Morbi: જેતપર ખેડૂતોના આમરણાંત ઉપવાસનો આજે આવશે અંત, આંદોલન પાર્ટ 3ની થશે શરુઆત
મોરબીના જેતપર ખાતે પોતાની પડતર માંગણીઓને લઈને લડત ચલાવી રહેલા અન્નદાતાઓના આંદોલનમાંથી આજે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

- મોરબીના જેતપરમાં ખેડૂતોનો 19 દિવસનો ઉપવાસ આજે સમાપ્ત.
- ખેડૂતોનું સ્વાસ્થ્ય બગડતા આમરણાંત ઉપવાસ સમેટવાનો નિર્ણય.
- આંદોલનનો ઉપવાસ સમાપ્ત, પણ
- જેતપર છાવણી સત્યાગ્રહ બનશે, ગુજરાતના ખેડૂતો જોડાશે.
મોરબીના જેતપર ખાતે પોતાની પડતર માંગણીઓને લઈને લડત ચલાવી રહેલા અન્નદાતાઓના આંદોલનમાંથી આજે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા 19 દિવસથી ચાલી રહેલા ખેડૂતોના આમરણાંત ઉપવાસનો આજે રાત્રે 9 વાગ્યે સત્તાવાર અંત આવશે. જોકે, આ ઉપવાસનો અંત આંદોલનનો અંત નથી, પરંતુ સરકાર સામે આરપારની લડાઈના એક નવા પ્રકરણની શરૂઆત છે. આજે રાત્રે ઉપવાસી ખેડૂતોને પારણા કરાવીને આંદોલનના ત્રીજા તબક્કા એટલે કે 'આંદોલન પાર્ટ-3'નું રણશિંગું ફૂંકવામાં આવશે.
જેતપર ખેડૂતોના આમરણાંત ઉપવાસનો આજે અંત આવશે. ઉપવાસ પર ઉતરેલા ખેડૂતોને આજે રાત્રે પારણા કરાવાશે. પારણા સાથે જ આંદોલન પાર્ટ 3ની જાહેરાત થશે. આમરણાંત ઉપવાસ પૂર્ણ થશે પરંતું ખેડૂતોનું આંદોલન યથાવત રહેશે. જેતપરની ઉપવાસ છાવણી મંગળવારથી સત્યાગ્રહ છાવણી બનશે.
આંદોલનનું સ્વરૂપ બદલાશે
જેતપર ખાતે 19 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા ખેડૂતોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આમરણાંત ઉપવાસ સમેટવાનો નિર્ણય લેવાયો છે, પરંતુ ખેડૂતો પોતાની માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી પીછેહઠ કરવાના મૂડમાં નથી. મંગળવારથી આ આંદોલન વધુ વ્યાપક અને આક્રમક સ્વરૂપ ધારણ કરશે. અત્યાર સુધી જે સ્થળ ‘ઉપવાસ છાવણી’ તરીકે ઓળખાતું હતું, તે આવતીકાલથી ‘સત્યાગ્રહ છાવણી’માં ફેરવાઈ જશે અને મહાત્મા ગાંધીના ચીંધ્યા માર્ગે સરકાર સામે અહિંસક લડત આગળ ધપાવવામાં આવશે.
મોડી રાત્રે ઉપવાસી નેહુલ અમૃતિયાની તબિયત લથડયા બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ખેડૂત આગેવાન વૈભવભાઈ અમૃતિયાએ જાહેર કર્યા મુજબ ખેડૂત હિત, જમીન અને અધિકારોની લડાઈને વધુ મજબૂત બનાવવા માટે યોજાયેલ ઉપવાસ આંદોલનમાં મળેલા અમૂલ્ય સહકાર બાદ, હવે જેતપર ખાતે ઉપવાસના પારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પારણા કાર્યક્રમમાં એક મોટી જાહેરાત પણ થવા જઈ રહી છે. ખેડૂતોના હિત અને તેમના ભવિષ્ય માટે પારણાં કરી 'પાર્ટ-3' ની રજૂઆત બધા સમક્ષ કરવામાં આવશે. આ પાર્ટ-3 અંતર્ગત ગુજરાતના ખેડૂતોને એકઠા કરીને ભવિષ્યની નવી વ્યૂહરચનાની જાહેરાત કરવામાં આવશે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર ઉપવાસ પૂર્ણ થઈ રહ્યા છે, લડત યથાવત રહેશે. આ જાહેરાતને પગલે સ્થાનિક વહીવટી તંત્ર દોડતું થયું છે. જેતપરમાં ખેડૂતોના આ આક્રમક વલણને જોતા આગામી દિવસોમાં આ સત્યાગ્રહ મોરબી સહિત સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બનશે તે નક્કી છે.






















