Gandhinagar: ચૂંટણી બાદ ઉમેદવારોને ખર્ચનો હિસાબ રજૂ કરવા ચૂંટણી પંચનું અલ્ટીમેટમ, હિસાબ નહી આપનારને ફટકારાશે નોટિસ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. ચૂંટણી આયોગે ચૂંટણી બાદ ઉમેદવારોને ખર્ચનો હિસાબ રજૂ કરવા અલ્ટીમેટમ આપ્યું છે

- સ્થાનિક ચૂંટણી ઉમેદવારોને ખર્ચનો હિસાબ 13 મે સુધી આપવો.
- હિસાબ ન આપનાર ઉમેદવારોને ચૂંટણી પંચ નોટિસ આપશે.
- કોંગ્રેસના 2,223, આપના 3,365 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. ચૂંટણી આયોગે ચૂંટણી બાદ ઉમેદવારોને ખર્ચનો હિસાબ રજૂ કરવા અલ્ટીમેટમ આપ્યું છે. ચૂંટણી પંચે આદેશ આપ્યો હતો કે 13 મે સુધી ચૂંટણીના ખર્ચની વિગતો જમા કરવામાં આવે. સમયસર હિસાબ નહી આપનારને કારણદર્શક નોટિસ ફટકારાશે. ઘણા ઉમેદવારોએ હિસાબ રજૂ ન કરતા ચૂંટણી આયોગે અલ્ટીમેટમ આપ્યું હતું. કોર્પોરેશનમાં 9 લાખ, જિ.પં.માં 6 લાખ, તા.પં.માં 3 લાખ ખર્ચની મર્યાદા છે.
જે ઉમેદવારોએ ખર્ચની કોઈ વિગતો હજુ સુધી મોકલી નથી, તેઓને વિગતો મોકલી દેવા તાકીદ કરાઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારીઓએ કહ્યું કે,ઉમેદવારોએ ચૂંટણી દરમિયાન કરેલા ખર્ચની સંપૂર્ણ વિગતો આપવાની રહેશે. આગામી 13મી મે સુધીમાં આયોગને વિગતો આપવાની રહેશે. ઉમેદવારને AMCમાં 9 લાખ, જિલ્લા પંચાયત 6 લાખ અને તાલુકા પંચાયતમાં 3 લાખની મર્યાદામાં ખર્ચ કરવાની સત્તા છે. ઉમેદવારો પાસેથી ખર્ચ મેળવવાથી લઈ RO કક્ષાએ ચકાસણી કરવા અને જિલ્લા કલેક્ટર કચેરીના હિસાબી વિભાગમાં વિગતો મોકલી આયોગ સુધી પહોંચાડવાની કામગીરી આગામી 13મી મે સુધીમાં પૂરી કરવાની છે. સમયસર ખર્ચના હિસાબો રજૂ નહીં કરાય તો ઉમેદવારોને નોટિસ પણ અપાશે.
આ પણ વાંચોઃ Gujarat Elections:વિકાસની રાજનીતિને આગળ વધારવા જનતાએ ભાજપ પર વિશ્વાસ મૂક્યો-CM ભુપેન્દ્રભાઈ પટેલ
કોંગ્રેસ અને આપના કેટલા ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના 2,223 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી. આમ આદમી પાર્ટીના 3,365 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી. જિલ્લા-તાલુકા પંચાયત, નગરપાલિકા, મનપાના આંકડા સામે આવ્યા હતા. વોટિંગના 10 ટકા મત ન મળતા ડિપોઝિટ જપ્ત થઈ હતી. નોંધનીય છે કે રાજ્યની 84 નગરપાલિકાઓમાં ભાજપે સપાટો બોલાવતા 1676 બેઠકો પર કબ્જો જમાવ્યો છે, જ્યારે કોંગ્રેસ માત્ર 367 બેઠકો પર સમેટાઈ ગઈ છે. 34 જિલ્લા પંચાયતોમાં પણ ભાજપનો જ દબદબો જોવા મળ્યો છે. ભાજપે અહીં 701 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે તો તેની સામે કોંગ્રેસને ફક્ત 103 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. 260 તાલુકા પંચાયતોના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમળ જ ખીલ્યું છે. અહીં ભાજપે જંગી બહુમતી સાથે 2943 બેઠકો પોતાના નામે કરી લીધી છે, જ્યારે કોંગ્રેસના ફાળે 769 બેઠકો આવી છે.
ચૂંટણી પરિણામો બાદ જગદીશ વિશ્વકર્માના કોંગ્રેસ પર આકરા પ્રહાર
ચૂંટણી પરિણામો બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વિશ્વકર્માએ નામ લીધા વિના ગેનીબેન અને મેવાણી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જનતાનો તમાચો કોંગ્રેસના બે નેતાઓ ક્યારેય ભૂલશે નહીં. કોંગ્રેસના બે નેતાઓ માત્ર જ્ઞાતિવાદ ફેલાવાનું કામ કરે છે. બનાસની બેનનો ઉલ્લેખ કરી ગેનીબેન પર નિશાન સાધ્યું હતું. ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના ગઢમાં નહીં ઘરમાં ગાબડું પાડ્યું છે. ચૂંટણીમાં સમાજવાદ નહીં વિકાસવાદ ચાલ્યો છે.





















