Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
Rajkot News: ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયેલા લોકો માટે રાજકોટ જિલ્લા વહીવટી પ્રશાસને કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે.

Rajkot News: ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયેલા લોકો માટે રાજકોટ જિલ્લા વહીવટી પ્રશાસને કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. કલેક્ટર કચેરી ખાતે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જેના હેલ્પલાઈન નંબર 0281 2471573, 0281 2410100 પણ જાહેર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી 15 જેટલા પરિવારોએ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો. મૂળ રાજકોટના અનેક લોકો દુબઈમાં કામ કે ફરવા ગયા હોય તેમના પરિવારજનોએ સંપર્ક કર્યો હતો.
મોટા ભાગના લોકો દુબઈમાં કામ કરતા હોય અને ફરવા માટે ગયા હોય તેવા પરિવારજનોએ સંપર્ક કર્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ક્યુ.આર કોડ જાહેર કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઈરાન તેમજ દુબઈમાં ફસાયેલા લોકો માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. સ્ટેટ દ્વારા મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ ઓફ ઇન્ડિયામાં મોકલવામાં આવી છે. QR કોડ અને વેબસાઇટ www.meaers.com/request પર પોતાની માહિતી મુકી મદદ માંગી શકે છે. રાજકોટ મામલતદાર મીરાબેન જાનીએ જાણકારી આપી હતી. રાજકોટ ડિઝાસ્ટર મામલતદાર મીરાબેન જાનીએ જણાવ્યું હતું કે, આ કંટ્રોલ રૂમ 24 કલાક ચાલુ રહેશે. જ્યાં ફોન કરતા લોકોની માહિતી સ્ટેટ કંટ્રોલ રૂમને કરવામાં આવે છે અને તે માહિતી સ્ટેટ દ્વારા મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ ઓફ ઇન્ડિયામાં મોકલવામાં આવે છે.
ઈરાનમાં 742 લોકોના મોત
મિડલ ઈસ્ટમાં ઈરાન સાથેનું યુદ્ધ આજે ચોથા દિવસમાં પ્રવેશ્યું છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈની હત્યા બાદ 28 ફેબ્રુઆરી, 2026ના રોજ અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હુમલાઓથી તેની શરૂઆત થઈ હતી. ત્યારથી પરિસ્થિતિ ઝડપથી બગડી છે. ઈરાને બદલો લેવા માટે હુમલાઓ શરૂ કર્યા, ખાડી દેશોમાં અમેરિકન ઠેકાણાઓ અને દૂતાવાસો પર ડ્રોન અને મિસાઈલ છોડ્યા. ઈઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહના લક્ષ્યો પર હુમલાઓ વધારી દીધા છે. ઈરાનમાં મૃત્યુઆંક હવે 742ને વટાવી ગયો છે અને વૈશ્વિક સ્તરે તેલના ભાવ પ્રતિ બેરલ 150 ડોલરથી વધુ થઈ ગયા છે.
ઈઝરાયલી વાયુસેના ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ પર સતત હુમલો કરી રહી છે. ઈઝરાયલી લશ્કરી પ્રવક્તા અવિચાય અદરઈએ જણાવ્યું હતું કે ઈઝરાયલી વિમાનોએ ઈરાની રડાર સિસ્ટમ અને મિસાઈલ લોન્ચરને નિશાન બનાવ્યા છે, જેમાં આ ડિફેન્સ સિસ્ટમનું સંચાલન કરતા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. ઈઝરાયલે ઈરાની બેલિસ્ટિક મિસાઈલ સ્થળો પર હુમલો કરવાનો પણ દાવો કર્યો છે. અત્યાર સુધીમાં, ઈરાનમાં 742 લોકો માર્યા ગયા છે અને 750 થી વધુ ઘાયલ થયા છે.























