન દાખલ કરવામાં આવી હતી. નવા બનતા 3000 આવાસમાં પ્રથમ પ્રાયોરિટી જંગલેશ્વરના અસરગ્રસ્તોને આપવામાં આવશે. દબાણો દૂર કરી 87000 ચોરસ મીટર સરકારી જગ્યા દૂર કરવામાં આવશે. રાજકોટ ડીસીપી ક્રાઈમ દ્વારા બંદોબસ્તને લઈને માહિતી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં એક પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી. શાંતિપૂર્ણ માહોલમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ડીમોલેશન કરવામાં આવ્યું હતું.























