IPL 2025માં આવ્યો નવો નિયમ, હવે વાઈડ અને નો બોલ પર નહીં થાય વિવાદ! BCCI લાવ્યું નવી ટેક્નોલોજી
બેટ્સમેનની ઊંચાઈ માપીને લેવાશે નિર્ણય, હોક-આઈ ઓપરેટર કરશે ઉપયોગ.

BCCI new technology IPL 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં ક્રિકેટના નિયમોને વધુ સુવ્યવસ્થિત કરવા અને મેચ દરમિયાન વાઈડ બોલ તથા નો-બોલ અંગે થતા વિવાદોને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એક અત્યાધુનિક ટેક્નોલોજી લઈને આવ્યું છે. આ નવી ટેક્નોલોજીની મદદથી હવે અમ્પાયરોના નિર્ણયો વધુ સચોટ બનશે અને ખેલાડીઓ તેમજ દર્શકોમાં થતી ગેરસમજણ દૂર થશે.
BCCI હંમેશાથી IPLમાં રમતની ગુણવત્તા અને નિષ્પક્ષતા જાળવવા માટે પ્રયત્નશીલ રહ્યું છે. આ નવી ટેક્નોલોજી એ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. અગાઉ IPL 2024માં નો-બોલને વધુ ચોકસાઈથી ઓળખવા માટે ખેલાડીની કમરની ઊંચાઈ માપવાની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે BCCIએ આ સિસ્ટમને વધુ અદ્યતન બનાવી છે, જેથી વાઈડ બોલ અંગે પણ સચોટ નિર્ણય લઈ શકાય.
નવી ટેક્નોલોજીની કાર્યપ્રણાલી વિશે વાત કરીએ તો, જ્યારે બેટ્સમેન ક્રિઝની અંદર ઊભો હશે ત્યારે મેદાન પર લાગેલા અત્યાધુનિક કેમેરા અને સેન્સર્સની મદદથી તેની કમરની ઊંચાઈ, ખભાની ઊંચાઈ અને માથાની ઊંચાઈનું ચોક્કસ માપ લેવામાં આવશે. આ માપાયેલો ડેટા ત્વરિત જ એક વિશેષ સિસ્ટમમાં અપલોડ કરવામાં આવશે. આ સિસ્ટમનો ઉપયોગ હોક-આઈ ઓપરેટર દ્વારા કરવામાં આવશે, જે થર્ડ અમ્પાયર સાથે બેસે છે. હોક-આઈ ઓપરેટર આ ડેટાની મદદથી બોલર દ્વારા ફેંકવામાં આવેલ બોલની ગતિ અને ટ્રેજેક્ટરીનું વિશ્લેષણ કરશે. બેટિંગ કરતી વખતે બેટ્સમેનની ઊંચાઈને ધ્યાનમાં રાખીને બોલ ક્યાંથી પસાર થઈ રહ્યો છે તેના આધારે વાઈડ બોલ અને ફુલ ટોસ નો-બોલ અંગેનો સચોટ નિર્ણય લઈ શકાશે.
આ નવી ટેક્નોલોજીનો સૌથી મોટો ફાયદો એ થશે કે હવે વાઈડ બોલ અને નો-બોલ અંગે મેદાન પર ખેલાડીઓ અને અમ્પાયરો વચ્ચે થતા વિવાદોનો અંત આવશે. અમ્પાયરો દ્વારા લેવામાં આવેલા નિર્ણયો વધુ પારદર્શક અને વિશ્વસનીય બનશે, જેનાથી રમતની ભાવના જળવાઈ રહેશે. આ ટેક્નોલોજી ફુલ ટોસ નો-બોલના કિસ્સામાં પણ ખૂબ જ મદદરૂપ સાબિત થશે, જે ઘણી વખત વિવાદનું કારણ બનતા હોય છે.
આ ટેક્નોલોજી IPL 2025ની દરેક મેચમાં ઉપયોગમાં લેવાશે અને તેનાથી રમતની ઝડપ અને રોમાંચકતા પણ વધશે. દર્શકોને પણ હવે દરેક નિર્ણય અંગે વધુ સ્પષ્ટતા મળશે, જેનાથી તેમનો મેચ જોવાનો અનુભવ વધુ સારો બનશે.
બીજી તરફ, IPL 2025ની પ્રથમ મેચ પર સંકટના વાદળો ઘેરાયેલા છે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે 22 માર્ચે રમાવાની છે. જો કે, કોલકાતામાં ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવનાને કારણે 20 થી 22 માર્ચ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IPL 2025ની ઓપનિંગ સેરેમની પણ 22 માર્ચે યોજાવાની છે, જેમાં શ્રેયા ઘોષાલ, અરિજીત સિંહ અને દિશા પટણી જેવા મોટા સ્ટાર્સ પરફોર્મ કરવાના છે. કમનસીબે, હવામાનની આગાહી જોતા એવું લાગી રહ્યું છે કે વરસાદના કારણે ઉદ્ઘાટન સમારોહ અને પ્રથમ મેચ બંને ધોવાઈ શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
