તેમણે દર મહિનાના ચોથા બુધવારે યોજાતા 'જિલ્લા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ'માં અચાનક હાજરી આપી હતી. તેઓ ગાંધીનગરથી વિડીયો વોલ મારફતે મહેસાણા, કચ્છ અને ભાવનગર જિલ્લાના કાર્યક્રમમાં જોડાયા હતા.
‘કાગળ પર નહીં, અરજદારને સંતોષ થાય તેવો નિકાલ કરો’: CM ભૂપેન્દ્ર પટેલે કલેક્ટરોને આપી તાકીદ
અધિકારીઓને કડક તાકીદ: માત્ર કાગળ પર નિકાલ ન કરો, અરજદારને સંતોષ થાય તે રીતે કામ કરો; પડતર પ્રશ્નો 15 દિવસથી 1 મહિનામાં ઉકેલવા આદેશ.

- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'જિલ્લા સ્વાગત'માં અચાનક જોડાઈ પ્રશ્નો સાંભળ્યા.
- અધિકારીઓને અરજદારને સંતોષ થાય તેવું નિરાકરણ લાવવા સૂચના આપી.
- મહેસાણા-ભાવનગરની ફરિયાદો પર ત્વરિત કાર્યવાહીનો નિર્દેશ કર્યો હતો.
- પડતર અરજીઓ 15-30 દિવસમાં નિવારવા CMOને રિપોર્ટ મોકલવા આદેશ.
CM Bhupendra Patel surprise visit: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય નાગરિકોના પ્રશ્નો ઉકેલવા માટે એક નવો અને સંવેદનશીલ અભિગમ અપનાવ્યો છે. દર મહિનાના ચોથા બુધવારે યોજાતા 'જિલ્લા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ'માં કોઈપણ આગોતરી જાણ કર્યા વિના જ મુખ્યમંત્રી અચાનક ઓનલાઈન જોડાઈ ગયા હતા. ગાંધીનગરથી વિડીયો વોલ મારફતે મહેસાણા, કચ્છ અને ભાવનગર જિલ્લાના કાર્યક્રમમાં હાજરી આપીને તેમણે સીધા જ અરજદારોની રજૂઆતો સાંભળી હતી. આ સરપ્રાઈઝ વિઝિટથી અધિકારીઓ ચોંકી ગયા હતા, જ્યારે લોકોને પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી સાથે સીધો સંવાદ કરવાનો મોકો મળતા તેમનો સરકાર અને તંત્ર પર વિશ્વાસ વધુ દ્રઢ થયો છે.
માત્ર કાગળ પર નિકાલ નહીં, અરજદારને સંતોષ થવો જોઈએ
મુખ્યમંત્રીએ તમામ જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી છે કે, જિલ્લા કે તાલુકા સ્વાગતમાં આવતી રજૂઆતોનો માત્ર કાગળ પર નિકાલ કરવાને બદલે અરજદારને પૂરેપૂરો સંતોષ થાય તે રીતે સમસ્યાનો ઉકેલ લાવો. તેમણે કલેક્ટરોને એવો ઈનિશ્યેટિવ લેવા જણાવ્યું કે જેથી કરીને કોઈપણ નાગરિકને છેક 'રાજ્ય સ્વાગત' સુધી ધક્કા ખાવા જ ન પડે અને તેમના પ્રશ્નોનો 100 ટકા નિકાલ સ્થાનિક (જિલ્લા કે તાલુકા) કક્ષાએ જ થઈ જાય.
મહેસાણા અને ભાવનગરના કિસ્સામાં ત્વરિત એક્શન
આ કાર્યક્રમ દરમિયાન મહેસાણાના એક ફ્લેટ ધારકે બિલ્ડર પૈસા પરત ન આપતો હોવાની રજૂઆત કરી હતી. જેના પર મુખ્યમંત્રીએ કલેક્ટરને તાત્કાલિક એક્શન લઈ બિલ્ડર પાસેથી પૈસાની વસૂલાત કરી અરજદારને અપાવવા કડક આદેશ કર્યો હતો. આવી જ રીતે, ભાવનગરના પાલિતાણામાં ગૌચરની જમીન પર પાકા મકાનો બની ગયા હોવાની ફરિયાદ પર તેમણે જમીન માપણીની પ્રક્રિયા સત્વરે પૂરી કરી અરજદારને યોગ્ય ન્યાય અપાવવા તાકીદ કરી હતી. સાથે જ એવો પણ સ્પષ્ટ નિર્દેશ આપ્યો કે ગૌચર જમીનો પર દબાણના કિસ્સામાં માપણી માટેની ફી હવેથી સરકાર જ ભરશે.
આ પણ વાંચોઃ CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
15 દિવસથી 1 મહિનામાં રિપોર્ટ CMO ને મોકલવા આદેશ
મુખ્યમંત્રીએ તમામ અધિકારીઓને સ્પષ્ટ કહ્યું છે કે પડતર રજૂઆતોનું 15 દિવસથી લઈને 1 મહિનાની અંદર નિવારણ આવવું જ જોઈએ. આ ઉકેલ લાવીને અરજદારના ફોન નંબર સાથેની સંપૂર્ણ વિગતો મુખ્યમંત્રી કાર્યાલય (CMO) ને મોકલવાની રહેશે. વધુમાં, છેલ્લા 6 મહિનામાં જિલ્લા સ્વાગતમાં રજૂઆત થઈ હોય પણ જે-તે વિભાગે તેને ગંભીરતાથી ન લીધી હોય, તેવા પ્રશ્નોનો અરજદાર સાથે ચર્ચા કરીને 31 જુલાઈ સુધીમાં ઉકેલ લાવી અહેવાલ સોંપવા પણ કડક સૂચના આપવામાં આવી છે.
સમસ્યા ગૂંચવશો નહીં, સાચી સમજ આપો
ઘણીવાર સરકારી બાબતોમાં નિયમોને કારણે કામ થતું નથી હોતું. આ અંગે સીએમ પટેલે જણાવ્યું કે, જો કોઈ પ્રશ્ન નિયમ મુજબ ઉકેલી શકાય તેમ ન હોય, તો વિભાગો વચ્ચે માત્ર પત્રવ્યવહાર કરીને સમસ્યાને વધુ જટિલ બનાવવાને બદલે અરજદારને તેની સાચી અને સ્પષ્ટ સમજ આપવી જોઈએ. આ ઉપરાંત, દર મહિનાના ચોથા મંગળવારે યોજાતા 'તાલુકા સ્વાગત' કાર્યક્રમમાં પણ જિલ્લા કક્ષાના અધિકારીઓએ ફરજિયાત હાજર રહીને રજૂઆતકર્તાઓના પ્રશ્નોના નિવારણમાં સક્રિયતા દાખવવાની રહેશે.
મુખ્યમંત્રીની આ ડિજિટલ મુલાકાત વખતે ગાંધીનગર ખાતેથી તેમના અગ્ર સચિવ સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ ડૉ. અજય કુમાર તેમજ ખાસ ફરજ પરના અધિકારીઓ ધિરજ પારેખ અને રાકેશ વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત
Frequently Asked Questions
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા કાર્યક્રમમાં સરપ્રાઈઝ વિઝિટ કરી હતી?
મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરોને અરજદારોના પ્રશ્નોના નિરાકરણ માટે શું સૂચના આપી?
તેમણે સૂચના આપી કે માત્ર કાગળ પર નિકાલ કરવાને બદલે અરજદારને પૂરેપૂરો સંતોષ થાય તે રીતે સમસ્યા ઉકેલવી. પ્રશ્નોનો સ્થાનિક કક્ષાએ જ 100% નિકાલ થાય તે સુનિશ્ચિત કરવું.
અરજદારોની પડતર રજૂઆતોનું નિવારણ કેટલા સમયમાં લાવવાનો આદેશ કરાયો છે?
મુખ્યમંત્રીએ 15 દિવસથી લઈને 1 મહિનાની અંદર પડતર રજૂઆતોનું નિવારણ લાવવાનો આદેશ કર્યો છે. ઉકેલ લાવીને અરજદારના ફોન નંબર સાથેની વિગતો CMO ને મોકલવાની રહેશે.
મુખ્યમંત્રીએ ગૌચર જમીન પરના દબાણના કિસ્સામાં શું નિર્દેશ આપ્યો?
તેમણે ગૌચર જમીન પર દબાણના કિસ્સામાં જમીન માપણીની પ્રક્રિયા સત્વરે પૂરી કરી અરજદારને ન્યાય અપાવવા તાકીદ કરી. સાથે જ સ્પષ્ટ નિર્દેશ આપ્યો કે માપણી માટેની ફી હવેથી સરકાર જ ભરશે.






















