Plane Crash: કોલંબિયામાં લેન્ડિંગ અગાઉ ક્રેશ થયું પ્લેન, સાંસદ સહિત 15 લોકોના મોત
કોલંબિયાના અધિકારીઓએ બુધવારથી ગુમ થયેલા બીચક્રાફ્ટ 1900 વિમાનનો કાટમાળ શોધી કાઢ્યો છે.

કોલંબિયાના અધિકારીઓએ બુધવારથી ગુમ થયેલા બીચક્રાફ્ટ 1900 વિમાનનો કાટમાળ શોધી કાઢ્યો છે. સ્થાનિક મીડિયા અને બચાવ ટીમો અનુસાર, દુર્ઘટનામાં કોઈ બચી શક્યું નથી. વિમાનમાં 13 મુસાફરો અને બે ક્રૂ સભ્યો હતા જેમાં કોલંબિયાના સાંસદ અને આગામી ચૂંટણીના એક ઉમેદવારનો સમાવેશ થાય છે. વાસ્તવમાં કોલંબિયા અને વેનેઝુએલા વચ્ચેની સરહદ પાસે 15 લોકો સાથેનું કોમર્શિયલ જેટ ગાયબ થયું હતું. કોલંબિયાના ઉડ્ડયન અધિકારીઓ અને રાજ્ય એરલાઇન SATENA અનુસાર, વિમાનનો છેલ્લો રડાર સંપર્ક કૈટટુમ્બો વિસ્તારમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો, જેના કારણે શોધ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ફ્લાઇટ NSE 8849 બુધવારે સવારે 11:42 વાગ્યે કુકુટાથી ઉડાન ભરી હતી પરંતુ લેન્ડિંગના માત્ર 11 મિનિટ પહેલા તેનો સંપર્ક તૂટી ગયો હતો. કાટમાળ પર્વતીય પ્રદેશ કૈટટુમ્બોમાં મળી આવ્યો હતો. આ પ્રદેશ તેના ખરાબ હવામાન અને ટેકરીઓ માટે જાણીતો છે, જેણે શોધ કામગીરી માટે નોંધપાત્ર પડકારો ઉભા કર્યા હતા.
કોલંબિયાના નાગરિક ઉડ્ડયન એજન્સીના તપાસકર્તાઓ હવે ક્રેશનું ચોક્કસ કારણ નક્કી કરવા માટે કાટમાળની તપાસ કરી રહ્યા છે. જોકે, ટેકનિકલ ખામી કે ખરાબ હવામાન અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટી જાહેર કરવામાં આવી નથી.
કોલંબિયાના એરોસ્પેસ ફોર્સ અને સિવિલ એવિએશન ઓથોરિટીના અકસ્માત તપાસ નિર્દેશાલયે તાત્કાલિક શોધ અને બચાવ પ્રોટોકોલ એક્ટિવ કર્યા છે. પરિવારોને મદદ કરવા માટે એક ખાસ હેલ્પલાઇન નંબર (601) 919 3333 પણ જાહેર કરવામાં આવ્યો છે. હજુ સુધી વિમાનનો કોઈ પત્તો લાગ્યો નથી.
સંસદ સભ્ય અને ચૂંટણીના ઉમેદવાર પણ વિમાનમાં હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક સાંસદ વિલ્મર કેરિલોએ કહ્યું, "અમને આ વિમાન દુર્ઘટનાના સમાચાર મળ્યા. મારા સાથીદારો ડિયોજેનેસ ક્વિતેરો, કાર્લોસ સાલ્સેડો અને તેમની ટીમો મુસાફરી કરી રહી હતી." ડિયોજેનેસ કિંતેરો કોલંમ્બિયન ચેમ્બર ઓફ ડેપ્યુટીઝના સભ્ય હતા, જ્યારે કાર્લોસ સાલ્સેડો આગામી ચૂંટણીમાં ઉમેદવાર હતા.





















