ભાવનગર ડુપ્લીકેટ દારૂકાંડમાં મોટુ અપડેટ, ઝેરી દારૂની ફોર્મ્યુલા આપનારા ડૉક્ટર અને શિક્ષક સહિત 5 લોકોના મોત
Bhavnagar Spurious Liquor Tragedy: ભાવનગર શહેરના ઘોઘા સર્કલ સહિતના વિવિધ વિસ્તારોમાં મંગળવારે મોડી રાત્રે નકલી કેફી પીણાનું સેવન કરવાથી લોકોની તબિયત એકાએક બગડવા લાગી હતી

- ભાવનગરમાં ઝેરી દારૂ પીવાથી પાંચ લોકોના શંકાસ્પદ મોત.
- દારૂની ફોર્મ્યુલા આપનાર તબીબ, શિક્ષક પણ મૃત્યુ પામ્યા.
- વીસથી વધુ લોકો ગંભીર, અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર હેઠળ.
- પોલીસ દ્વારા દારૂના સપ્લાય નેટવર્કની તપાસ તેજ બની.
Bhavnagar Spurious Liquor Tragedy: ભાવનગરમાં મંગળવારે રાત્રે પીવાયેલા ઝેરીલા અને ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂના કારણે પાંચ લોકોના શંકાસ્પદ મોત નીપજ્યા છે. આ બનાવમાં દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ અને શિક્ષક હિતેશ પરમારનો સમાવેશ થાય છે. હાલમાં 20 જેટલા લોકો અલગ-અલગ 5 હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ઘટનાની વિગતવાર માહિતી અનુસાર, ભાવનગર શહેરના ઘોઘા સર્કલ સહિતના વિવિધ વિસ્તારોમાં મંગળવારે મોડી રાત્રે નકલી કેફી પીણાનું સેવન કરવાથી લોકોની તબિયત એકાએક બગડવા લાગી હતી. ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવાની ફોર્મ્યુલા આપનારા સ્થાનિક તબીબનું પણ આ ઝેરી પીણાના સેવનથી મોત નીપજ્યું છે, જ્યારે ગિલ્બર્ટ એપાર્ટમેન્ટમાંથી શિક્ષક હિતેશ પરમારનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઉપરાંત, ઘોઘા સર્કલ વિસ્તારના અવિનાશ ડાંગર નામના યુવકે પણ રાત્રિના સમયે આ દારૂનું સેવન કર્યું હોવાથી તેની તબિયત અત્યંત નાજુક બની હતી, જેને ત્વરિત ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ શહેરની પાંચ અલગ-અલગ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં 20થી વધુ લોકો ઝેરી અસરના કારણે ઝઝૂમી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અતિ ઝેરી રસાયણો ભેળવીને બનાવવામાં આવેલા આ ડુપ્લીકેટ દારૂના કારણે લોકોના વિઝન અને આંતરડા પર ગંભીર અસર થઈ છે.
આ ભયાનક ઘટનાના કારણે ભાવનગરના પોલીસ તંત્ર અને આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. પોલીસ દ્વારા નકલી દારૂના સપ્લાય નેટવર્કને પકડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે અને શંકાસ્પદ સેમ્પલો ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આગામી સમયમાં આ દારૂકાંડ પાછળના મુખ્ય ગુનેગારો સામે કડક કાર્યવાહી થવાની અને મૃત્યુઆંક વધુ ન વધે તે માટે તબીબી સહાય સઘન બનાવવાની પૂરી શંકા છે.
Before You Go
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર





















