Gujarat Government: રાજ્યમાં બેફામ બનેલા ખનીજચોરો પર અંકુશ લાવવા કવાયત
રાજ્યભરમાં ખનીજનું ગેરકાયદે અથવા ઓવરલોડ વહન કરતા વાહનો સામે કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે. એક વખત વાહન ઝડપાય તો એક મહિના સુધી તે છૂટી નહીં શકે તેમજ ત્રણ વખત ઝડપાશે તો વાહન સરકાર હસ્તક લેવાનો નિર્ણય કરાયો છે. વર્ષ 2025 પૂર્ણ થતાની સાથે જ નવું વર્ષ 2026 શરૂ થતા ખનીજ વિભાગ તરફથી મહત્વનો નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી એમ હતું કે કોઈ ડમ્પર, ટ્રક અથવા ટ્રેકટર સહિતના વાહનો જો ગેરકાયદે ખનીજ વહન કે ઓવરલોડ માટે ઝડપાય તો તે વાહનો સરકારે નક્કી કરેલો દંડ ભરપાઈ કરીને છોડી મૂકાતા હતા અને ફરીથી તે જ વાહનો ગેરકાયદે ખનીજ પ્રવૃતિમાં સક્રિય થઈ જતા હતા.
હવે આ સિસ્ટમ બંધ કરી દેવાનો ખાણ ખનીજ વિભાગે નિર્ણય કર્યો છે. નવા નિયમ મુજબ જો હવે કોઈ વાહન ખનીજ ચોરીમાં ઝડપાશે તો ઓછામાં ઓછા 30 દિવસ સુધી જપ્ત રહેશે. એક મહિના સુધી કોઈ સમાધાન થશે નહીં. નવા નિયમ મુજબ વાહન જપ્ત થયાના 10 દિવસ સુધી કોઈ અરજી પણ સ્વીકારવામાં નહીં આવે. 30 દિવસ સુધી વાહનના માલિકની ઓળખ, ચાલકની ઓળખ અને તેના ઈતિહાસની તપાસ થશે બાદમાં સમાધાન કરવું કે નહીં તે અંગે અંતિમ નિર્ણય લેવાશે. આટલું જ નહીં જો કોઈ વાહન ત્રણ વખત ખનીજ ચોરીમાં ઝડપાશે તો વાહન સરકાર હસ્તગત થઈ જશે. આ નિર્ણયથી ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.





















