₹15,000 કે તેથી વધુના ઓટોમેટિક પેમેન્ટ માટે હવે વધારાનું ઓથેન્ટિકેશન (AFA) કરવું ફરજિયાત છે. આ નિયમ તાત્કાલિક અસરથી લાગુ થયો છે.
ડિજિટલ પેમેન્ટ માટે RBI નો મોટો નિર્ણય, ₹15,000 થી વધુના વ્યવહાર પર લાગુ થશે નવો નિયમ
ઈ-મેન્ડેટને લઈને RBI ની નવી ગાઈડલાઈન જાહેર, જાણો રિકરિંગ પેમેન્ટના નવા નિયમો વિશે બધું જ.

- RBI દ્વારા ₹15,000 થી વધુના ઈ-મેન્ડેટ માટે OTP જરૂરી.
- ઓટોમેટિક પેમેન્ટ, વીમા, મ્યુચ્યુઅલ ફંડ પર નવા નિયમ.
- ગ્રાહકો ઈ-મેન્ડેટ લિમિટ સેટ અને કેન્સલ કરી શકશે.
- બેંકો ઈ-મેન્ડેટ માટે કોઈ ચાર્જ વસૂલ કરી શકશે નહીં.
RBI digital payment rules: જો તમે પણ ઓનલાઈન કે ડિજિટલ પેમેન્ટ કરતા હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 21 એપ્રિલના રોજ ડિજિટલ પેમેન્ટ અને ઈ-મેન્ડેટ (E-Mandate) ને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ નવા નિયમ મુજબ, હવે ₹15,000 કે તેથી વધુના ઓટોમેટિક કે રિકરિંગ પેમેન્ટ માટે એક વધારાનું ઓથેન્ટિકેશન (AFA - એક પ્રકારનું વેરિફિકેશન) કરવું ફરજિયાત બની ગયું છે. આ નિયમ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને UPI દ્વારા થતા તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પેમેન્ટ પર તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યો છે.
ગાઈડલાઈનમાં શું છે ખાસ?
RBI ની આ નવી ગાઈડલાઈન મુજબ, જો તમારું કોઈ પેમેન્ટ ₹15,000 થી વધુ છે અને તે દર મહિને કે નક્કી કરેલા સમયે આપોઆપ કપાતું હોય (જેમ કે કોઈ સબસ્ક્રિપ્શન), તો તેના માટે તમારે એડિશનલ ઓથેન્ટિકેશન (AFA) એટલે કે OTP કે પિન નાખીને મંજૂરી આપવી પડશે. આ ઉપરાંત, વીમાનું પ્રીમિયમ, મ્યુચ્યુઅલ ફંડના હપ્તા અને ₹1 લાખથી વધુના ક્રેડિટ કાર્ડના બિલની ચુકવણી માટે પણ આ વધારાનું વેરિફિકેશન લેવલ જરૂરી બનશે.
કેવી રીતે થશે રજિસ્ટ્રેશન?
RBI એ સ્પષ્ટ કર્યું છે કે ઈ-મેન્ડેટની સુવિધા શરૂ કરવા માટે ગ્રાહકોએ એકવાર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. બેંકની સામાન્ય પ્રોસેસ પૂરી થયા પછી, AFA (વધારાના પ્રમાણીકરણ પરિબળ) ની ચકાસણી સફળ થાય ત્યારબાદ જ તમારો ઈ-મેન્ડેટ એક્ટિવ થશે. ખાસ વાત એ છે કે આ મેન્ડેટ હેઠળ થતું પહેલું પેમેન્ટ પણ AFA દ્વારા જ વેરિફાય થવું જોઈએ.
आरबीआई ने डिजिटल भुगतान- ई-अध्यादेश रुपरेखा, 2026 संबंधी समेकित निदेश जारी किए
— ReserveBankOfIndia (@RBI) April 21, 2026
RBI issues consolidated directions on Digital Payments – E-mandate framework, 2026https://t.co/acBYpCnbDN
તમે જાતે જ લિમિટ સેટ કરી શકશો
આ ઈ-મેન્ડેટની એક ચોક્કસ સમયમર્યાદા (વેલિડિટી) હશે, અને સૌથી સારી વાત એ છે કે યુઝર્સ ગમે ત્યારે તેમાં ફેરફાર કરી શકે છે અથવા તો તેને કેન્સલ પણ કરી શકે છે. બેંકોએ ગ્રાહકોને રજિસ્ટ્રેશન વખતે જ આ સુવિધા વિશે ચોખ્ખી માહિતી આપવાની રહેશે. તમે ફિક્સ રકમ અથવા તો બદલાતી (વેરિયેબલ) રકમ માટે પણ ઈ-મેન્ડેટ સેટ કરી શકો છો, જેમાં તમે મહત્તમ રકમની લિમિટ જાતે જ નક્કી કરી શકશો.
જો તમે કોઈ ચાલુ મેન્ડેટમાં ફેરફાર કરશો, તો ફરીથી નવું ઓથેન્ટિકેશન કરવું પડશે. હા, RBI એ એ પણ ચોખવટ કરી છે કે ગ્રાહકો પાસેથી આ ઓટોમેટિક રિકરિંગ પેમેન્ટ કે ઈ-મેન્ડેટ સુવિધા માટે બેંક કોઈ પણ પ્રકારનો ચાર્જ કે ફી વસૂલ કરી શકશે નહીં.
Frequently Asked Questions
RBI દ્વારા ડિજિટલ પેમેન્ટ અને ઈ-મેન્ડેટ માટેના નવા નિયમો શું છે?
કયા પ્રકારના પેમેન્ટ પર આ નવા નિયમો લાગુ પડશે?
આ નિયમો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને UPI દ્વારા થતા તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પેમેન્ટ પર લાગુ પડે છે.
ઈ-મેન્ડેટની સુવિધા શરૂ કરવા માટે મારે શું કરવું પડશે?
તમારે એકવાર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. બેંકની પ્રોસેસ અને AFA ચકાસણી સફળ થયા પછી તમારો ઈ-મેન્ડેટ એક્ટિવ થશે.
શું હું ઈ-મેન્ડેટની લિમિટ જાતે સેટ કરી શકું છું?
હા, તમે ફિક્સ કે બદલાતી રકમ માટે ઈ-મેન્ડેટ સેટ કરી શકો છો અને મહત્તમ રકમની લિમિટ જાતે નક્કી કરી શકો છો.
શું ઓટોમેટિક રિકરિંગ પેમેન્ટ સુવિધા માટે કોઈ ચાર્જ લાગશે?
ના, RBI ની માર્ગદર્શિકા મુજબ, બેંકો ગ્રાહકો પાસેથી આ સુવિધા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ કે ફી વસૂલ કરી શકશે નહીં.






















