ઈઝરાયલ અને લેબનાન વચ્ચે 10 દિવસ યુદ્ધવિરામ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ઇઝરાયલ અને લેબનાન વચ્ચે 10 દિવસનો યુદ્ધવિરામ થયો છે.

- ટ્રમ્પે ઇઝરાયલ-લેબનાન વચ્ચે ૧૦ દિવસના યુદ્ધવિરામની જાહેરાત કરી.
- બંને દેશોના નેતાઓ શાંતિ સ્થાપિત કરવા સંમત થયા છે.
- વોશિંગ્ટનમાં પ્રતિનિધિમંડળો મળ્યા, ટ્રમ્પે શાંતિ માટે નિર્દેશ આપ્યો.
Israel Lebanon Ceasefire: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા એક મોટી જાહેરાત કરી હતી. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ઇઝરાયલ અને લેબનાન વચ્ચે 10 દિવસનો યુદ્ધવિરામ થયો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે લેબનાનના રાષ્ટ્રપતિ જોસેફ આઉન અને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે તેમની ખૂબ જ સારી વાતચીત થઈ છે. બંને નેતાઓ શાંતિ સ્થાપિત કરવા માટે ઔપચારિક રીતે 10 દિવસનો યુદ્ધવિરામ કરવા સંમત થયા હતા.
US President Donald Trump posts on his Truth Social; "I just had excellent conversations with the Highly Respected President Joseph Aoun, of Lebanon, and Prime Minister Bibi Netanyahu, of Israel. These two Leaders have agreed that in order to achieve PEACE between their… pic.twitter.com/BHDDrkadr0
— ANI (@ANI) April 16, 2026
મારા માટે આ સન્માનની વાત છે: ટ્રમ્પ
ટ્રમ્પે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, "મંગળવારે, 34 વર્ષમાં પહેલી વાર બંને દેશોના પ્રતિનિધિમંડળો વોશિંગ્ટનમાં અમારા વિદેશ મંત્રી, માર્કો રુબિયો સાથે મળ્યા હતા. મેં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસ અને વિદેશ મંત્રી રૂબિયોને જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન, ડેન રેઝિન કેનની સાથે મળી ઇઝરાયલ અને લેબનાન સાથે કામ કરવા નિર્દેશ આપ્યો છે જેથી એક કાયમી શાંતિ સ્થાપી શકાય" વિશ્વભરમાં નવ યુદ્ધો ઉકેલવા એ મારા માટે સન્માનની વાત રહી છે, અને આ મારું 10મું યુદ્ધ હશે, તો ચાલો તેને પૂર્ણ કરીએ!"
લેબનાનના રાષ્ટ્રપતિ સાથે થઈ ટ્રમ્પની વાત
આ પહેલા લેબનાનના રાષ્ટ્રપતિ જોસેફ આઉને એક્સ પર પોસ્ટ કરતા કહ્યું હતું કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની વચ્ચે વાતચીત થઈ હતી. વાતચીત દરમિયાન, જોસેફ આઉને યુદ્ધવિરામમાં મધ્યસ્થી કરવા અને સ્થાયી શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવાના તેમના પ્રયાસો બદલ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઇઝરાયલે લેબનાનમાં પુલ તબાહ કર્યો
યુદ્ધવિરામની જાહેરાત થાય તે પહેલાં લેબનાન સેનાએ અહેવાલ આપ્યો હતો કે 16 એપ્રિલે, ઇઝરાયલી દળોએ તાયરમાં કાસ્મીયેહ પુલને નિશાન બનાવ્યો હતો અને તેનો નાશ કર્યો હતો. સેનાએ તેને દેશ સામે તેના ચાલુ આક્રમણના ભાગ રૂપે વર્ણવ્યું હતું. સેનાએ જણાવ્યું હતું કે આ હુમલો દક્ષિણ લિટાની ક્ષેત્રને ઉત્તરીય ક્ષેત્રથી અલગ કરવાનો હતો. હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને બે અન્ય ઘાયલ થયા હતા. ઘટનાસ્થળે તૈનાત એક સૈનિક પણ ઘાયલ થયો હતો.





















