શોધખોળ કરો
અમદાવાદઃ યુવા મુસ્લિમ કોર્પોરેટરે કોંગ્રેસ નેતાગીરીને પાડી ઘૂંટણિયે, ટિકિટ કપાયાના કલાકોમાં તો આપવી પડી ટિકિટ.....
બીજી તરફ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIએ કોંગ્રેસના બે ધારાસભ્યો સામે આક્ષેપો કરીને આક્રોશ વ્યક્ત કર્યો છે.

તસવીર ફેસબુક
અમદાવાદઃ કોંગ્રેસે રાજ્યની છ મહાનગરપાલિકાના ઉમેદવારોની જાહેરાતમાં અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારોમાં જમાલપુરના વર્તમાન કોર્પોરેટર શાહનવાઝ શેખની ટિકિટ કાપી નાખતાં કોંગ્રેસમાં બળવાની સ્થિતી સર્જાઈ હતી. શાહનવાઝે શક્તિપ્રદર્શન કરીને કલાકમાં જ કોંગ્રેસ નેતાગીરીને ઘૂંટણિયે પાડીને ટિકિટ મેળવી છે. કોંગ્રેસે શાહનવાઝ શેખને ખાડીયાથી ટીકીટ આપી છે. આ પહેલાં શેખ જમાલપુરથી જીત્યા હતા પણ હવે તેમને ખાડીયામાંથી ટીકીટ આપી છે. શાહનવાઝ શેખે જમાલપુરમાંથી જ લડવાનો આગ્રહ રાખ્યો હતો પણ નેતાઓએ માંડ માંડ સમજાવટ કરીને શાહનવાઝને ખાડીયાથી લડવા તૈયાર કર્યા છે. શાહનવાઝ શેખના સમર્થનમાં એન.એસ.યુ.આઈ.ના 500થી વધુ હોદ્દેદારોએ રાજીનામાં ધરી દીધાં હતાં. બીજી તરફ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIએ કોંગ્રેસના બે ધારાસભ્યો સામે આક્ષેપો કરીને આક્રોશ વ્યક્ત કર્યો છે. શાહનવાઝ શેખની ટિકિટ ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાએ કપાવી હોવાનો આક્ષેપ કરાયો હતો. એનએસયુઆઈના કાર્યકરોએ કહ્યું છે કે, બે ધારાસભ્યોએ ગુજરાત કોંગ્રેસને બાનમાં લીધી છે. એનએસયુઆઈના કાર્યકરોએ ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા વિરૂધ્ધ ‘ટિકીટોં કે દલાલોં કો, જુતે મારો સાલોં કો’ એવા નારા પણ લગાવ્યા હતા. NSUIએ બંને ધારાસભ્યોને કૌભાંડી ગણાવ્યા હતા. રાજ્યસભાની ચૂંટણીની ચીમકી આપીને ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાએ શાહનવાઝ શેખની ટિકિટ કાપી હોવાનો સમર્થકોનો મત છે. તેમનો દાવો છે કે, હાઇકમાન્ડે મોકલેલી યાદીમાં શાહનવાઝ શેખનું નામ નક્કી કરવામાં આવ્યું હતું પણ ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાએ તેની ટિકિટ કાપી નાંખી.
વધુ વાંચો





















