WAQF Board Bill: આખરે શું છે વક્ફ બોર્ડ કાયદો, અને તેમા કરાયેલા ફેરફાર, જાણીએ વિગત
વકફ સુધારા વિધેયક પર ચર્ચા કરવા માટે રચાયેલ જેપીસીના સભ્ય કોંગ્રેસના સાંસદ ડો. સૈયદ નાસિર હુસૈને રાજ્યસભામાંથી વિપક્ષના વોકઆઉટ બાદ કહ્યું, 'વકફ સુધારા બિલ પર આજે રજૂ કરવામાં આવેલ જેપીસીનો રિપોર્ટ સંપૂર્ણપણે એકતરફી છે.

WAQF Board Bill:કેન્દ્ર સરકારે વક્ફ એક્ટ 1995માં સુધારો કરવા માટે સંસદમાં બિલ રજૂ કર્યું છે. આ વક્ફ બોર્ડની પારદર્શિતા અને જવાબદારી વધારવા માટે છે. આ બિલ પર રાજકીય પક્ષો વચ્ચે ખેંચતાણ ચાલુ છે. આ બિલ વક્ફ વતી અને બોર્ડમાં મહિલાઓનો સમાવેશ કરીને મિલકતના દાવાઓની તપાસ કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. અહીં જાણો શું છે વક્ફ બોર્ડ સંબંધિત કાયદો અને તેમાં કરવામાં આવેલા સુધારા વિશે જાણીએ.
તાજેતરમાં, સંસદમાં એક નવું બિલ લાવવામાં આવ્યું હતું જે 1995ના વકફ કાયદામાં ફેરફાર માટે હતું. તેનો ઉદ્દેશ વક્ફ બોર્ડની કામગીરીમાં પારદર્શિતા લાવવાનો અને આ બોર્ડમાં મહિલાઓનો સમાવેશ કરવાનો છે. સરકારનું કહેવું છે કે, મુસ્લિમ સમુદાયની અંદરથી ઉઠતી માંગને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવી રહ્યું છે. કેબિનેટ દ્વારા તાજેતરમાં સમીક્ષા કરવામાં આવેલ આ બિલનો હેતુ હાલના વકફ કાયદાની કેટલીક કલમોને રદ કરવાનો છે. આ રદ્દીકરણોનો મુખ્ય હેતુ વકફ બોર્ડની મનસ્વી શક્તિને ઘટાડવાનો છે, જે હાલમાં તેમને ફરજિયાત ચકાસણી વિના વકફ મિલકત તરીકે કોઈપણ મિલકતનો દાવો કરવાની મંજૂરી આપે છે. આ બિલને લઈને રાજકીય પક્ષોમાં જોરદાર ચર્ચા ચાલી રહી છે.
ભારતમાં વકફની અવધારણા દિલ્લી સલ્તનના સમયથી ચાલી આવી છે. જેનું ઉદાહરણ સુલતાન મુઇઝ્ઝુદ્દીન સામ ઘોર (મુહમ્મદ ઘોરી) દ્વારા મુલતાનની જામા મસ્જિદને એખ ગામનું સમર્પણ કરી દેવામાં આવ્યું હતું. બ્રિટિશ શાસન દરમિયાન 1923નો મુસ્લિમ વકફ કાયદો, તેને નિયમન કરવાનો પ્રથમ પ્રયાસ હતો.
વર્ષ 1954 માં, સ્વતંત્ર ભારતમાં પ્રથમ વખત વકફ કાયદો સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો.
1995 માં, તેને નવા વક્ફ એક્ટ દ્વારા બદલવામાં આવ્યો, જેણે વક્ફ બોર્ડને વધુ સત્તાઓ આપી. આ વધારા સાથે અતિક્રમણ અને ગેરકાયદે લીઝ અને વકફ મિલકતોના વેચાણની ફરિયાદો પણ વધી છે.
2013 માં, કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો, જેમાં વક્ફ બોર્ડને મુસ્લિમ ચેરિટીના નામે મિલકતોનો દાવો કરવા માટે અમર્યાદિત સત્તાઓ આપવામાં આવી હતી. આ સુધારાથી વકફ મિલકતોનું વેચાણ અશક્ય બન્યું.
વક્ફ ખાસ કરીને ઇસ્લામિક કાયદા હેઠળ ધાર્મિક ઉદેશની સાથે સંપતિને સંભાળવાનું કામ કરે છે. એકવાર વકફ તરીકે નિયુક્ત થયા પછી, મિલકત દાતા પાસેથી અલ્લાહને તબદીલ કરવામાં આવે છે અને અપરિવર્તનિય હોય છે આ મિલકતોનું સંચાલન વક્ફ અથવા સક્ષમ અધિકારી વતી નિયુક્ત મુતવાલી દ્વારા કરવામાં આવે છે.
રેલ્વે અને સંરક્ષણ વિભાગ પછી વક્ફ બોર્ડ ભારતમાં ત્રીજા નંબરનું સૌથી મોટું જમીન ધારક છે. વક્ફ બોર્ડ સમગ્ર ભારતમાં 9.4 લાખ એકરમાં ફેલાયેલી 8.7 લાખ મિલકતોને નિયંત્રિત કરે છે, જેની કિંમત અંદાજિત રૂ. 1.2 લાખ કરોડ છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં બે શિયા વક્ફ બોર્ડ સહિત 32 વક્ફ બોર્ડ છે. રાજ્ય વક્ફ બોર્ડનું નિયંત્રણ લગભગ 200 વ્યક્તિઓના હાથમાં છે.
બિલમાં કરવામાં આવેલા 15 સુધારાઓમાંથી 4 મહત્વપૂર્ણ
સૂત્રોના જણાવ્યા અનુસાર બિલમાં કરાયેલા 15 સુધારાઓમાંથી ચાર મહત્વના છે. આ પૈકી સૌથી મોટી વકફ મિલકત નક્કી કરવામાં કલેક્ટરની ભૂમિકાને મર્યાદિત કરવાની છે. નોંધનિય છે કે, ઓગસ્ટમાં જ્યારે બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે વિપક્ષ દ્વારા કલેક્ટરને વધુ પડતી સત્તા આપવા પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. જેપીસીના અહેવાલમાં કલેકટરની જગ્યાએ કમિશનર અથવા સેક્રેટરી જેવા વરિષ્ઠ અધિકારીની નિમણૂક કરવાની દરખાસ્ત કરવામાં આવી છે, જેની નિમણૂક રાજ્ય સરકાર કરશે.
આ સાથે જેપીસીએ તેના રિપોર્ટમાં અગાઉની તારીખથી વકફ કાયદાનો અમલ ન થવાનો સમાવેશ કર્યો છે. આમાં એક જ શરત છે કે, જમીન સરકારી મિલકત ન હોવી જોઈએ અથવા તેના પર પહેલેથી જ વિવાદ ચાલતો ન હોવો જોઈએ., અહેવાલમાં, મુસ્લિમ સમુદાય સાથે સંબંધિત રજિસ્ટર્ડ મોટા ટ્રસ્ટોને પણ વકફ કાયદાની બહાર રાખવામાં આવ્યા છે અને મુસ્લિમ વિદ્વાનોને વકફ બોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે.
જેપીસી રિપોર્ટ સ્વીકાર્યા બાદ પણ વિરોધ ચાલુ છે
જેપીસી રિપોર્ટ સ્વીકાર્યા બાદ પણ વિપક્ષનો વિરોધ ચાલુ છે. વિપક્ષી સભ્યોએ વક્ફ બોર્ડમાં બિન-મુસ્લિમોના સમાવેશને બંધારણની કલમ 26 હેઠળ મુસ્લિમોને અપાયેલી ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે.





















