Nepal: ભારતીય શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ખાઈમાં ખાબકી, 7 લોકોના કરૂણ મોત
નેપાળમાં ભારતીય યાત્રાળુઓને લઈ જતી બસ ખાઈમાં પલટી ગઈ. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Nepal: નેપાળમાંથી અત્યારે એક મોટા દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં ભારતીય શ્રદ્ધાળુઓને લઈને જઈ રહેલી એક બસ ખાઈમાં પલટી ગઈ છે. આ અકસ્માત મધ્ય નેપાળ વિસ્તારમાં થયો છે. મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે, જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. પોલીસે આ અકસ્માત અંગે માહિતી આપી છે. પોલીસનું કહેવું છે કે માહિતી મળતાની સાથે જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. હાલમાં ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
તીર્થયાત્રીઓને લઈને જઈ રહી હતી બસ
માહિતી અનુસાર, નેપાળના મધ્ય વિસ્તારમાં ભારતીય તીર્થયાત્રીઓને લઈ જઈ રહેલી એક પેસેન્જર બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ છે. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. આ ઉપરાંત અન્ય સાત લોકો પણ ઘાયલ હોવાનું જણાવાઈ રહ્યું છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના શનિવારે નેપાળના ગંડકી પ્રાંતમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તીર્થયાત્રીઓને લઈ જતી એક બસ મનકામના મંદિરથી પરત ફરી રહી હતી. આ દરમિયાન ગોરખા જિલ્લામાં બસ અચાનક અનિયંત્રિત થઈ ગઈ અને રસ્તાની નીચે ખાઈમાં પડી ગઈ. ગોરખા જિલ્લાના જિલ્લા ટ્રાફિક પોલીસ કાર્યાલયના વડા સૂરજ આર્યાલે જણાવ્યું કે મૃતકોમાં બે મહિલાઓ અને પાંચ પુરુષોનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે તમામ મૃતકો ભારતીય નાગરિકો છે.
તમામ મૃતકો ભારતીય નાગરિકો
જિલ્લા પોલીસ કાર્યાલયના વડા ભરત બહાદુર બીકેએ જણાવ્યું કે આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ મુથુ કુમાર (58), અનામલિક (58), મીનાક્ષી (59), શિવગામી (53), વિજયલ (57), મીના (58) અને તમિલારસી (60) તરીકે કરવામાં આવી છે. 'કાઠમંડુ પોસ્ટ'ના રિપોર્ટ અનુસાર, સાત અન્ય ઘાયલ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. તમામ ઘાયલ વ્યક્તિઓને આંબુખૈરેનીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. 'હિમાલયન ટાઈમ્સ'ના અહેવાલ મુજબ, ઇલેક્ટ્રિક બસનો ડ્રાઈવર આબાદ બચી ગયો છે, જ્યારે તેનો સહાયક આ અકસ્માતમાં ઘાયલ થયો છે. પોલીસનું કહેવું છે કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે.























