Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત?
હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે હવેથી હવામાનની કોઈપણ આગાહી નહીં કરવાનો નિર્ણય કર્યો છે. આજથી હવામાનની કોઈ આગાહી નહીં કરવાનો નિર્ણય અંબાલાલ પટેલે કર્યો છે.

- અંબાલાલ પટેલે જયંત પંડ્યાની ચિમકીથી આગાહીઓ બંધ કરી.
- તેઓ પરંપરાગત ખગોળીય સંકેતો આધારિત આગાહીઓ માટે જાણીતા.
- જયંત પંડ્યાએ તેમની વૈજ્ઞાનિક પદ્ધતિઓ પર પ્રશ્ન ઉઠાવ્યા.
Ambalal Patel: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખૂબ જ મોટી જાહેરાત કરી છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે હવેથી હવામાનની કોઈપણ આગાહી નહીં કરવાનો નિર્ણય કર્યો છે. આજથી હવામાનની કોઈ આગાહી નહીં કરવાનો નિર્ણય અંબાલાલ પટેલે કર્યો છે. વિજ્ઞાનજાથાના જયંત પંડયાની ચિમકીથી ત્રસ્ત થઈ આગાહી નહીં કરવાનો નિર્ણય તેમણે કર્યો છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત તરીકે ઓળખાય છે. તેઓ પરંપરાગત ખગોળીય સંકેતો અને પ્રાકૃતિક પરિબળોના આધારે હવામાન અંગે આગાહીઓ કરવા માટે જાણીતા બન્યા છે. ખાસ કરીને ચોમાસું, વાવાઝોડાં, શિયાળો અને ગરમી અંગેની તેમની આગાહીઓના કારણે તેઓ વર્ષોથી ચર્ચામાં રહે છે.
અંબાલાલ પટેલનો જન્મ 1 સપ્ટેમ્બર, 1947ના અમદાવાદ જિલ્લાના રુદાટલમાં ખેડૂત પરિવાર દામોદરદાસ પટેલને ત્યાં થયો હતો. અંબાલાલા પટેલે આણંદમાં બી.એસ. કૉલેજ ઑફ એગ્રીકલ્ચરમાંથી બીએસસી કર્યું છે. 1972માં ગુજરાત સરકારમાં બીજ પ્રમાણન એજન્સી અમદાવાદ ખાતે બીજ એગ્રીકલ્ચર સુપરવાઈઝર તરીકે જોડાયા હતા. અંબાલાલ પટેલે મદદનીશ ખેતી નિયામક તરીકે ફરજ બજાવી છે. બીજ સુપરવાઈઝર ઉપરાંત સેક્ટર 15 ખેતીવાડી લેબોરેટરી ગુણવત્તા નિયંત્રણ કચેરી તેમજ જમીન ચકાસણી જૈવિક નિયંત્રણ કચેરી ખાતે ફરજ બજાવીને તેઓ સપ્ટેમ્બર 2005માં નિવૃત થયા છે.
આ રીતે બન્યા હવામાન નિષ્ણાંત
અંબાલાલ પટેલ એગ્રીકલ્ચર સાથે-સાથે જ્યોતિષ વિષયમાં રસ ધરાવે છે. તેઓ ખેડૂતો સાથે મુલાકાત કરતા ત્યારે કૃષિ પાકને લઈને ચર્ચા કરતા હતા. સારા પાક માટે વરસાદની ખાસ જરૂરિયાત હોય છે. કૃષિ પાક અને વરસાદની ચર્ચા થતી ત્યારે અંબાલાલ પટેલને વિચાર આવ્યો કે હવામાન કેવું રહેશે અને વરસાદ ક્યારે પડશે તેની માહિતી અગાઉથી મળી જાય તો ખેડૂતોની મદદ થઈ શકે. ત્યાર બાદ તેઓેએ જ્યોતિષ શાસ્ત્રોનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. વરસાદનો વરતારો, વારાહી સંહિતા વગેરે ગ્રંથોમાંથી જ્યોતિષ દ્રષ્ટિએ હવામાન અંગે જાણકારી મેળવી હતી.
જયંત પંડ્યા સાથે શું થયો વિવાદ
વિજ્ઞાનજાથાના જયંત પંડયાએ અંબાલાલ પટેલની આગાહીઓ પદ્ધતિ અને તેની વિશ્વસનીયતા સામે સવાલો ઉઠાવ્યા હતા. જયંત પંડ્યાએ ટિપ્પણી કરતાં જણાવ્યું કે, હવામાન એ સંપૂર્ણપણે વિજ્ઞાનનો વિષય છે. સેટેલાઈટ ટેક્નોલોજી, રડાર સિસ્ટમ અને હવામાન વિભાગ જેવી સત્તાવાર વૈજ્ઞાનિક સંસ્થાઓ ડેટાનું એનાલિસિસ કરીને યોગ્ય માહિતી આપતી હોય છે. આવા સમયે કોઈ પણ વ્યક્તિ વૈજ્ઞાનિક આધાર વગર માત્ર અટકળો કે પરંપરાગત ગ્રહ નક્ષત્રોના આધારે લાંબાગાળાની આગાહીઓ કરીને જનતામાં ભ્રમ ન ફેલાવે.
અંબાલાલ પટેલે જયંત પંડ્યાને આપ્યો હતો આ જવાબ
અંબાલાલ પટેલે દાવો કર્યો હતો કે તેઓ કોઈ અંધશ્રદ્ધા ફેલાવતા નથી પરંતુ વર્ષોથી ખેડૂતોના હિતમાં નિઃસ્વાર્થ ભાવે કામ કરી રહ્યા છે. તેમણે પોતાની લાયકાત અને અનુભવની વાત કરતા ષ્ટ કર્યું કે, તેઓ પોતે બીએસસી એગ્રીકલ્ચર અભ્યાસ કરી ચૂક્યા છે. તેમની આગાહીઓ માત્ર જ્યોતિષ કે ગ્રહોની સ્થિતિ પર આધારિત નથી હોતી, પરંતુ તેમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાતી સિસ્ટમ તેમજ કૃષિ હવામાનના ઊંડા અભ્યાસનો સમન્વય હોય છે.






















