આગામી 4 દિવસ સુધી ગુજરાતમાં કાળઝાળ ગરમી રહેશે અને તાપમાન 44°C ને પાર પહોંચી શકે છે. આ દરમિયાન વાતાવરણ સૂકું રહેશે.
4 દિવસ બપોરે બહાર ન નીકળતા: તાપમાન 44°C પાર, 2 જિલ્લામાં ઓરેન્જ અને 12માં યલો એલર્ટ
રાજ્યમાં આગામી 4 દિવસ આકરી ગરમી અને હીટવેવની આગાહી; કંડલામાં પારો 45.2°C નોંધાયો, લોકોએ બપોરના સમયે કામ વગર ઘરની બહાર ન નીકળવું.

- રાજ્યમાં આગામી 4 દિવસ કાળઝાળ ગરમી, તાપમાન 44°C પાર જશે.
- કચ્છ, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ, 12 જિલ્લામાં યલો એલર્ટ.
- સાઇક્લોનિક સર્ક્યુલેશનથી તાપમાનમાં 2-3°C નો વધારો થશે.
- 4 દિવસ બાદ તાપમાનમાં 2-3°C નો ઘટાડો શક્ય.
Gujarat heatwave alert: ગુજરાતમાં ગરમી હવે તેનો અસલી મિજાજ બતાવી રહી છે. આગામી 4 દિવસ સુધી રાજ્યમાં માથું ફાડી નાખે તેવી કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હીટવેવના કારણે તાપમાન 44°C ને પાર પહોંચી શકે છે, તેથી બપોરના સમયે કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જ હિતાવહ છે. હવામાન વિભાગે ગરમીની ગંભીરતાને જોતા કચ્છ અને સુરેન્દ્રનગર એમ 2 જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ' અને અમદાવાદ સહિત 12 જિલ્લાઓમાં 'યલો એલર્ટ' જાહેર કર્યું છે. એવી પણ પૂરી સંભાવના છે કે આગામી એક-બે દિવસમાં ચાલુ સિઝન અને ગયા વર્ષની ગરમીના જૂના રેકોર્ડ તૂટી શકે છે.
સાયક્લોનિક સર્ક્યુલેશન વધારશે ગરમી
હવામાન વિભાગની માહિતી મુજબ, નોર્થ ઈસ્ટ રાજસ્થાન વિસ્તારમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આના કારણે આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3°C નો વધારો થઈ શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, 11 થી 17 મે દરમિયાન આખા ગુજરાતમાં, તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં વાતાવરણ એકદમ સૂકું રહેશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 41°C થી 44°C ની વચ્ચે રહેવાની સંભાવના છે.
કયા જિલ્લામાં કયું એલર્ટ?
હીટવેવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 11 થી 14 મે સુધી ખાસ ચેતવણી આપવામાં આવી છે. જેમાં આગામી 3 દિવસ માટે કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. જ્યારે સૌરાષ્ટ્રના દ્વારકા, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી અને ગુજરાત રિજિયનના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, આણંદ, વડોદરા, સુરત તેમજ અમદાવાદમાં 'યલો એલર્ટ' અપાયું છે.
આજના તાપમાનનો અંદાજ અને જૂના રેકોર્ડ
જો આજના મહત્તમ તાપમાનની વાત કરીએ તો, અમદાવાદ, ભુજ અને ગાંધીનગરમાં પારો 43°C સુધી પહોંચી શકે છે. જ્યારે અમરેલી, વડોદરા અને રાજકોટમાં 44°C, સુરત અને ભાવનગરમાં 42°C, દાહોદ અને કંડલામાં 41°C તેમજ પોરબંદરમાં 40°C તાપમાન રહેવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ કંડલા એરપોર્ટ પર 45.2°C અને સુરેન્દ્રનગરમાં 45°C તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતા ઘણું વધારે છે. હાલમાં સુરત, પોરબંદર, કેશોદ અને કંડલામાં હીટવેવની સ્થિતિ યથાવત્ છે.
આવતીકાલનું હવામાન: 10થી વધુ રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડશે, જાણો કયા રાજ્યમાં શું એલર્ટ?
પવનની ગતિ અને ક્યારે મળશે રાહત?
પવનની સ્થિતિ જોઈએ તો, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 15 થી 20 નોટ્સની ઝડપે પવન ફૂંકાશે, જે ક્યારેક વધીને 25 નોટ્સ સુધી પણ પહોંચી શકે છે. આગામી 4 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં, પરંતુ 4 દિવસ પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે, જેનાથી લોકોને ગરમીમાંથી થોડી રાહત મળશે. ત્યાં સુધી લોકોએ સાવચેત રહેવું અને હાઈડ્રેટેડ રહેવું જરૂરી છે.
Frequently Asked Questions
ગુજરાતમાં આગામી 4 દિવસ કેવું હવામાન રહેશે?
ગરમીને કારણે કયા જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરાયું છે?
કચ્છ અને સુરેન્દ્રનગરમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. અમદાવાદ સહિત 12 જિલ્લાઓમાં 'યલો એલર્ટ' અપાયું છે.
ગરમી વધવાનું કારણ શું છે?
નોર્થ ઈસ્ટ રાજસ્થાન વિસ્તારમાં સક્રિય થયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે ગરમી વધી રહી છે. આના કારણે મહત્તમ તાપમાનમાં 2 થી 3°C નો વધારો થઈ શકે છે.
આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો ક્યારે જોવા મળશે?
આગામી 4 દિવસ સુધી તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય, પરંતુ 4 દિવસ પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે, જેનાથી લોકોને થોડી રાહત મળશે.





















