![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Women's World Cup: ખરાબ બેટિંગને કારણે ભારતીય મહિલા ટીમની કારમી હાર, ઈંગ્લેન્ડ 4 વિકેટે જીત્યું
135 રનના નાના લક્ષ્યાંકને હાંસલ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની શરૂઆત પણ ઘણી ખરાબ રહી હતી. ઇંગ્લિશ ટીમે માત્ર 4 રનમાં પોતાના બંને ઓપનરની વિકેટ ગુમાવી દીધી હતી.
![Women's World Cup: ખરાબ બેટિંગને કારણે ભારતીય મહિલા ટીમની કારમી હાર, ઈંગ્લેન્ડ 4 વિકેટે જીત્યું womens world cup india women vs england women live score england beat india by 4 wickets Women's World Cup: ખરાબ બેટિંગને કારણે ભારતીય મહિલા ટીમની કારમી હાર, ઈંગ્લેન્ડ 4 વિકેટે જીત્યું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/16/f784428071ee30ccd7cd5670ff2bd0e8_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ન્યુઝીલેન્ડમાં ચાલી રહેલા મહિલા વર્લ્ડ કપમાં ભારતને તેની ચોથી મેચમાં ઈંગ્લેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમની ખરાબ બેટિંગના કારણે ભારતને આ મેચ ગુમાવવી પડી હતી. ઈંગ્લેન્ડે આ મેચ 4 વિકેટે જીતી લીધી હતી. ઈંગ્લેન્ડની બોલર ચાર્લી ડીનને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવી હતી.
ઈંગ્લેન્ડના કેપ્ટને આ મેચમાં ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેને ટીમના બોલરોએ સાચો સાબિત કર્યો હતો અને શરૂઆતથી જ ભારતીય ટીમ પર દબાણ બનાવી રાખ્યું હતું. ભારતે તેની પ્રથમ વિકેટ 18 રનમાં ગુમાવી હતી. આ પછી નિયમિત અંતરે વિકેટો પડતી રહી અને ભારતીય ટીમ સ્કોર બોર્ડ પર માત્ર 134 રન જ બનાવી શકી. સ્મૃતિ મંધાના (35), રિચા ઘોષ (33), ઝુલન ગોસ્વામી (20) અને હરમનપ્રીત કૌર (14) માત્ર બે આંકડાને સ્પર્શી શકી હતી, જ્યારે બાકીની 6 ખેલાડીઓએ સિંગલ ડિજિટમાં પોતાની વિકેટ ગુમાવી હતી. ઈંગ્લેન્ડ તરફથી ચાર્લી ડીને જોરદાર બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી હતી. અન્યા શરુબસોલે બે અને સોફી અને કેટને 1-1 વિકેટ મળી હતી.
135 રનના નાના લક્ષ્યાંકને હાંસલ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની શરૂઆત પણ ઘણી ખરાબ રહી હતી. ઇંગ્લિશ ટીમે માત્ર 4 રનમાં પોતાના બંને ઓપનરની વિકેટ ગુમાવી દીધી હતી. ઝુલન ગોસ્વામી અને મેઘના સિંહે ભારતને આ શરૂઆતી સફળતાઓ અપાવી હતી. જો કે આ પછી ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ સાવચેતીપૂર્વક બેટિંગ કરીને 32મી ઓવરમાં 6 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન હીથર નાઈટે 53 અને નેટ શિવરે 45 રન બનાવ્યા હતા. ભારત તરફથી મેઘના સિંહે 3 અને ઝુલન, રાજેશ્વરી અને પૂજાએ 1-1 વિકેટ લીધી હતી.
ઈંગ્લેન્ડ માટે આ કરો યા મરો મેચ હતી
ઈંગ્લેન્ડની ટીમ વર્લ્ડ કપની તેની પ્રથમ ત્રણ મેચ હારી ગઈ હતી. આવી સ્થિતિમાં આ મેચ તેના માટે ઘણી મહત્વની હતી. જો તે ભારત સામે હારી ગઈ હોત તો વર્લ્ડ કપમાં તેના માટે સેમીફાઈનલના દરવાજા બંધ થઈ ગયા હોત. આ મેચ જીત્યા બાદ ઈંગ્લેન્ડની સેમિફાઈનલ રમવાની આશા એક વખત જીવંત થઈ ગઈ છે. અહીં ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામેની મેચ હારવા છતાં સેમીફાઈનલની રેસમાં છે. ભારતે અત્યાર સુધી વર્લ્ડ કપની ચારમાંથી બે મેચ જીતી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)