કરજણમાં ભાજપની ખુલ્લી ધમકી: 'મત નહીં આપો તો મકાન તોડી નાખીશું, મહંમદ નગરીને રામ નગરી બનાવીશું!'
ભાજપના નેતાઓના ધમકીભર્યા નિવેદનોથી વિવાદ, કોંગ્રેસ અને આપ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદની તૈયારી.

BJP Election Campaign in Karjan: કરજણ નગરપાલિકાની ચૂંટણીના વોર્ડ નંબર 7માં ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે યોજાયેલી એક જાહેર સભામાં વિવાદિત નિવેદનો સામે આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ (નિશાળિયા) અને કરજણ બેઠકના પ્રભારી અને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય પટેલે ચૂંટણી સભામાં એવાં નિવેદનો આપ્યાં છે, જેના કારણે રાજકીય ગરમાવો વધી ગયો છે અને વિપક્ષ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
જિલ્લા ભાજપા પ્રમુખ સતીશ પટેલે સભાને સંબોધતા સીધી ધમકી આપી હતી કે, જો વોર્ડ નંબર 7ના ભાજપાના ઉમેદવારોને મત નહીં મળે અને જો મતદારોએ દગો કર્યો તો તેમના મકાનો તોડી પાડવામાં આવશે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "ભાજપના ચારેય ઉમેદવારોને જીતાડશો તો એકેય મકાન તૂટવા નહીં દઉં, જો દગો કર્યો તો એકેયના રાખવા પણ નહીં દઉં." મતદારોને ડરાવવાના પ્રયાસમાં તેમણે મહંમદ યુસુફ સિંધી "મહંમદ નગર"ના 512 મકાનોમાંથી 100 મકાનોનું ભાડું ઉઘરાવી રહ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.
સતીષ પટેલે વધુમાં મહંમદ યુસુફ સિંધી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, મહંમદ યુસુફ સિંધી વિસ્તારમાં પોતાને 'આકા' સમજે છે અને ગરીબો પર દાદાગીરી કરી રહ્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે મહંમદ યુસુફ સિંધી ભાજપાના નામે ગરીબોને લૂંટી રહ્યો હતો અને ગેરકાયદેસર જગ્યાઓ પચાવી પાડી હતી, જે ભાજપે પરત લઈ લીધી છે અને વીજ ચોરીનું બીલ પણ ફટકારવામાં આવ્યું છે. તેમણે મતદારોને હાકલ કરતા કહ્યું હતું કે, "હવે આ રાવણરૂપી મહંમદને ઘરભેગો કરવાનો સમય આવી ગયો છે. ચૂંટણીમાં મતદારો તમે તેને ઘર ભેગો કરો પછી અમે રાવણરૂપી મહંમદનો વધ કરીશું. ડર્યા વગર ભાજપાને મત આપો, ભાજપા તમારી સાથે છે."
બીજી તરફ, કરજણ નગર પાલિકાની ચૂંટણીના પ્રભારી અને વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય પટેલે પણ જાહેર સભાને સંબોધતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે મહંમદ યુસુફ સિંધી પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, મહંમદ યુસુફ સિંધીએ એક લાખ, દોઢ લાખ અને બે લાખમાં સરકારી પ્લોટો વેચીને મહંમદ નગરી ઉભી કરી છે. ડો. વિજય પટેલે જાહેરાત કરી હતી કે, "આવનાર સમયમાં મહંમદ નગરીને 'રામ નગરી' બનાવવાનું કામ ચૂંટાઇને આવનાર વોર્ડ નંબર 7ના ઉમેદવારો કરશે."
ડો. વિજય પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ સરકાર ગરીબો, દલિતો અને વંચિતોની છે અને તે તોડવામાં નહીં પરંતુ જોડવામાં માને છે. તેમણે વિસ્તારમાં ચાલતા દારૂ-જુગારના અડ્ડા બંધ કરાવવાની અને મહંમદ સિંધીએ યુવાનો અને કુટુંબોને બરબાદ કર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે મહંમદ યુસુફ સિંધી પર સરકારી જમીનમાં ગેરકાયદેસર આઈસ્ક્રીમ પાર્લર બનાવવાનો પણ આરોપ મૂક્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વોર્ડ નંબર 7માં ભાજપા તરફથી જ્યોતિબેન વસાવા, તરૂણકુમાર પરમાર, પ્રણવરાજસિહ અટાલીયા અને મુમતાઝ મુલતાની ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ભાજપાએ ટિકિટ ન આપતા બળવો કરીને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહેલા મહંમદ યુસુફ સિંધીએ પેનલમા પ્રિયંકાબેન માછી, ભરતસિંહ અટાલીયા અને વિનંતાબેન વસાવાને મેદાનમાં ઉતાર્યા છે.
રવિવારે યોજાયેલી આ જાહેર સભામાં મોટી સંખ્યામાં ભાજપા કાર્યકરો અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા, જોકે કેટલાક અહેવાલો મુજબ સભામાં સ્થાનિક મતદારો કરતાં વડોદરાથી લવાયેલા કાર્યકરોની સંખ્યા વધારે હોવાનું જાણવા મળ્યું હતું. ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવેલા આ વિવાદાસ્પદ નિવેદનોને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે અને ચૂંટણી પંચ આ બાબતે શું પગલાં લે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો....
હવે સૂર્યાસ્ત પછી પણ થઈ શકશે મહિલાની ધરપકડ, મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
