Thakor Samaj Bandharan : ઠાકોર સમાજના નવા બંધારણનું કોણે કર્યું ઉલ્લંઘન?, ડીજે સાથે કાઢ્યો વરઘોડો
ક્ષત્રિય ઠાકોર સમાજના બંધારણને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ ગયા મહિને જાન્યુઆરીમાં ક્ષત્રિય ઠાકોર સમાજે કેટલાક મુદ્દાને લઇને બંધારણ ઘડ્યુ હતુ, જેને જેનો તૂટવાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસાના જાંબડિયા ગામમાં ઠાકોર પરિવારે ડીજેના તાલે લગ્નનો વરઘોડો કાઢીને સમાજનું બંધારણ તોડ્યુ હોવાનો આરોપ લાગ્યો છે. લગ્નના આ પ્રસંગે જાણીતા કલાકાર અર્જૂન ઠાકોર અને ગબ્બર ઠાકોરને પણ ઠાકોર સમાજે સોશ્યલ મીડિયા પર હૂરિયો બોલાવ્યો છે. જાબડિયામાં ઘટેલી આ ઘટનાને ઠાકોર સમાજના આગેવાનોએ પણ વખોડી કાઢી છે. ઉલ્લેખનીય છે કે, ગત 4 જાન્યુઆરીએ ઓગડધામમાં સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોએ બંધારણ જાહેર કર્યુ હતુ.
ક્ષત્રિય ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન કરવાનો કિસ્સો સામે આવ્યો છે. માહિતી પ્રમાણે, બનાસકાંઠાના ડીસાના જાબડિયામાં એક ઠાકોર પરિવારે લગ્ન પ્રસંગે ડીજેના તાલે વરઘોડો કાઢ્યો હતો, જેમાં જાણીતા કલાકાર અર્જૂન ઠાકોર અને ગબ્બર ઠાકોરે ડીજેના તાલે ગીત ગાયા હતા, આનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં જ ઠાકોર સમાજમાં રોષ ફેલાયો અને બન્ને કલાકારો પર સમાજનું બંધારણ તોડવાનો આરોપ લાગ્યો હતો. ડીજે પરના આ વરઘોડાની પૉસ્ટ સમાજના આગેવાન લક્ષ્મણજી ઠાકોરે મુકી હતી હતી, હવે તેના પર તીખી પ્રતિક્રિયા આવી રહી છે. જોકે, હવે ઘટનાના પડઘા પડતાં સમાજના આગેવાનો અને ઠાકોર સમાજની એક કમિટી આવતીકાલે જાબડિયા ગામે જવાની હોવાની વાત મંત્રી સ્વરૂપજી ઠાકોરે કરી છે. abp અસ્મિતાએ આ વિવાદને લઇ કલાકાર અર્જૂન ઠાકોર અને ગબ્બર ઠાકોરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બન્ને કલાકારો ફોન નથી ઉપાડી રહ્યાં. મહત્વનું છે કે, બનાસકાંઠાના ઓગડધામમાં ગત 4થી જાન્યુઆરીએ ગેનીબેન સહિતના સમાજના આગેવાનોએ સમાજ માટે બંધારણની જાહેરાત કરી હતી.





















