શું ભાજપમાં ગયેલા કોંગ્રેસના નેતા ‘ગધેડા’ઓ છે! ગુજરાતમાં ઘોડા-ગધેડા પર રાજનીતિ ગરમાઈ, ભાજપ-કોંગ્રેસ સામસામે
રાહુલ ગાંધીના નિવેદન બાદ ઋષિકેશ પટેલ અને અમિત ચાવડા વચ્ચે શાબ્દિક પ્રહાર, અર્જુન મોઢવાડીયાએ પણ જંગમાં ઝંપલાવ્યું.

Gujarat political controversy: 8 માર્ચે રાહુલ ગાંધીએ આપેલા એક નિવેદન પર હવે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાજ્યમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે ઘોડા અને ગધેડાના નામે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધી ગુજરાતમાં અધિવેશન કરે કે દિલ્હીમાં, તેનાથી કોઈ ફરક પડવાનો નથી. તેમણે કોંગ્રેસના નેતાઓને ટાંકીને કહ્યું કે કોંગ્રેસમાં કોને ઘોડા ગણવા અને કોને ગધેડા તે સમજવું મુશ્કેલ છે.
ઋષિકેશ પટેલના આ નિવેદન પર કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ તુરંત જ પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું કે હવે કોંગ્રેસમાં માત્ર ઘોડા જ રહ્યા છે, આમ કહીને તેમણે ભાજપમાં ગયેલા કોંગ્રેસી નેતાઓને પરોક્ષ રીતે ગધેડા ગણાવ્યા હતા.
આ મુદ્દે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતા અર્જુન મોઢવાડીયા પણ મેદાનમાં આવ્યા હતા. તેમણે અમિત ચાવડાને સલાહ આપતા કહ્યું કે તેમણે રાહુલ ગાંધીને પૂછવું જોઈએ કે કેટલા વરઘોડાના ઘોડા અને કેટલા ભાજપ સાથે ભળેલા છે.
આમ, રાહુલ ગાંધીના એક નિવેદનને લઈને ગુજરાતના રાજકારણમાં ઘોડા અને ગધેડાની ઉપમાઓ સાથે ભારે શાબ્દિક ટક્કર જોવા મળી રહી છે. બંને પક્ષના નેતાઓ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે, જેના કારણે રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે.
ગુજરાતમાં ૬૪ વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ૮ અને ૯ એપ્રિલે અમદાવાદમાં યોજાશે
ગુજરાતમાં લગભગ ૬૪ વર્ષના લાંબા સમયગાળા બાદ કોંગ્રેસ પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન આગામી ૮ અને ૯ એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાવા જઈ રહ્યું છે. ત્રણ દિવસીય આ મહત્વપૂર્ણ કાર્યક્રમનો પ્રારંભ આજથી જ થઈ ગયો છે. અમદાવાદમાં યોજાઈ રહેલા આ રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા માટે કોંગ્રેસના ટોચના નેતાઓનું આજથી જ અમદાવાદમાં આગમન શરૂ થઈ ચૂક્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કે. સી. વેણુગોપાલ, શશી થરૂર અને અશોક ગેહલોત સહિતના અનેક વરિષ્ઠ નેતાઓ આજે અમદાવાદ આવી પહોંચશે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી આવતીકાલે એટલે કે ૮મી એપ્રિલની સવારે અમદાવાદ પહોંચશે. તેમની સાથે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પણ સવારે અમદાવાદ આવશે. આ બે દિવસ દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમો માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા માટે દેશભરમાંથી આવી રહેલા ૧૮૦૦થી વધુ ડેલિગેટ્સના રહેવા માટે હોટલો અને તેમના આવવા-જવા માટે વાહનોની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.
આજે, ૭મી એપ્રિલની સાંજે ૭ વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યોની કલા અને સંસ્કૃતિનું અદ્ભુત નિદર્શન કરવામાં આવશે, જે ભારતની વિવિધતામાં એકતાની સુંદર ઝાંખી કરાવશે.
આવતીકાલે, ૮મી એપ્રિલે સવારે ૧૧:૩૦ વાગ્યે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની એક મહત્વપૂર્ણ બેઠક શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્મારક ખાતે યોજાશે. આ બેઠકમાં સમગ્ર દેશના પ્રદેશ પ્રમુખો, વર્કિંગ કમિટીના સભ્યો, ધારાસભ્ય દળના નેતાઓ અને વિપક્ષના નેતાઓ ભાગ લેશે. આ ઉપરાંત, આવતીકાલે સાંજે ૭ વાગ્યે અધિવેશન સ્થળ પર એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે.
અધિવેશનના મુખ્ય દિવસ એટલે કે ૯મી એપ્રિલના રોજ સવારે ૯:૩૦ વાગ્યે અધિવેશનની બેઠક મળશે. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજ ફરકાવીને કરવામાં આવશે, ત્યારબાદ એજન્ડા પર વિગતવાર ચર્ચા થશે. અધિવેશનમાં વિવિધ ઠરાવો પર પણ ચર્ચા કરવામાં આવશે. જે કોઈ નેતાને કોઈ ચોક્કસ વિષય પર પોતાનો અભિપ્રાય રજૂ કરવો હોય, તેઓ લેખિતમાં ચિઠ્ઠી મોકલીને પોતાની વાત રજૂ કરવાની તક મેળવી શકશે.
આવતીકાલે સવારે ૧૧ વાગ્યે શાહીબાગ સ્થિત સરદાર સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની એક વધુ મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય સ્તરના મુખ્ય મુદ્દાઓ પર ગહન ચર્ચા અને મંથન કરવામાં આવશે. આ જ દિવસે સાંજે ૫ વાગ્યે કોંગ્રેસના તમામ મુખ્ય આગેવાનો અમદાવાદના ઐતિહાસિક ગાંધીઆશ્રમમાં યોજાનારી પ્રાર્થના સભામાં ભાગ લેશે. આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત કોંગ્રેસ વર્કિંગ કમિટીના તમામ સભ્યો ઉપસ્થિત રહેશે.
અધિવેશનના બીજા અને અંતિમ દિવસે એટલે કે ૯મી એપ્રિલના રોજ સવારે ૯:૩૦ કલાકે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શરૂ થશે. આ અધિવેશનમાં દેશભરના કોંગ્રેસના પ્રતિનિધિઓ ભાગ લેશે અને પાર્ટીની આગામી રણનીતિ અને વિવિધ કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરશે.
આ અધિવેશનની શરૂઆત ૮મી એપ્રિલે વિસ્તૃત કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક સાથે થશે, ત્યારબાદ ૯મી એપ્રિલના રોજ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના પ્રતિનિધિઓની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બંને બેઠકોની અધ્યક્ષતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પોતે કરશે. આ ઉપરાંત, કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ, વરિષ્ઠ નેતાઓ અને અન્ય AICC પ્રતિનિધિઓ પણ આ મહત્વપૂર્ણ બેઠકોમાં હાજર રહેશે. આ અધિવેશન ગુજરાતના રાજકારણ માટે એક મહત્વપૂર્ણ ઘટના સાબિત થશે.





















