BJP Leader's Letter Bomb: ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની ખુદ ભાજપના નેતાએ ખોલી પોલ
ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ખુદ શાસક પક્ષના જ ચૂંટાયેલા કોર્પોરેટરોએ સવાલ ઉઠાવ્યા. ભાવનગર મહાપાલિકાના કોર્પોરેટર અને ડ્રેનેજ સમિતિના ચેરમેન ભરત ચુડાસમા, સોશલ વેલફેર કમિટીના ડેપ્યુટી ચેરપર્સન નીતાબેન બારૈયા અને સ્ટ્રીટ લાઈટ કમિટીના ડેપ્યુટી ચેરપર્સન રતનબેન વેગડે ગૃહરાજ્યમંત્રીને સંબોધીને પત્ર લખ્યો અને કાયદો- વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવ્યા. વોર્ડ નં 4ના કોર્પોરેટરોએ કહ્યું કે કરચલીયા પરા વોર્ડમાં છેલ્લા ઘણાં વર્ષોથી ન્યૂસન્સ સતત વધી રહ્યું છે. ન્યૂસન્સને કાબૂમાં લેવા અનેકવાર રજૂઆત બાદ પણ જિલ્લા પોલીસે તરફથી નક્કર કોઈ કાર્યવાહી થઈ નથી. શાસક પક્ષના કોર્પોરેટરોએ તો ભાવનગર શહેરમાં ગુનાખોરી બિહાર જેટલી વધ્યાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો.
અસામાજિક તત્વો અને ગુંડાઓના ત્રાસને ડામવા ભાવનગર વોર્ડ નંબર ચારના ભાજપના કોર્પોરેટરોએ લખ્યો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર. કરચલીયાપરામાં બેફામ બનેલા ગુંડાતત્વો વિરૂદ્ધ પોલીસ તરફથી કોઈપણ પ્રકારના પગલા લેવામાં ન આવતા હોવાનો ભાજપ કોર્પોરેટરોએ આરોપ લગાવ્યો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને લખેલા પત્રમાં શિવનગર, ધનાનગર, પોપટનગર, બુદ્ધદેવ સર્કલ, મફ્તનગર, કણબીવાડ સહિતના વિસ્તારોમાં ખુલ્લેઆમ અસામાજિક તત્વો દારૂની મહેફિલ માણતા હોવાનો, હત્યાને અંજામ આપતા હોવાનો, અને સામાન્ય બાબતે મારામારી કરવી, મહિલાઓને છેડતી કરતા હોવાનો આરોપ લગાવ્યો. ગુંડાઓના આતંક સામે પોલીસ ફક્ત મુકપ્રેક્ષક બની હોવાનો પણ ભાજપના કોર્પોરેટરોએ આરોપ લગાવ્યો. સ્થાનિકોની માગ છે કે અનેક ફરિયાદ છતા પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી. ખાસ કરીને કરચલીયાપરા વિસ્તારમાં પોલીસ ચોકી વધારવી જોઈએ. શૈક્ષણિક સંસ્થાના પરિસરોને પણ અસામાજિક તત્વોએ દારૂના અડ્ડા બનાવી દીધા છે. શાળા અને આંગણવાડીની ફરતે દારૂની બોટલના ઢગલા જોવા મળી રહ્યા છે.





















