Air India flight emergency landing Chennai : એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, 5 સાંસદો હતા સવાર
Air India flight emergency landing Chennai : એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, 5 સાંસદો હતા સવાર
તિરુવનંતપુરમથી નવી દિલ્હી રવિવારે (૧૦ ઓગસ્ટ) આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટને ખરાબ હવામાનને કારણે શંકાસ્પદ ટેકનિકલ ખામી જણાતાં તેને ચેન્નઈ ડાયવર્ટ કરવી પડી હતી. એરલાઇન્સે પુષ્ટી કરી હતી કે ફ્લાઇટ નંબર A12455નું ચેન્નઈમાં સુરક્ષિત રીતે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને વિમાનની જરૂરી તપાસ કરવામાં આવી હતી. કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલ સહિત ઘણા સાંસદો પણ આ વિમાનમાં સવાર હતા.
એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 10 ઓગસ્ટે તિરુવનંતપુરમથી દિલ્હી જતી AI2455ના ક્રૂને શંકાસ્પદ ટેકનિકલ સમસ્યા અને ખરાબ હવામાનને કારણે સાવચેતી રૂપે ફ્લાઇટને ચેન્નઈ ડાયવર્ટ કરવી પડી હતી. વિમાન ચેન્નઈમાં સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું.
એર ઇન્ડિયાના પ્રવક્તાએ શું કહ્યું?
તેમણે કહ્યું હતું કે અસરગ્રસ્ત મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમને દુઃખ છે. ચેન્નઈમાં અમારા સહયોગીઓ મુસાફરોને તેમની અસુવિધા ઓછી કરવા માટે સહાય પૂરી પાડી રહ્યા છે અને મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી રહ્યા છે. ઘણા સાંસદો પણ આ વિમાનમાં સવાર હતા.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ કે.સી. વેણુગોપાલે સોમવારે (11 ઓગસ્ટ, 2025) X પર પોસ્ટ કરી હતી કે ત્રિવેન્દ્રમથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI 2455, જેમાં હું, અનેક સાંસદો અને સેંકડો મુસાફરો સવાર હતા. ટેકઓફ કર્યાના થોડા સમય પછી અમને અભૂતપૂર્વ ટર્બુલન્સનો સામનો કરવો પડ્યો હતો. લગભગ એક કલાક પછી કેપ્ટને ફ્લાઇટ સિગ્નલમાં ખામી જાહેર કરી અને વિમાનને ચેન્નઈ તરફ ડાયવર્ટ કર્યું હતું.
વિમાન 2 કલાક સુધી હવામાં ચક્કર લગાવતું રહ્યું: વેણુગોપાલ
વેણુગોપાલે કહ્યું કે લગભગ એક કલાક પછી કેપ્ટને ફ્લાઇટ સિગ્નલમાં ખામી જાહેર કરી અને વિમાનને ચેન્નઈ તરફ ડાયવર્ટ કરવાની વાત કરી હતી. લગભગ બે કલાક સુધી વિમાન હવામાં ચક્કર લગાવતું રહ્યું અને લેન્ડિંગની મંજૂરીની રાહ જોતા રહ્યા હતા. એવું કહેવામાં આવ્યું કે એ જ રનવે પર બીજું વિમાન હતું. તે જ ક્ષણે કેપ્ટનના તાત્કાલિક નિર્ણયથી વિમાનમાં સવાર તમામ લોકોના જીવ બચી ગયા. બીજા પ્રયાસમાં વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું હતું.
જવાબદારી નક્કી કરવી જોઈએ જેથી આવી ભૂલ ફરીથી ન થાય: કે.સી. વેણુગોપાલ
તેમણે કહ્યું કે અમે સ્કિલ અને નસીબથી બચી ગયા હતા પરંતુ મુસાફરોની સલામતી નસીબ પર આધાર રાખી શકાતી નથી. હું DGCA અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયને અપીલ કરું છું કે તેઓ આ ઘટનાની તાત્કાલિક તપાસ કરે, જવાબદારી નક્કી કરે અને ખાતરી કરે કે આવી ભૂલ ફરી ક્યારેય ન થાય.
કયા સાંસદો વિમાનમાં સવાર હતા?
સમાચાર એજન્સી IANS અનુસાર, આ એર ઇન્ડિયા વિમાનમાં કેરળના સાંસદ અને કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલ, UDF કન્વીનર અદૂર પ્રકાશ, વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓ કે. સુરેશ, કે. રાધાકૃષ્ણન અને તમિલનાડુના સાંસદ રોબર્ટ બ્રુસ સવાર હતા.
















