Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
આ છે ડૉ. સુભાષ પંડ્યા જેમણે પોતાનો 30 વર્ષીય દીકરો ગુમાવ્યો છે. ગઈકાલે સુરતની સિવિલ હોસ્પિટલના માઈક્રોબાયોલોજી વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરવાની સાથે રેસિડેન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવતો અને સિવિલ કેમ્પસની હોસ્ટેલમાં બિલ્ડીંગ નંબર Bના રૂમ નંબર 1005માં રહેતો મૂળ અરલ્લીના ડૉ. હર્ષ પંડ્યાએ પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ડૉ. હર્ષ પંડ્યાએ પરિવાર, પર્સનલ કે માનસિક તણાવને કારણે નહીં પરંતુ રેગિંગના કારણે મોતને ગળે લગાવી હતી. સુરતમાં મેડિકલના અભ્યાસ અર્થે ગયેલા મોડાસાના વિદ્યાર્થી હર્ષ પંડ્યાના મોતને પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આત્મહત્યાના આ ચકચારભર્યા મામલા બાદ આજે જ્યારે હર્ષનો મૃતદેહ તેના માદરે વતન મોડાસા પહોંચ્યો, ત્યારે સમગ્ર વાતાવરણ શોકગ્રસ્ત બની ગયું હતું. આજે વહેલી સવારે મૃતકની અંતિમયાત્રા નીકળી હતી, જેમાં પરિવારજનો, સગા-સંબંધીઓ અને સામાજિક અગ્રણીઓ પહોંચી ભિની આંખે વિદાય આપી હતી.
આત્મહત્યાના સમાચાર મળતા જ તમામ લોકો શરૂઆતમાં રહસ્ય સમજતા હતા પણ પરિવારજનોએ હર્ષ પંડ્યા પર રેગિંગ થયું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. પરિવારે પ્રશાસન પાસે ન્યાયની માગ કરી હતી. મેડિકલ વિદ્યાર્થીના આપઘાતનો મુદ્દો આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનસેરીયાને ધ્યાને આવતા તપાસના આદેશ આપ્યા હતા. સમગ્ર મામલે એન્ટી રેગિંગ કમિટીની રચના કરવામાં આવી હતી. એન્ટી રેગિંગ કમિટીએ 80થી વધુ પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટરોના નિવેદનો લીધા હતા. તપાસમાં સિનિયર ડોક્ટરોએ મૃતકને માનસિક રીતે હેરાન કરવામાં આવ્યાની વિગતો સામે આવી હતી.
એન્ટી રેગિંગ સ્ક્વોડના અહેવાલના આધારે, શિસ્તભંગ અને ગંભીર બેદરકારી બદલ ચાર રેસિડેન્ટ ડોક્ટરો (1) ડૉ. નિરાલી વસાવે, (2) ડૉ. અનુજ મહેશ્વરી, (3) ડૉ. દીક્ષિતા ઘેવરિયા અને (4) ડૉ. હિના ભુતને 6 માસ માટે સસ્પેન્ડ કરી તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા તેમજ કોઈપણ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગ ન લેવા આદેશ કરાયો છે
રેગિંગના આરોપીઓને સસ્પેન્ડ કરવા સહિત તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની કામગીરી થઈ. આ સાથે જ માઈક્રોબાયોલોજી વિભાગના વડા ડૉ. સુમૈયા મુલ્લા સહિત ચાર ફેકલ્ટી સભ્યો ડૉ. સંગીતા રાજદે, ડૉ. યોગિતા મિસ્ત્રી અને ડૉ. લતિકા પુરોહિતને શો કોઝ નોટિસ ફટકારાઈ છે.
કોને કોને ફટકારાઈ શો કોઝ નોટિસ ?
ડૉ. સુમૈયા મુલ્લા, વડા, માઈક્રોબાયોલોજી વિભાગ
ડૉ. સંગીતા રાજદે, સભ્ય, માઈક્રોબાયોલોજી વિભાગ
ડૉ. યોગિતા મિસ્ત્રી, સભ્ય, માઈક્રોબાયોલોજી વિભાગ
ડૉ. લતિકા પુરોહિત, સભ્ય, માઈક્રોબાયોલોજી વિભાગ
મેડિકલ કોલેજમાં રેગિંગનો આ એકમાત્ર કિસ્સો નથી ભાવનગર, અમદાવાદ સહિતની કોલેજોમાં પણ અગાઉ રેગિંગની ઘટના સામે આવી હતી. 18 જૂનના રોજ ભાવનગરની સર ટી હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની બિલ્ડિંગમાં રેગિંગની ઘટનાથી હોબાળો મચ્યો હતો. બીજા વર્ષમાં અભ્યાસ કરતા 6 તબીબી વિદ્યાર્થીઓ સામે પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા ઓર્થોપેડિક વિભાગના 13 વિદ્યાર્થીઓએ અનામી રીતે લેખિત રજૂઆત કરી હતી. જેમાં દર મહિને અઢી લાખ પડાવતા, દારૂની બોટલો મંગાવતા, કુકડા બનાવતા, ટ્રોમા સેન્ટરની બહાર ન નીકળવા દેવા, જમવા અને ઉંઘવાનો સમય ન આપતા હોવાનો આરોપ લગાવ્યો હતો..તપાસ કમિટી અને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે 6 સિનિયર રેસિડન્ટ ડોક્ટરોને સસ્પેન્ડ કરીને તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની સમીક્ષા બેઠક બાદ વહીવટી પ્રશાસનમાં પણ મોટા ફેરફારો કરાયા હતા, જેમાં ઓર્થોપેડિક વિભાગના HOD ડૉ. વિનોદ ગૌતમને સસ્પેન્ડ કરાયા અને વિવાદાસ્પદ HOU ડૉ. પિનાકીન વોરાને બરતરફ કરવામાં આવ્યા. આ ઉપરાંત, તબીબી અધિક્ષકનો ચાર્જ સંભાળતા ડૉ. અશોક વાળા, એડિશનલ ડીન ડૉ. અમિત પરમાર તેમજ નોડલ ઓફિસર ડૉ. સમીર શાહને તેમના હોદ્દા પરથી મુક્ત કરીને ડૉ. કેરવી દેસાઈને નવા અધિક્ષક તરીકેનો હવાલો સોંપવામાં આવ્યો છે.
આ અગાઉ રેગિંગના કિસ્સા આવતા રહ્યા પણ પાટણમાં પણ રેગિંગની ઘટનામાં વિદ્યાર્થીએ મોતને ગળે લગાવ્યું હતું. 17 નવેમ્બર 2024ના પાટણ જિલ્લામાં GMERS મેડિકલ કોલેજના 18 વર્ષીય MBBS વિદ્યાર્થીનું મોત થયું હતું. તેના 15 સિનિયર વિદ્યાર્થીઓએ તેને રેગિંગ દરમિયાન 3 કલાક સુધી ઊભો રાખ્યો હતો જેના કારણે તે બેભાન થઈ ગયો હતો. જે બાદ તેને હોસ્પિટલ લઈ જતા મૃત જાહેર કરાયો હતો.એન્ટી-રેગિંગ કમિટી અને કોલેજ પ્રશાસને તપાસ કરી આ ૧૫ વિદ્યાર્થીઓને કોલેજ તથા હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કર્યા હતા અને પોલીસે ઘટના અંગે ગુનો નોંધીને જવાબદાર 15 સિનિયર વિદ્યાર્થીઓ સામે સાપરાધ મનુષ્યવધનો કેસ દાખલ કરી ધરપકડ કરી હતી





















