ચોમાસા પૂર્વેની તૈયારીઓનો ધમધમાટ: મુખ્ય સચિવ પંકજ જોષી તમામ વિભાગોને આપ્યા આદેશ; કંટ્રોલ રૂમ શરૂ કરવા અને ડિઝાસ્ટર પ્લાન તૈયાર....
NDRF ની ૧૫ અને SDRF ની ૧૧ કંપનીઓ તૈયાર; મોકડ્રીલ અને 'આપદા મિત્રો' ને તાલીમ અપાશે; આ વર્ષે ૧૧૪ થી ૧૧૯% સારો વરસાદ થવાની સંભાવના

Gujarat monsoon 2025: ગુજરાતમાં આગામી ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યનું વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. મુખ્ય સચિવ પંકજ જોષીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેન્દ્ર અને રાજ્યની વિવિધ એજન્સીઓ અને વિભાગોની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં ચોમાસા પૂર્વેની તૈયારીઓનું વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં આગામી ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે કમર કસી છે. મુખ્ય સચિવ પંકજ જોષીએ ગાંધીનગર ખાતે યોજાયેલી પ્રિ મોન્સૂન તૈયારી સમીક્ષા બેઠકમાં સંબંધિત વિભાગોને તાત્કાલિક પોતાના રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ શરૂ કરવા તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર રાખી તેના પર અમલ શરૂ કરવા નિર્દેશ આપ્યા હતા.
તૈયારીઓ અને સંકલન પર ભાર:
મુખ્ય સચિવ જોષીએ જણાવ્યું હતું કે, વિવિધ વિભાગોએ પોતાની જરૂરિયાત મુજબની વસ્તુઓ અને પુરવઠાનો પૂરતો જથ્થો અત્યારથી જ સુનિશ્ચિત કરવો જોઈએ, જેથી ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં નાગરિકોને યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય. તેમનો મુખ્ય ભાર ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે વહીવટીતંત્રને સંપૂર્ણ સજ્જ બનાવવાનો હતો.
આ બેઠકમાં રાજ્યના તમામ વિભાગો, કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ, લશ્કરની ત્રણેય પાંખના પ્રતિનિધિઓ, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સહિત વહીવટી તંત્રના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિના સામનો કરવા માટેના આગોતરા આયોજન અને સજ્જતાની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
વરસાદની આગાહી અને ભૂતકાળના અનુભવો:
મુખ્ય સચિવએ માહિતી આપી હતી કે, છેલ્લા ૨૫ વર્ષમાં ગુજરાતમાં દર વર્ષે સરેરાશ વરસાદ વરસ્યો છે. આ વર્ષે પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત રીજીયનમાં ૧૧૪ ટકા તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૧૧૯ ટકા જેટલો સારો વરસાદ થવાની સંભાવના છે. તેમણે છેલ્લા પાંચ વર્ષમાં એક વર્ષ છોડીને એક વર્ષે આવેલા નાના મોટા વાવાઝોડા, ખાસ કરીને બિપરજોય વાવાઝોડામાં વિવિધ વિભાગોના યોગ્ય સંકલન દ્વારા જાનહાનિ ટાળવામાં આવેલી સફળતાનો ઉલ્લેખ કર્યો હતો. આ વર્ષે પણ અગાઉથી રાજ્ય અને કેન્દ્રના વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન દ્વારા કોઈપણ કુદરતી આપત્તિ સામે પહોંચી વળવા સજ્જ હોવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
વધારાના સૂચનો અને સુરક્ષા દળોની સજ્જતા:
જોષીએ ભૂતકાળમાં વધુ વરસાદ થયો હોય તેવા વિસ્તારોની અત્યારથી સમીક્ષા કરીને આગામી ચોમાસા માટે જરૂરી તૈયારીઓ કરી લેવા પર ભાર મૂક્યો હતો, જેથી અગમચેતીના ભાગરૂપે નુકસાન અટકાવી શકાય. તેમણે શહેરી વિસ્તારોમાં જૂના જોખમી મકાનોની સ્થળ તપાસ કરાવી અત્યારથી જ તેને ખાલી કરાવવા જણાવ્યું હતું જેથી જાનહાનિ ટાળી શકાય. ચોમાસાની તૈયારી સંદર્ભે વિવિધ સ્થળે મોકડ્રીલ યોજવા અને સરદાર સરોવર, ઉકાઈ સહિતના ડેમોમાં પાણીની સ્થિતિ અંગે અગાઉથી વિગતો મેળવવા પણ સૂચના આપી હતી.
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિએ સંભવિત આપત્તિના સામનો માટેની જેટલી આગોતરી સજ્જતા કેળવાય તેટલી ઝડપથી રાહત બચાવની કામગીરી કરી શકાશે તેમ જણાવ્યું હતું. તેમણે તમામ વિભાગોને આપત્તિ વ્યવસ્થાપન પ્લાન જરૂરી ફેરફાર સાથે તૈયાર રાખવા જણાવી, રાજ્ય વહીવટી તંત્ર, કેન્દ્ર સરકારની કચેરીઓ અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે અસરકારક સંકલન રાખવા પર ભાર મૂક્યો હતો. આપત્તિ વ્યવસ્થાપનના ભાગરૂપે રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં 'આપદા મિત્રો'ને તાલીમ આપી સજ્જ કરાશે.
તેમણે ઉમેર્યું કે, સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યમાં NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની ૧૫ કંપનીઓ અને SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની ૧૧ કંપનીઓ ઉપલબ્ધ રહેશે, જેને જરૂરિયાત પ્રમાણે તહેનાત કરી શકાશે. આ ટીમો પૂરતી બોટ, લાઈફ જેકેટ તથા અદ્યતન કમ્યુનિકેશનની સુવિધાઓથી સજ્જ હશે.
કેન્દ્રીય હવામાન વિભાગના અધિકારીએ આગામી ચોમાસાની વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે, આ વર્ષે ગુજરાતમાં દર વર્ષ કરતાં વહેલું ચોમાસું આવવાની શક્યતા છે. હવામાન ખાતા દ્વારા આગામી સમયમાં દર સપ્તાહે વરસાદ વિશે જરૂરી વિગતો આપવામાં આવશે.
આ સમીક્ષા બેઠકમાં મહેસૂલ, ઊર્જા, ગૃહ, સિંચાઈ, જળ સંપત્તિ, નાગરિક પુરવઠા, શહેરી વિકાસ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, શિક્ષણ, આરોગ્ય, GSDMA, સરદાર સરોવર, માર્ગ અને મકાન, બંદરો અને વાહન વ્યવહાર, વન, કૃષિ અને પશુપાલન, માહિતી તેમજ કેન્દ્રીય સુરક્ષાદળો દ્વારા ચોમાસાની તૈયારી સંદર્ભે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરાયા હતા.





















