Aravalli Election Results: પૂર્વ IPS અને ભાજપ ઉમેદવાર મનોજ નીનામાની હાર, જાણો કેટલા મતે હાર્યા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામોમાં અરવલ્લી જિલ્લાના શામળાજીની ઓડ બેઠક પર ભાજપના ઉમેદવાર અને પૂર્વ IPS મનોજ નીનામાનો પરાજય થયો છે.

- શામળાજીની ઓડ બેઠક પર પૂર્વ IPS મનોજ નીનામા હારી ગયા.
- મનોજ નીનામા 2700 મતોથી ચૂંટણી હારી ગયા છે.
- ભાજપની ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓમાં શાનદાર જીત.
Gujarat Election Results 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામોમાં અરવલ્લી જિલ્લાના શામળાજીની ઓડ બેઠક પર ભાજપના ઉમેદવાર અને પૂર્વ IPS મનોજ નીનામાનો પરાજય થયો છે. શામળાજીની ઓડ બેઠક પર પૂર્વ આઈપીએસ મનોજ નીનામાની હાર થઈ છે. તેઓ 2700 મતોથી ચૂંટણી હારી ગયા છે. ચૂંટણીના પરિણામોમાં પૂર્વ આઈપીએસ અધિકારી મનોજ નીનામાને મોટો ફટકો પડ્યો છે અને શામળાજીની ઓડ બેઠક પર તેમની હાર થઈ છે.
કોણ છે મનોજ નિનામા
1 જૂન 1966ના રોજ જન્મેલા મનોજ નિનામા આદિવાસી સમુદાયથી આવે છે. તેમણે બીકોમ પછી એલએલબી કર્યું છે. 2006ની બેચના આઈપીએસ મનોજ નિનામા ગુજરાત પોલીસમાં લાંબા સમયથી સેવા આપી હતી. તેઓ સ્ટેટ ટ્રાફિક વિંગમાં આઈજીપી હતા. આ પહેલા વડોદરા સિટીમાં પણ ફરજ બજાવી ચુક્યા હતા. તેઓ 31 મે, 2026ના રોજ નિવૃત્ત થવાના હતા પરંતુ આ પહેલા જ રાજીનામું આપી દીધું હતું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ભાજપે તેમને અરવલ્લીમાં શામળાજીની ઓડ બેઠક પરથી ટિકિટ આપી હતી.
અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપની જીત
બપોર સુધીના ટ્રેન્ડ અનુસાર રાજ્યમાં સ્થાનિક સ્વાજ્યની ચૂંટણીમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત થતી હોય તેવું જોવા મળી રહ્યું છે. ચારેય તરફ ભાજપનો ભગવો લહેરાયો છે. કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી અમુક બેઠકો પર આગળ છે પરંતુ સમગ્ર પરિસ્થિતી જોતા સર્વત્ર કેસરિયો લહેરાયો છે. મતદારોએ ફરીથી ભાજપ ઉપર ભરોસો મૂકયો છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત, નગરપાલિકાઓ ભાજપ કબ્જે કરવામાં ફરી સફળ થયું છે. રાજયમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.
અત્યાર સુધીના પરિણામોમાં 15 પૈકી 9 મનપામાં ભાજપનું શાસન આવ્યું છે. જેમાં વાપી, મોરબી, નવસારી, નડિયાદ, કરમસદ-આણંદ, મહેસાણા, ભાવનગર, રાજકોટ, પોરબંદર મહાનગરપાલિકામાં ભાજપનું શાસન નક્કી છે.
આ નગરપાલિકાઓમાં ભાજપનું શાસન
કેશોદ, તાલાલા, વિસનગર, ગોંડલ, ઈડર,સિદ્ધપુર, હિંમતનગર બાબરા નગરપાલિકાઓમાં ભાજપનું શાસન નિશ્વિત થઈ ગયું છે.
ગુજરાતમાં તાજેતરમાં 15 મહાપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જીલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની યોજાયેલી ચુંટણી બાદ આજે સવારથી શરૂ થયેલ મતગણતરીમાં બપોરે 2 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં કેસરીયો જોવા મળી રહ્યો છે.





















