સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા AAPને ઝટકો, રાજુ કરપડાએ આપ્યું રાજીનામુ, જાણો કારણ
Gujarat Politics Newsરાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે, તેઓ 5 વર્ષથી AAPમાં સક્રિય હતા, પાર્ટીનો આભર માની રાજુ કરપડાએ કેજરીવાલને રાજીનામું મોકલ્યું છે.

Gujarat Politics News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. AAPના કિસાન સેલના અધ્યક્ષ રાજુ કરપડાએ આજે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. અગાઉ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પણ AAPમાંથી રાજીનામું આપી ચૂક્યા છે
રાજુ કરપડાએ પાર્ટીનો આભાર માની આજે કેજરીવાલને રાજીનામું મોકલ્યું છે. તેઓ 5 વર્ષથી AAPમાં સક્રિય હતા. હાલ તેમણે રાજીનામુ આપવા માટે વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ કર્યો છે, જો કે ગોપાલ ઈટાલિયા સાથે નારાજગીના કારણે રાજીનામું આપ્યાની ચર્ચા પણ છે. રાજુ કરપડાની કડદા પ્રથાને લઈને થયેલા વિવાદમાં ધરપકડ થઈ હતી. કિસાન આંદોલનમાં થયેલી બબાલને લઈ તાજેતરમાં જેલમુક્ત થયા હતા. રાજુ કરપડા હડદડ ગામે થયેલી હિંસા બાદ વધુ ચર્ચામાં આવ્યા હતા.
રાજુ કરપડાએ રાજીનામાનો પત્ર સોશલ મીડિયામાં જાહેર કર્યો છે. પાર્ટીમાં ઝુઝારૂ નેતા તરીકેની રાજુ કરપડાની ઓળખ છે .પાંચ વર્ષથી આમ આદમી પાર્ટીમાં રાજુ કરપડા સક્રિય હતા. રાજુ કરપડા 2021-22માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા બેઠક પરથી AAPના ઉમેદવાર હતા. રાજુ કરપડા આમ આદમી પાર્ટીની કિસાન વિંગના પ્રમુખ હતા.આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી પણ હતા.

રાજુ કરપડાએ શું કહ્યું ?
રાજુ કરપડાએ તેમના રાજીનામામાં કહ્યું કે, "જય કિસાન સાથીઓ... દોસ્તો આજે આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું..! મારો નિર્ણય જરૂર તમને ચોકાવશે.! પાર્ટીને મજબૂત બનાવવા માટે મેં પરિવારથી વિશેષ મહત્ત્વ અને સમય આપ્યો છે પરંતુ કુદરતે અહીંયા સુધીનો જ સાથ લખેલો છે. મારા દ્વારા ક્યારેય કોઈની લાગણીને ઠેશ પહોંચી હોય તો ક્ષમા ચાહું છું. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ તેમજ પ્રદેશ નેતૃત્વ સાથે જ મારા તમામ સાથીઓ અને ખેડૂતોનો મને પ્રેમ આપવા બદલ હૃદયથી આભાર માનું છું...! "

રાજુ કરપડા રાજીનામા પાછળ અનેક તર્ક વિતર્ક સેવાઇ રહ્યાં છે. સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પરથી વિધાનસભાની ચુંટણી લડેલા રાજુ કરપડા AAP ગુજરાતના સક્રિય નેતા હતા. તેઓ હંમેશા ખેડૂતોના હિત માટે કાર્યરત રહ્યાં છે. તેમણે રાજીનામું આપતા અનેક કારણો અંગે હાલ ચર્ચા થઇ રહી છે. એક બાજુએ એવી પણ ચર્ચા છે કે, તેઓ ગોપાલ ઇટલીયાથી નારાજ હતા અને આ નારાજગીના પગલે તેમણે સોશિયલ મીડિયા પર રાજીનામાની પોસ્ટ મૂકી. .તેમની પોસ્ટ બાદ રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. રાજીનામાનું કોઇ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. સત્તાવાર રીતે પાર્ટી દ્વારા પણ આ મુદ્દે હજુ સુધી કોઇ નિવેદનમાં રાજીનામાના કારણની સ્પષ્ટતા નથી થઇ.























