સોનાના ભાવ કેમ આસમાને પહોંચ્યા? કિંમત ક્યારે નિયંત્રણમાં આવશે? સરકારે સંસદમાં આપ્યું મોટું નિવેદન
gold price surge India: વૈશ્વિક અશાંતિ વચ્ચે સોનું બન્યું 'સેફ હેવન', જૂના રોકાણકારોની સંપત્તિમાં ધરખમ વધારો; જાણો શું છે સરકારનો તર્ક.

- સોનાના ભાવવધારા પાછળ આંતરરાષ્ટ્રીય કારણો જવાબદાર છે, સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી.
- યુદ્ધ અને મંદીના ડરને કારણે લોકો સોનાને સુરક્ષિત રોકાણ માની રહ્યા છે.
- ભારતમાં કિંમતો વૈશ્વિક રેટ, ડોલરનું મૂલ્ય અને ઈમ્પોર્ટ ડ્યુટી પર આધારિત છે.
- જેમના ઘરમાં જૂનું સોનું છે, તેમની સંપત્તિના મૂલ્યમાં મોટો વધારો થયો છે.
- ભાવ ઊંચા હોવા છતાં દેશમાં સોના-ચાંદીની જંગી આયાત ચાલુ છે.
gold price surge India: છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીના ભાવ (Gold and Silver Prices) રોકેટ ગતિએ વધી રહ્યા છે. સામાન્ય માણસના મનમાં પ્રશ્ન છે કે આખરે આ ભાવવધારો ક્યારે અટકશે? આ અંગે સરકારે હવે સંસદમાં સ્થિતિ સ્પષ્ટ કરી છે. લોકસભામાં એક લેખિત જવાબ આપતા નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, કિંમતી ધાતુઓના ભાવમાં આવેલો ઉછાળો મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય પરિબળો પર આધારિત છે.
શા માટે વધી રહ્યા છે ભાવ?
સરકારના જણાવ્યા અનુસાર, વૈશ્વિક ભૂરાજકીય તણાવ (Geopolitical Tension) અને આર્થિક અનિશ્ચિતતા આ માટે જવાબદાર મુખ્ય કારણો છે. જ્યારે દુનિયામાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય છે અથવા વૈશ્વિક મંદી (Global Recession) નો ડર ઉભો થાય છે, ત્યારે રોકાણકારો શેરબજાર જેવા જોખમી સાધનોમાંથી નાણાં પાછા ખેંચીને સોના-ચાંદી જેવી સુરક્ષિત સંપત્તિ (Safe Haven Assets) તરફ વળે છે. આ "સેફ હેવન" તરીકેની માંગ ભાવમાં વધારો કરે છે. આ ઉપરાંત, વિશ્વભરની સેન્ટ્રલ બેંકો દ્વારા સોનાની જંગી ખરીદી પણ બજારમાં તેજીનું કારણ બની છે.
ભારતમાં સોનાના ભાવ નક્કી થવા પાછળ આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, ડોલર સામે રૂપિયાનું મૂલ્ય અને સ્થાનિક ટેક્સ (ઈમ્પોર્ટ ડ્યુટી) મહત્વનો ભાગ ભજવે છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે સોના-ચાંદીના ભાવ બજાર આધારિત છે અને સરકાર તેમાં સીધો હસ્તક્ષેપ કરતી નથી.
રોકાણકારો અને સામાન્ય જનતા પર અસર આ ભાવવધારાની સીધી અસર એવા પરિવારો પર સકારાત્મક જોવા મળી છે જેમની પાસે પહેલેથી જ સોનું અને ચાંદી ઉપલબ્ધ છે. તેમના ઘરેલુ સંપત્તિના મૂલ્યમાં મોટો વધારો થયો છે. સોનું ભારતમાં માત્ર ઘરેણાં નથી, પરંતુ મુશ્કેલ સમયનું સાથી અને ઉત્તમ રોકાણ વિકલ્પ (Investment Option) પણ માનવામાં આવે છે.
આંકડાઓ પર નજર કરીએ તો, ચાલુ નાણાકીય વર્ષમાં સપ્ટેમ્બર સુધીમાં ભારતે અંદાજે $26.51 બિલિયનનું સોનું અને $3.21 બિલિયનની ચાંદી આયાત કરી છે, જે દેશમાં કિંમતી ધાતુઓની મજબૂત માંગ દર્શાવે છે. જોકે, અલગ-અલગ રાજ્યો અને સમુદાયોમાં સોનાનું મહત્વ ભિન્ન હોવાથી ભાવવધારાની અસર પણ દરેક જગ્યાએ એકસરખી નથી.





















