Surat Loot With Murder : ગૃહ રાજ્યમંત્રીના શહેરમાં લૂંટારૂ બેફામ, જ્વેલરની ગોળી મારીને હત્યા
Surat Loot With Murder : ગૃહ રાજ્યમંત્રીના શહેરમાં લૂંટારૂ બેફામ, જ્વેલરની ગોળી મારીને હત્યા
સુરતના સચિનમાં લૂંટ દરમિયાન કરવામાં આવેલા ફાયરિંગમાં જ્વેલર્સના માલિકની હત્યા કરવામાં આવી હતી. બાઈક લઈ આવેલા ચાર લૂંટારુ સ્ટેશન બજારની શ્રીનાથ જ્વેલર્સમાં ત્રાટક્યા હતા. લૂંટારુઓએ જ્વેલર્સના માલિક પર ફાયરિંગ કર્યું હતું. બાદમાં ચાર પૈકી એક આરોપીને લોકોએ ઝડપી લીધો હતો અને માર માર્યો હતો. જ્યારે અન્ય ત્રણ આરોપીની શોધવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. બેથી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની માહિતી મળી રહી છે. જ્વેલર્સ માલિક આશિષ ભાઈ મહેશ ભાઈ રાજપરાએ પ્રતિકાર કર્યો હતો. જેમા તેમના પર લૂંટારુઓએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આશિષ રાજપરાને છાતીમાં બે ગોળીઓ વાગી હતી. તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
આ ઘટના અંગે એસીપી નીરવ ગોહિલે જણાવ્યું હતું કે, ઘટનાસ્થળે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એક આરોપી પકડાઈ ગયો છે અને હાલ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ફરાર છે.
નોંધનીય છે કે 7 જૂલાઈએ રાત્રિના સાડા આઠથી પોણા નવ વાગ્યાના અરસામાં ચાર લૂંટારુઓ શ્રીનાથજી જ્વેલર્સમાં ઘૂસી આવ્યા હતા. દુકાનમાં હાજર આશિષ રાજપરાએ પ્રતિકાર કરતા એક લૂંટારુએ તેના પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. લૂંટ કરી ચારેય લૂંટારૂઓ ભાગ્યા હતા. જો કે, એકને લોકોએ ઝડપી પાડી ઢોર માર મારતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. લૂંટની ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ભાગી ગયેલા ત્રણ લૂંટારુઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.





















