હવામાન વિભાગના આંકડા મુજબ, ગુજરાતમાં ચાલુ સિઝનમાં અત્યાર સુધી 80% વરસાદની મોટી ઘટ નોંધાઈ છે. સરેરાશ 104 મીમી સામે માત્ર 18 મીમી વરસાદ જ પડ્યો છે.
ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
Gujarat rain forecast: રાજ્યમાં હાલમાં 80% વરસાદની મોટી ઘટ, વલસાડમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થતાં ગરમીથી રાહત.

- ગુજરાતમાં 80% વરસાદની ઘટ, 2 જુલાઈથી ચોમાસું સક્રિય.
- 2-5 જુલાઈ, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ, એલર્ટ જાહેર.
- વલસાડમાં બે ઈંચ વરસાદ, ભાવનગરમાં રસ્તો બંધ.
- 2 જુલાઈ પછી ગરમી ઘટશે, વાતાવરણમાં ઠંડક અનુભવાશે.
Gujarat rain forecast: જૂન મહિનો પૂર્ણ થવાના આરે હોવા છતાં ગુજરાતમાં હજુ સુધી જોઈએ તેવો વરસાદ પડ્યો નથી, જેના કારણે રાજ્યમાં ચાલુ સિઝનમાં અત્યાર સુધી 80% વરસાદની મોટી ઘટ નોંધાઈ છે. જો કે, રાજ્યના નાગરિકો અને ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, આગામી 2 જુલાઈથી રાજ્યમાં ચોમાસું સક્રિય બને તેવી પૂરી શક્યતા છે. ખાસ કરીને 2 થી 5 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે, જેને પગલે હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારો માટે 'યલો' અને 'ઓરેન્જ' એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વરસાદની 80 ટકા ઘટ: સરેરાશ 104 મીમી સામે માત્ર 18 મીમી વરસાદ
હવામાન વિભાગના સત્તાવાર આંકડાઓ અનુસાર, ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાની પ્રગતિ ઘણી ધીમી રહી છે. સામાન્ય રીતે આ સમયગાળા સુધીમાં રાજ્યમાં સરેરાશ 104 મીમી વરસાદ વરસી જવો જોઈતો હતો, પરંતુ તેની સામે અત્યાર સુધીમાં માત્ર 18 મીમી વરસાદ જ નોંધાયો છે. આમ, સમગ્ર રાજ્યમાં હાલમાં 80% જેટલી વરસાદની તંગી વર્તાઈ રહી છે. જો કે, હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, "આગામી દિવસોમાં સિસ્ટમ સક્રિય થતાં ચોમાસું ઝડપથી આગળ વધશે અને આ ઘટ આગામી દિવસોના ધોધમાર વરસાદથી પૂરી થવાની આશા છે."
વલસાડ અને ભાવનગરમાં વરસાદી માહોલ, વાહનવ્યવહાર પ્રભાવિત
રાજ્યમાં આગામી ભારે વરસાદના સંકેતો આપતા આજે 29 જૂને વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતના વલસાડ શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. વલસાડના ઉમરગામ તાલુકામાં સવારે 4 થી 8 વાગ્યાના ટૂંકા ગાળામાં જ 46 મિલીમીટર એટલે કે આશરે બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે લાંબા સમયથી અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ગયેલા લોકોને મોટી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ તરફ ખેડૂતો પણ ડાંગરના પાક માટે ધરું રોપવાની કામગીરી સહિતની કૃષિ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત બન્યા છે.
બીજી તરફ, ગઈકાલે 28 જૂનની સાંજે સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં પણ સારો વરસાદ નોંધાયો હતો. ભાવનગરના જેસર તાલુકામાં દેપલાથી જેસર ગામ વચ્ચેના માર્ગ પર ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે હાઈવે સંપૂર્ણપણે બંધ કરવો પડ્યો હતો અને વાહનવ્યવહારને વ્યાપક અસર પહોંચી હતી.
આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાનઃ કાલે વીજળીના કડાકા ભડાકા સાથે 17 રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આજે છુટાછવાયા વરસાદની સંભાવના, અમદાવાદમાં પારો 40 ડિગ્રી આસપાસ રહેશે
હવામાન વિભાગની આજની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાઓ તેમજ સંઘપ્રદેશ (દમણ અને દાદરા નગર હવેલી) માં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે.
3 દિવસ બાદ ગરમી ઘટશે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉકળાટ યથાવત
હાલમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. ગઈકાલે 28 જૂને રાજકોટ 41.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત ગાંધીનગર, અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં પણ પારો 40 ડિગ્રીને પાર નોંધાયો હતો. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાના કારણે હજુ આગામી 3 દિવસ સુધી અસહ્ય ઉકળાટ અને અકળામણ અનુભવાશે. જો કે, 2 જુલાઈથી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં જ આગામી 3 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે, જેથી લોકોને ગરમીમાંથી કાયમી રાહત મળશે.
આ પણ વાંચોઃ ગુજરાત પર એકસાથે 3 મજબૂત સિસ્ટમની એન્ટ્રી: આગામી 45 કલાકમાં હવામાન વિભાગે કેમ જાહેર કર્યું મોટું એલર્ટ?
Frequently Asked Questions
ગુજરાતમાં હાલમાં વરસાદની કેટલી ઘટ છે?
ગુજરાતમાં ચોમાસું ક્યારથી સક્રિય થવાની શક્યતા છે?
ભારતીય હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, આગામી 2 જુલાઈથી રાજ્યમાં ચોમાસું સક્રિય બને તેવી પૂરી શક્યતા છે.
કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે?
2 થી 5 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે. આ વિસ્તારો માટે 'યલો' અને 'ઓરેન્જ' એલર્ટ જાહેર કરાયું છે.
વરસાદના કારણે ગરમીમાં કોઈ રાહત મળશે?
હા, 2 જુલાઈથી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 3 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. આનાથી લોકોને ગરમીમાંથી કાયમી રાહત મળશે.






















