T20 World Cup ની આ મેચ બાદ બહુ ગુસ્સામાં હતો અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવે માંગી હતી માફી, જાણો શું હતો મામલો
T20 World Cup 2026: ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન લેવાયેલા વિવાદાસ્પદ નિર્ણય અંગે ખુલાસો કર્યો છે. તેમણે સ્વીકાર્યું કે સુપર 8 મેચમાં અક્ષર પટેલને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવો એ એક મોટી ભૂલ હતી.

T20 World Cup 2026: સૂર્યકુમાર યાદવે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન લેવાયેલા એક મોટા નિર્ણય અંગે ખુલીને વાત કરી છે. ભારતીય કેપ્ટને સ્વીકાર્યું કે સુપર-8 મુકાબલામાં અક્ષર પટેલને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવો એ તેમની ભૂલ હતી. તેમણે જણાવ્યું કે મેચ પછી તેમણે પોતે અક્ષરની માફી પણ માંગી હતી.
સુપર-8 મેચમાં લેવાયો હતો મોટો નિર્ણય
T20 વર્લ્ડ કપના સુપર-8 તબક્કામાં ભારતનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે થયો હતો. તે મેચમાં ટીમ મેનેજમેન્ટે અક્ષર પટેલના સ્થાને વોશિંગ્ટન સુંદરને તક આપવાનો નિર્ણય કર્યો હતો. આ એક વ્યૂહાત્મક નિર્ણય હતો, પરંતુ મેદાન પર તેની ઉલટી અસર જોવા મળી અને ભારતને ટુર્નામેન્ટમાં પોતાની એકમાત્ર હારનો સામનો કરવો પડ્યો.
તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે આ નિર્ણયથી અક્ષર પટેલ કાફી નારાજ હતો અને તેમનું નારાજ થવું સ્વાભાવિક પણ હતું. તેમણે કહ્યું, “અક્ષર ખૂબ ગુસ્સામાં હતો અને તેમણે હોવું પણ જોઈએ. તે અનુભવી ખેલાડી છે અને એક ફ્રેન્ચાઈઝી ટીમની કેપ્ટનશીપ પણ કરી ચૂક્યો છે. મેચ પછી મેં તેમની સાથે વાત કરી અને કહ્યું કે આ મારી ભૂલ હતી અને તે બદલ હું માફી માંગુ છું.”
બીજા દિવસે થઈ ખુલીને વાતચીત
સૂર્યકુમારના જણાવ્યા મુજબ, તે સમયે વાતચીત થોડી મુશ્કેલ જરૂર હતી, પરંતુ અક્ષર પટેલે પરિસ્થિતિને સમજી. બીજા દિવસે બંને ખેલાડીઓએ શાંત મને વાત કરી અને મામલો ત્યાં જ પૂરો થઈ ગયો. ટીમની અંદર આ પ્રકારની પ્રમાણિક વાતચીતે ડ્રેસિંગ રૂમનું વાતાવરણ હકારાત્મક જાળવી રાખવામાં મદદ કરી.
વર્લ્ડ કપ જીત બની ભાવુક ક્ષણ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ અક્ષર પટેલે પણ પોતાની લાગણીઓ શેર કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે બાળપણથી વર્લ્ડ કપ જીતવો એ દરેક ક્રિકેટરનું સપનું હોય છે. જોકે આ જીત તેમના માટે એટલે પણ ખાસ રહી કારણ કે તેમના પુત્રએ પહેલીવાર સ્ટેડિયમમાં બેસીને તેમને રમતા જોયો હતો.
ફાઈનલમાં ભારતનો દબદબો
ફાઈનલ મુકાબલામાં ભારતે ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને ખિતાબ જીત્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 255 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જેમાં અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન અને શિવમ દુબેએ શાનદાર બેટિંગ કરી હતી. જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ 159 રન પર જ સમેટાઈ ગઈ હતી. આ જીત સાથે ભારતે ઈતિહાસ રચતા ત્રીજી વખત T20 વર્લ્ડ કપ પોતાના નામે કર્યો અને સતત બીજી વખત ખિતાબ જીતનારી પ્રથમ ટીમ પણ બની ગઈ હતી.



















