યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
Gogo ban Gujarat: પાન પાર્લર કે ચાની કિટલી પર ગોગો અને રોલિંગ પેપર વેચાણ કરતા પકડાયા તો BNS-2023 હેઠળ થશે સજા.

Gogo ban Gujarat: ગુજરાતના યુવાધનને નશાના રવાડે ચઢતું અટકાવવા માટે રાજ્ય સરકારે એક ઐતિહાસિક અને કડક નિર્ણય લીધો છે. ગૃહ વિભાગે રાજ્યભરમાં તાત્કાલિક અસરથી Rolling Paper (રોલિંગ પેપર), Gogo Smoking Cone (ગોગો પેપર) અને Perfect Roll ના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું છે. હવેથી પાન પાર્લર, ચાની દુકાનો કે કરિયાણાની દુકાનો પર આ વસ્તુઓનું વેચાણ કરવું કાયદેસરનો ગુનો ગણાશે. નિયમ તોડનાર વેપારીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS-2023) ની કલમ 223 હેઠળ કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં નશાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું હતું. ખાસ કરીને 'એબીપી અસ્મિતા' દ્વારા છેલ્લા પાંચ દિવસથી 'ગોગો પેપર' (Gogo Paper) ના ખૂલ્લેઆમ વેચાણ અને તેના દુષ્પ્રભાવ અંગે એક મુહિમ ચલાવવામાં આવી હતી. મીડિયાના આ અસરકારક અહેવાલ બાદ ગુજરાત સરકાર સફાળી જાગી છે અને તાત્કાલિક અસરથી રાજ્યભરમાં ગોગો પેપર, રોલિંગ પેપર અને પરફેક્ટ રોલ જેવી સામગ્રીના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ લાદી દીધો છે.
સરકારના ધ્યાનમાં આવ્યું હતું કે યુવાનો અને સગીરો ચરસ-ગાંજા જેવા માદક પદાર્થોનું સેવન કરવા માટે આ પ્રકારના પેપર્સ અને કોનનો ઉપયોગ કરી રહ્યા છે. આ પેપર્સ માત્ર નશાને પ્રોત્સાહન નથી આપતા, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ઘાતક છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ પેપર્સમાં ટાઇટેનિયમ ઓકસાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, આર્ટીફીશયલ ડાય, કેલ્શિયમ કાર્બોનેટ અને ક્લોરીન બ્લીચ જેવા ઝેરી રાસાયણિક પદાર્થો હોય છે. આ રસાયણો માનવ શરીર માટે ધીમા ઝેર સમાન છે અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ નોતરી શકે છે.
પ્રતિબંધ લગાવતું જાહેરનામું

ગુજરાત ગૃહ વિભાગ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 163(2) અને 163(3) હેઠળ મળેલી સત્તાની રૂએ આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ આદેશ મુજબ, હવેથી કોઈપણ પાન પાર્લર, ચાની કિટલી, પરચૂરણ દુકાન કે ઓનલાઈન માધ્યમો દ્વારા આ સ્મોકિંગ પેપર્સનું વેચાણ, વિતરણ કે સંગ્રહ કરી શકાશે નહીં. જો કોઈ વેપારી કે વ્યક્તિ આ પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરતા ઝડપાશે, તો તેમની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS-2023) ની કલમ 223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં સરળતાથી મળતી નશાની સામગ્રી પર રોક લગાવવાનો અને યુવા પેઢીને બરબાદ થતી અટકાવવાનો છે. સરકારના આ પગલાને વાલીઓ અને સામાજિક સંગઠનો દ્વારા આવકારવામાં આવ્યો છે. પોલીસ તંત્રને પણ આ જાહેરનામાનો કડક અમલ કરાવવા માટે સૂચના આપી દેવામાં આવી છે.





















