![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
World Cupમાં રોહિત શર્માએ કેપ્ટન તરીકે કર્યો કમાલ, આ રેકોર્ડના મામલામાં સચિન તેંદુલકરની કરી બરાબરી
રોહિતે નેધરલેન્ડ સામે વર્લ્ડકપની છેલ્લી લીગ મેચમાં પણ 54 બોલમાં 61 રનની ઇનિંગ રમી હતી અને કેટલાય રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.
![World Cupમાં રોહિત શર્માએ કેપ્ટન તરીકે કર્યો કમાલ, આ રેકોર્ડના મામલામાં સચિન તેંદુલકરની કરી બરાબરી ICC Cricket World Cup 2023: cwc 2023 rohit sharma becomes the first indian captain to score 500 runs in a single edition of world cup World Cupમાં રોહિત શર્માએ કેપ્ટન તરીકે કર્યો કમાલ, આ રેકોર્ડના મામલામાં સચિન તેંદુલકરની કરી બરાબરી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/08/a69ee4ed2ad3bd2a43d8ef482b5014421691473880814689_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ICC Cricket World Cup 2023: રોહિત શર્માએ આ વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે લગભગ દરેક મેચમાં ટીમને સારી અને ઝડપી શરૂઆત અપાવી છે. રોહિતે નેધરલેન્ડ સામે વર્લ્ડકપની છેલ્લી લીગ મેચમાં પણ 54 બોલમાં 61 રનની ઇનિંગ રમી હતી અને કેટલાય રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. આ ઇનિંગની મદદથી રોહિતે આ વર્લ્ડકપમાં 500 રનનો આંકડો પાર કર્યો અને તે આવું કરનાર ભારતનો પ્રથમ કેપ્ટન બની ગયો છે.
રોહિત શર્માએ બનાવ્યો ખાસ રેકોર્ડ
રોહિત શર્મા વર્લ્ડકપની એક જ સિઝનમાં 500થી વધુ રન બનાવનાર ટીમ ઈન્ડિયાનો પહેલો કેપ્ટન બની ગયો છે. રોહિતે આ વર્લ્ડકપમાં અત્યાર સુધી કુલ 9 મેચ રમી છે, જેમાં તેણે 55.88ની એવરેજ અને 121.49ની શાનદાર સ્ટ્રાઈક રેટથી 503 રન બનાવ્યા છે. આ દરમિયાન રોહિતે 1 સદી અને 3 અડધી સદી ફટકારી છે. આ વર્લ્ડકપમાં અત્યાર સુધી રોહિતે 24 છગ્ગા અને 58 ચોગ્ગા ફટકાર્યા છે. રોહિત આ વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર ચોથા નંબર પર છે.
આ ઉપરાંત રોહિતે આ વર્લ્ડકપમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રોહિત શર્માએ વર્લ્ડકપની બે સિઝનમાં 500થી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. રોહિત શર્મા પહેલા સચિન તેંદુલકરે પણ આ રેકોર્ડ બનાવ્યો હતો. રોહિત શર્માએ ગયા વર્લ્ડકપ 2019માં સૌથી વધુ 648 રન બનાવ્યા હતા અને હવે આ વર્લ્ડકપમાં પણ તેણે 500થી વધુ રન બનાવ્યા છે. આથી રોહિતે વર્લ્ડકપમાં બે વખત 500 રનનો આંકડો પાર કરવાના મામલે સચિન તેંદુલકરની બરાબરી કરી લીધી છે.
જો કે, રોહિતે આ વર્લ્ડકપમાં ઓછામાં ઓછી એક વધુ મેચ રમવાની છે, જે ટીમ ઈન્ડિયાની સેમિફાઈનલ મેચ હશે. આ મેચ ન્યૂઝીલેન્ડ સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ગત વર્લ્ડકપમાં પણ ટીમ ઈન્ડિયાનો સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે મુકાબલો થયો હતો અને તે મેચમાં રોહિત શર્મા ખૂબ જ વહેલો આઉટ થઈ ગયો હતો. આવી સ્થિતિમાં રોહિત આ વખતે ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલ મેચમાં શાનદાર ઇનિંગ રમીને ગત વર્લ્ડકપનો બદલો લેવાનો ચોક્કસ પ્રયાસ કરશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)