Ambalal patel: ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત કમોસમી વરસાદ અને માવઠાને લઈ આગાહી કરી છે. તેમની આગાહી અનુસાર રાજ્યમાં 28 માર્ચથી વાતાવરણમાં પલટો આવશે.

અમદાવાદ: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત કમોસમી વરસાદ અને માવઠાને લઈ આગાહી કરી છે. તેમની આગાહી અનુસાર રાજ્યમાં 28 માર્ચથી વાતાવરણમાં પલટો આવશે. 28 માર્ચથી 2 એપ્રિલ સુધી માવઠાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં માવઠાની આગાહી
સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે. હવામાન નિષ્ણાંત અંબાલા પટેલની આગાહી અનુસાર, 28 માર્ચથી 2 એપ્રિલ સુધીમાં વરસાદની શક્યતા હોવાના કારણે ખેડૂતોએ સાવચેતી રાખવી પડશે. ઉત્તર ગુજરાત,મધ્યગુજરાત,સૌરાષ્ટ્ર તેમજ કચ્છના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં પલટો આવવાની સંભાવના છે.
હવામાન વિભાગે રાજ્યમાં 4 એપ્રિલ સુધી વરસાદની આગાહી કરી
રાજ્યમાં ગત સપ્તાહથી વાતાવરણમાં પલટો આવ્યો છે. એક બાદ એક સિસ્ટમ એક્ટિવ થતાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વાતાવરણમાં પલટાના સંકેત આપ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં લગભગ 4 એપ્રિલ સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયા હળવા વરસાદનું અનુમાન છે. આ સાથે તાપમાનો પારો પણ ગગડશે. જેથી લોકોને ગરમીથી રાહત મળશે. જો કે કમોસમી વરસાદના અનુમાને ખેડૂતોની ચિંતા વધારી છે. ખાસ કરીને બાગાયતી ખેતી કરતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. કેરીનો પાક હાલ તૈયાર થવાના સમયે છે. ત્યારે આ સમયે વાતાવરણમાં પલટો કેરીનો પાક બગડવાનાં સંકેતો આપતા આંબાનો બાગ ધરાવતાં ખેડૂત ચિંતામાં મૂકાયા છે.
ગુજરાતમાં વાતાવરણમાં પલટાના સંકેત
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ સુધી હજુ પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને ભેજવાળા પવનના કારણે આ વાદળછાયું વાતાવરણ વચ્ચે ક્યાંક-ક્યાંક છૂટછવાયો વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં બીજી બે સિસ્ટમ આવનાર છે. આ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં વાતાવરણમાં પલટાના સંકેત મળી રહ્યાં છે. આ બે સિસ્ટમ કેટલી મજબૂત હશે તેના પર કમોસમી વરસાદનો આધાર છે.
જો સિસ્ટમ મજબૂતીથી આગળ વધશે તો ફરી ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં માવઠાનું સંકટ છે પરંતુ જો સિસ્ટમ નબળી હશે તો વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક ક્યાંક છૂટછવાયો કમોસમી વરસાદ વરસશે. હાલની સ્થિતિના આંકલન મુજબ 28થી 30 સુધી કમોસમી વરસાદની શક્યતા પ્રબળ દેખાઇ રહી છે. આ સમય દરમિયાન ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં કમોસમી વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન કેટલીક જગ્યા હળવો તો કેટલીક જગ્યાએ હળવાથી વધુ મધ્યમ વરસાદ વરસી શકે છે. કેટલાક વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે પણ વરસાદ થઇ શકે છે. ટૂંકમાં કહીએ તો ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે 4 એપ્રિલ સુધી વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.





















