Patan: ઠંડીથી બચવા તાપણું કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો, જાણો વિગત
Patan News: નેશનલ હાઇવે ની કામગીરી કરતા પ્લાન્ટ પર બે ઈસમો દાઝ્યા હતા. તાપણું કરતી વખતે આગમાં કોઈ પદાર્થ નાખવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

Patan News: ગુજરાત સહિત હાલ દેશમાં કાતિલ ઠંડી પડી રહી છે. ઠંડીથી રક્ષણ મેળવવા ઘણા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. આ દરમિયાન પાટણમાં ઠંડીથી બચવા તાપણું કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રાધનપુરમાં તાપણું કરતી વખતે બે લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. નેશનલ હાઇવે ની કામગીરી કરતા પ્લાન્ટ પર બે ઈસમો દાઝ્યા હતા. તાપણું કરતી વખતે આગમાં કોઈ પદાર્થ નાખવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે તાપણું કરી રહેલા બે ઈસમો આગની લપેટમાં આવતા તાત્કાલિક રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે મહેસાણા ખાતે રીફર કરાયા હતા.
રાજ્યમાં કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયા લોકો, હજુ આટલા દિવસ રહેશે ઠંડીનું જોર
ઉત્તર ભારતમાં હિમ વર્ષાને પગલે ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, હજુ બે દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે.
નલિયા 2 ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યુ હતું. 3 દિવસ નલિયામાં ચારથી સાત ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા છે. તો 12 શહેરોમાં પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો. અમદાવાદમાં 7.6 ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું. ગાંધીનગરમાં પણ કાતિલ ઠંડી પડતા 5.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.
અમદાવાદમાં સોમવારે લઘુત્તમ તાપમાન 7.6 ડિગ્રીએ પહોંચતા એક વર્ષ બાદ જાન્યુઆરીમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.આગામી 2 દિવસ દરમિયાન ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ રહ્યા બાદ ઠંડીમાં ઘટાડો થઈ શકે છે.આ પહેલા ગયા વર્ષે 24 જાન્યુઆરીના રોજ સૌથી નીચું 6.7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ તો 2016માં 25 જાન્યુઆરીના રોજ 7.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.આજે અને આવતીકાલે પણ શહેરમાં ઠંડીનો પારો 10 ડિગ્રીને આસપાસ રહેશે. 19 જાન્યુઆરીથી 3થી ચાર દિવસ દરમિયાન ઠંડીનું જોર ઘટવાની શક્યતા છે.
બીજી તરફ જમ્મુ-કશ્મીર અને લદ્દાખમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. દ્રાસમાં પારો માઈનસ 26 તો ગુલમર્ગમાં પણ તાપમાન માઈનસ 12 ડિગ્રી નોંધાયુ હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર, જમ્મુ-કશ્મીર અને લદ્દાખમાં 22થી 24 જાન્યુઆરી વચ્ચે ભારે હિમવર્ષા થવાની સંભાવના છે. હિમવર્ષાના કારણે કુપવાડામાં રસ્તાઓ બંધ કરાયા હતા. તો ચોકીબલ-કેરન રોડ પર બરફને હટાવવાની કામગીરી કરીને રસ્તો શરુ કરાયો હતો. કશ્મીરના 12 જિલ્લામાં બરફના તોફાનનું અલર્ટ જાહેર કરાયું હતું કેટલાક વિસ્તારોમાં 48 કલાકમાં 3 વખત હિમસ્ખલન થયુ હતું. કેદારધામમાં બરફવર્ષાના કારણે ત્રણ ફૂટ સુધીના બરફના થર જામ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
