રાજ્યમાં અતિભારે વરસાદને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી, જુલાઈ-ઓગસ્ટમાં તો....
Paresh Goswami forecast: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જુલાઈ અને ઓગસ્ટમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 98% થી 106% જેટલો વરસાદ જોવા મળશે; ખેડૂતોએ મગફળીનું વાવેતર વધાર્યું.

Rain Forecast: આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ વરસાદે ભુક્કા બોલાવ્યા છે ત્યારે આગળ પણ વરસાદ ધમધોકાર ખાબકશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગળ ચોમાસું કહેવું રહેશે તેને લઈ આગાહી કરી છે. તેમના અનુસાર જુલાઈ અને ઓગસ્ટમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ આ અંગે મહત્વપૂર્ણ આગાહી કરતા જણાવ્યું છે કે, આ વખતે જુલાઈ અને ઓગસ્ટ બંને મહિનામાં ધોધમાર વરસાદ પડી શકે છે. જે ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતના સમાચાર છે.
જુલાઈ-ઓગસ્ટ અને સપ્ટેમ્બરનું અનુમાન
ગોસ્વામીના મતે, ઓગસ્ટ મહિનામાં આશરે 15 દિવસ વરસાદ પડશે અને 15 દિવસ સૂકા રહેશે. સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ જોવા મળશે, જે જુલાઈ મહિના જેવો જ સારો રહેશે. આ પાછળનું કારણ સમજાવતા તેમણે જણાવ્યું કે, છેલ્લા બે દાયકાથી વરસાદી સિસ્ટમની પેટર્ન બદલાઈ છે. સામાન્ય રીતે બંગાળની ખાડીની સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી આવીને ઉત્તર દિશામાં ખસી જતી હોય છે, પરંતુ છેલ્લા એક દાયકામાં આ પેટર્ન બદલાઈ છે. હવે આ સિસ્ટમ મધ્યપ્રદેશથી ઉત્તર તરફ જવાને બદલે ગુજરાત તરફ આગળ વધે છે, આ જ કારણે સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ પડશે.
એકંદર વરસાદ અને કૃષિ પર અસર
પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે, વરસાદની દ્રષ્ટિએ ગુજરાત માટે હવે સમય સારો જ છે. આ વખતે રાજ્યમાં કુલ 98% થી લઈને 106% જેટલો વરસાદ આવશે તેવું અનુમાન છે, અને આ અનુમાન પ્રમાણે જ વરસાદ રહેશે.
બીજી તરફ, રાજ્યના ખેડૂતોએ પણ મોટાભાગે વાવેતર કરી દીધું છે. ખરીફ પાકના વાવેતરમાં કપાસ કરતાં મગફળીના વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સારા વરસાદના અનુમાનને કારણે ખેડૂતોમાં પણ આશાનો સંચાર થયો છે, અને સારો પાક ઉતારવાની અપેક્ષા રાખી રહ્યા છે.
ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાની આગાહી
ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ જળવાઈ રહેવાની શક્યતા છે, તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલ દક્ષિણ ગુજરાતમાં સક્રિય થયેલા અપર એર સરક્યુલેશનના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના છે.
ભારે વરસાદની આગાહી અને એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ખાસ કરીને 2 થી 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દિવસો માટે રાજ્યમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, જે તંત્રને અને નાગરિકોને સાવચેત રહેવા સૂચવે છે. આ ઉપરાંત, બાકીના સાત દિવસ માટે સમગ્ર રાજ્યમાં 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, જે સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના દર્શાવે છે.
અમદાવાદ શહેરમાં પણ આજે 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, જે સૂચવે છે કે શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
વરસાદી અને વાવાઝોડા જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને, આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. આ સૂચના દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો અને માછીમારી સાથે સંકળાયેલા લોકો માટે મહત્વપૂર્ણ છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.





















