યુટ્યુબર બન્ની ગજેરા સામે જેતપુરમાં બે ગંભીર ફરિયાદ: SP અને જયરાજસિંહ પર પિયુષ રાદડિયાનો ષડયંત્રનો આરોપ
પિયુષ રાદડિયાનું મદદગારીમાં નામ ખૂલ્યું, રાજકોટ SP અને જયરાજસિંહ જાડેજા પર ષડયંત્રનો આરોપ; પીડિત પરિવારે પોલીસ ટોર્ચરનો દાવો કર્યો.

- જેતપુર તાલુકા પોલીસમાં યુટ્યુબર બન્ની ગજેરા સામે છેતરપિંડી અને ₹૧૧ લાખની ખંડણી માંગવા બદલ બે ફરિયાદો નોંધાઈ છે.
- ₹૧૧ લાખની ખંડણીની ફરિયાદમાં બન્ની ગજેરા સાથે પિયુષ રાદડિયાનું નામ પણ મદદગારી તરીકે ખુલ્યું છે.
- પિયુષ રાદડિયાએ પોતાને ખોટી રીતે આરોપી બનાવવામાં આવી રહ્યા હોવાનો અને રાજકોટ SP તથા જયરાજસિંહ જાડેજા પર ષડયંત્રનો આરોપ લગાવ્યો છે.
- રાદડિયાએ ગોંડલ પોલીસે થિનરવાળું પાણી પીવડાવીને ટોર્ચર કર્યા હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે.
- વકીલ જીગીસા પટેલના જણાવ્યા મુજબ, પોલીસે નિવેદન લેવા માટે પિયુષ રાદડિયાને ફરી બોલાવ્યા છે અને તેઓ પોલીસ સામે કાયદેસરની લડત લડવાની તૈયારીમાં છે.
Bunny Gajera cheating case: યુટ્યુબર બન્ની ગજેરા સામે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં બે ગંભીર ફરિયાદો નોંધાઈ છે, જેમાં એક છેતરપિંડીની અને બીજી ₹૧૧ લાખની ખંડણી માંગવાની ધમકીની ફરિયાદનો સમાવેશ થાય છે. આ પ્રકરણમાં પિયુષ રાદડિયા નામના વ્યક્તિનું નામ પણ મદદગારીમાં ખુલતા મામલો ગરમાયો છે.
સોશિયલ મીડિયા પર જાણીતા યુટ્યુબર બન્ની ગજેરા ફરી વિવાદમાં સપડાયા છે. જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ બે અલગ અલગ ફરિયાદો નોંધાઈ છે, જેમાંથી એક છેતરપિંડી સંબંધિત છે અને બીજી ચરખડી ગામના એક વ્યક્તિ પાસેથી વીડિયો વાયરલ ન કરવાના બદલામાં ₹૧૧ લાખની માંગણી અને ધમકી આપવા અંગેની છે.
ખંડણી પ્રકરણમાં પિયુષ રાદડિયાનું નામ
₹૧૧ લાખની ખંડણી માંગવાની ફરિયાદમાં બન્ની ગજેરા સાથે પિયુષ રાદડિયા નું નામ પણ મદદગારી તરીકે ખુલ્યું છે. આ આરોપના પગલે પિયુષ રાદડિયા, તેમના વકીલ જીગીસા પટેલ સાથે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા.
પિયુષ રાદડિયાના ગંભીર આરોપો
પોલીસ સ્ટેશનમાં હાજર થયા બાદ પિયુષ રાદડિયાએ પોતાને ખોટી રીતે આરોપી બનાવવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા પોલીસ વડા અને જયરાજસિંહ જાડેજાના કહેવાથી ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. રાદડિયાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે ગોંડલ પોલીસે તેમને થિનરવાળું પાણી પીવડાવીને ટોર્ચર કર્યા છે.
પોલીસ કાર્યવાહી અને પીડિત પરિવારનો દાવો
પિયુષ રાદડિયાના વકીલ જીગીસા પટેલે જણાવ્યું હતું કે, તેમને પોલીસ સ્ટેશનથી જ હાજર થવા માટે ફોન આવ્યો હતો અને તેઓ હોસ્પિટલથી સીધા જેતપુર તાલુકા પોલીસ મથકે પહોંચ્યા હતા. જોકે, પિયુષ રાદડિયા નિવેદન આપવા માટે સક્ષમ ન હોવાથી પોલીસે તેમને ફરીવાર આવવા જણાવ્યું હતું. જીગીસા પટેલે એ પણ દાવો કર્યો હતો કે, હાજર થવાનું કહેવામાં આવતું હોવા છતાં તેમની જામીનની પ્રોસેસ કરવામાં આવી નહોતી. તેમણે આગામી દિવસોમાં કોર્ટમાં જઈને પોલીસ સામે કાયદેસરની લડત લડવાની ચીમકી ઉચ્ચારી હતી.
આ સમગ્ર પ્રકરણમાં બન્ની ગજેરા અને પિયુષ રાદડિયા સામેના આરોપોની તપાસ ચાલી રહી છે, અને આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે.
Before You Go
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર





















