Gen-Z પ્રોટેસ્ટ બાદ જાહેર કરાઈ નેપાળ ચૂંટણીની તારીખ, ચૂંટણી પંચે જાહેર કર્યો કાર્યક્રમ
દેશમાં 5 માર્ચ, 2026 ના રોજ મતદાન થશે. આયોગ અનુસાર, ચૂંટણી સવારે 7 વાગ્યે શરૂ થશે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે.

નેપાળ ચૂંટણી પંચે રવિવારે આગામી પ્રતિનિધિ સભા (સંસદીય ચૂંટણી) માટે વિગતવાર કાર્યક્રમ જાહેર કર્યો છે જેમાં સ્પષ્ટતા કરવામાં આવી કે દેશમાં 5 માર્ચ, 2026 ના રોજ મતદાન થશે. આયોગ અનુસાર, ચૂંટણી સવારે 7 વાગ્યે શરૂ થશે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે.
ચૂંટણી સમયપત્રક અનુસાર, ઉમેદવારોએ 20 જાન્યુઆરીના રોજ સવારે 10 થી સાંજે 6 વાગ્યાની વચ્ચે તેમના નામાંકન દાખલ કરવાના રહેશે. ઉમેદવારોની પ્રારંભિક યાદી તે જ દિવસે સાંજે 5 વાગ્યા પછી જાહેર કરવામાં આવશે. કોઈપણ ઉમેદવાર સામે વાંધો દાખલ કરવાની અંતિમ તારીખ 21 જાન્યુઆરીના રોજ સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી છે.
અરજીઓની ચકાસણી પૂર્ણ થયા પછી ઉમેદવારોની ચકાસાયેલ યાદી 22 જાન્યુઆરીએ પ્રકાશિત કરવામાં આવશે. જો કોઈ ઉમેદવાર પોતાની ઉમેદવારી પાછી ખેંચવા માંગે છે તો તેઓ 23 જાન્યુઆરીના રોજ બપોરે 1 વાગ્યા સુધી આમ કરી શકે છે. તે જ દિવસે બપોરે 3 વાગ્યા પહેલા અંતિમ યાદી જાહેર કરવામાં આવશે, ત્યારબાદ સત્તાવાર ચૂંટણી પ્રતીકો ફાળવવામાં આવશે.
નેપાળમાં ચૂંટણીઓ કેવી રીતે હાથ ધરવામાં આવે છે?
નેપાળના બંધારણ મુજબ, પ્રતિનિધિ ગૃહમાં કુલ 275 બેઠકો છે. આમાંથી 165 સભ્યો સીધી ચૂંટણી (ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ) દ્વારા ચૂંટાય છે જ્યારે 110 બેઠકો પ્રમાણસર પ્રતિનિધિત્વ પ્રણાલી દ્વારા નક્કી કરવામાં આવે છે.
નેપાળમાં Gen-Z વિરોધ પ્રદર્શનોને કારણે કેપી ઓલીએ સત્તા ગુમાવી
આ ચૂંટણી મહત્વપૂર્ણ છે કારણ કે દેશમાં રાજકીય અસ્થિરતાનો છે. 9 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન કેપી શર્મા ઓલીને પદ પરથી દૂર કર્યા પછી પરિસ્થિતિ વધુ તંગ બની હતી. ભ્રષ્ટાચાર વિરોધી વિરોધ પ્રદર્શનમાં સામેલ Gen-Z યુવાનોએ સોશિયલ મીડિયા પ્રતિબંધ હટાવવાની માંગણી સાથે વ્યાપક આંદોલન શરૂ કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શન હિંસક બન્યા અને બે દિવસમાં 76 લોકો મૃત્યુ પામ્યા, જેનાથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી હતી
સુશીલા કાર્કીને વચગાળાના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
આ ઘટનાઓ બાદ સુશીલા કાર્કીએ 12 સપ્ટેમ્બરના રોજ વચગાળાના વડાપ્રધાન તરીકે શપથ લીધા અને દેશમાં સ્થિરતા પુનઃસ્થાપિત કરવાની જવાબદારી સંભાળી. હવે, આ સંસદીય ચૂંટણી નેપાળની રાજકીય દિશા નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. નેપાળ ચૂંટણી પંચનું કહેવું છે કે પારદર્શક અને શાંતિપૂર્ણ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.





















