પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આવશ્યક ચીજવસ્તુઓ સરળ રીતે મળે તે માટે....
મુખ્યમંત્રીના દિશાનિર્દેશો બાદ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા વ્યાપક પ્રબંધ, ૩૮ આવશ્યક ચીજોના ભાવોનું દૈનિક નિરીક્ષણ, સંગ્રહખોરી સામે કડક કાયદેસર કાર્યવાહીની ચેતવણી.

Gujarat government alert: રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિ (ભારત પાકિસ્તાન વચ્ચેનો તણાવ) ને ધ્યાનમાં રાખીને, ગુજરાત સરકાર નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓની સરળ ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા અને ભાવ નિયંત્રણમાં રાખવા માટે સતર્ક બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સ્પષ્ટ દિશાનિર્દેશોને પગલે, રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ અંગે વ્યાપક પ્રબંધ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો પુરવઠો સરળતાથી મળી રહે અને ભાવ નિયંત્રણમાં રહે તે માટે એક સુદ્રઢ વ્યવસ્થાતંત્ર ગોઠવવાના દિશાનિર્દેશો આપ્યા છે. મુખ્યમંત્રીના આ નિર્દેશો બાદ રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે તાત્કાલિક પગલાં ભર્યા છે અને સંપૂર્ણ પ્રબંધ કર્યો છે.
ભાવ નિયંત્રણ અને જથ્થાની ઉપલબ્ધિ માટે વિશેષ સૂચનાઓ
અન્ન અને નાગરિક પુરવઠા અગ્ર સચિવ આર. સી. મીનાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું છે કે, પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને આવશ્યક ચીજવસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ રહે અને ભાવ નિયંત્રણમાં રહે તે માટે દરેક જિલ્લા કલેક્ટરશ્રીઓને વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. આ માટે ૩૮ આવશ્યક ચીજવસ્તુઓના ભાવોનું સતત નિયંત્રણ અને નિરીક્ષણ રાજ્ય સરકાર તથા દરેક જિલ્લા કલેક્ટરશ્રીઓ દ્વારા દરરોજ કરવામાં આવે છે.
સંગ્રહખોરી સામે કડક કાર્યવાહીની ચેતવણી
આવશ્યક ચીજવસ્તુઓની સંગ્રહખોરી (સ્ટોકિંગ) અથવા જમાખોરી (હોલ્ડિંગ) ન થાય તે માટે તમામ વિક્રેતા, રિટેલર, પ્રોસેસર, મિલર અને ઇમ્પોર્ટરશ્રીઓને જરૂરી કાયદાકીય નિયમોનું પાલન કરવા ખાસ તાકીદ કરવામાં આવી છે. અગ્ર સચિવશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, જો કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા આવશ્યક ચીજવસ્તુઓના સંગ્રહ કે જમાખોરીમાં સંડોવાયેલી જોવા મળશે, તો તેમના વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, ૧૯૫૫ હેઠળ જિલ્લા કલેક્ટરશ્રીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.
ખાદ્ય પદાર્થોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ
રાજ્યમાં હાલ ખાદ્ય પદાર્થોની ઉપલબ્ધિ અને ભાવો અંગે સંતોષ વ્યક્ત કરતા અગ્ર સચિવશ્રીએ જણાવ્યું કે, છેલ્લા ૬ વર્ષમાં હાલ ખાદ્ય પદાર્થોનો છૂટક ફુગાવો (રીટેલ ઇન્ફ્લેશન) સૌથી ઓછા સ્તરે છે. એટલું જ નહીં, તમામ આવશ્યક ખાદ્ય પદાર્થોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તે ઉપરાંત ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા પણ ચાલુ છે.
નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અપીલ
આ સમગ્ર બાબતોને ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા તમામ નાગરિકોને કોઈપણ પ્રકારની અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા અને રાજ્ય સરકાર તથા જિલ્લા વહીવટીતંત્ર પર વિશ્વાસ રાખીને સંપૂર્ણ સહકાર આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. સરકાર પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહી છે.




















