Bhavnagar: પાલિતાણામાં સિંહે યુવાનને જડબામાં જકડ્યો, જુઓ રૂંવાડા ઉભા કરી દે તેવો વીડિયો
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગરાજીયા ગામમાં શ્વાસ થંભાવી દેતા દ્રશ્યો જોવા મળ્યો હતો. સવારે કાળુભાઈ પરમાર પાલતુ પશુને ઘાસચારો નાંખી રહ્યા હતા. ત્યારે જ જંગલ વિસ્તારમાંથી આવેલા સિંહે હુમલો કરી દીધો. કાળુભાઈના હાથનો ભાગ સિંહે મોઢા લઈને બેસી ગયો. આ દ્રશ્યો જોઈને ડરી ગયેલા ગ્રામજનોએ કાળુભાઈને બચાવવા બૂમો પાડી, પથ્થરો માર્યા. તેમ છતા પણ સિંહે તેમને છોડ્યા નથી. જો કે અડધો કલાક સુધી મોત સામે ઝઝુમ્યા બાદ કાળુભાઈએ પંપાળતા આખરે સિંહ તેમને છોડીને જંગલ વિસ્તાર તરફ ભાગી ગયો. સિંહના હુમલામાં હાથ અને પીઠના ભાગે ગંભીર ઈજા થતા કાળુભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા. ઘટના બાદ ગ્રામજનોમાં વનવિભાગની કામગીરી સામે પણ રોષ છે. ગ્રામજનોનો આરોપ છે કે અનેકવાર ફોન કર્યા છતા વનવિભાગની ટીમ સમયસર સ્થળ પર ન પહોંચી હતી.
એટલુ જ નહીં વનવિભાગે જાહેર કરેલી પ્રેસનોટમાં દોષનો ટોપલો પણ ગ્રામજનો પર જ ઢોળી દીધો. DCF ચિરાગ અમીને જાહેર કરેલી પ્રેસનોટમાં ગ્રામજનોએ મોટા અવાજો કરતા ગભરાયેલા સિંહે ભાગવાનો પ્રયાસ કર્યો અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયાનો ઉલ્લેખ કર્યો. વનવિભાગના કર્મચારીઓ જ્યારે સ્થળ પર પહોંચ્યા તો વન વિભાગના કર્મચારીએ ગ્રામજનો સાથે ગેરવર્તણુંક પણ કરી હતી.






















