NDLS Stampede: ભાગદોડની ઘટનાના દિવસે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર કેટલી જનરલ ટિકિટ વેચાઇ હતી? રેલવે મંત્રીનો સંસદમાં જવાબ
NDLS Stampede: મહાકુંભ દરમિયાન નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડ અંગે કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં માહિતી આપવામાં આવી છે.

NDLS Stampede:
NDLS Stampede: મહાકુંભ દરમિયાન નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડ અંગે કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં માહિતી આપવામાં આવી છે. રેલવે મંત્રાલયે બુધવારે લોકસભામાં જણાવ્યું હતું કે 15 ફેબ્રુઆરીએ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર દૈનિક સરેરાશ કરતાં 13,000 વધુ જનરલ ટિકિટ વેચાઈ હતી. આ દિવસે સ્ટેશન પર ભાગદોડને કારણે 18 લોકોના મોત થયા હતા.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટીએમસી સાંસદ માલા રોય દ્વારા આ સંદર્ભમાં પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, '15 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હી રેલ્વે સ્ટેશનથી લગભગ 49,000 જનરલ ટિકિટ જાહેર કરવામાં આવી હતી, જે છેલ્લા છ મહિના દરમિયાન વેચાયેલી દૈનિક સરેરાશ ટિકિટ કરતાં 13,૦૦૦ વધુ હતી.' જોકે, મંત્રીએ એ પણ માહિતી આપી હતી કે આ વધારાની માંગને પહોંચી વળવા માટે NSLS તરફથી પાંચ કુંભ વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી હતી જેમાં પ્રત્યેકમાં 3,000 મુસાફરોની બેઠક ક્ષમતા હતી.
તેમણે એમ પણ કહ્યું કે કોઈ ચોક્કસ દિવસે સ્ટેશન પરથી જાહેર કરાયેલી અનરિઝર્વ ટિકિટ તે સ્ટેશન અને તારીખ માટે હોઈ શકે છે અને ન પણ હોઈ શકે. મુસાફરો મુસાફરીની તારીખ પહેલા ટિકિટ ખરીદવાનો ટ્રેન્ડ ધરાવે છે.
શું ટિકિટનું વેચાણ અસામાન્ય રીતે વધારે હતું? જો હા, તો શા માટે?
આ પ્રશ્નના જવાબમાં રેલવે મંત્રીએ કહ્યું કે આ ટિકિટો ફક્ત સ્ટેશન કાઉન્ટર પરથી જ વેચાય તે જરૂરી નથી. તેમણે કહ્યું કે વિવિધ ટિકિટ કાઉન્ટર દ્વારા બિનઅનામત ટિકિટો ખરીદી શકાય છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, '199 કિમી સુધીના અંતર માટે અનરિઝર્વ્ડ ટિકિટો તે જ દિવસે ખરીદી શકાય છે, જ્યારે 200 કિમી અને તેથી વધુ અંતર માટે અનરિઝર્વ્ડ ટિકિટો ખરીદવા માટે એડવાન્સ સમયગાળો ત્રણ દિવસનો છે.' વધુમાં રેલવે સ્ટેશનોના સમૂહમાં કોઈપણ એક સ્ટેશનથી બીજા કોઈપણ સ્ટેશન સુધીની મુસાફરી માટે અનરિઝર્વ્ડ ટિકિટ જાહેર કરી શકાય છે, એટલે કે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનથી દિલ્હી વિસ્તારના 57 સ્ટેશનોમાંથી કોઈપણ સ્ટેશનથી શરૂ થતી મુસાફરી માટે અનરિઝર્વ્ડ ટિકિટ જાહેર કરી શકાય છે.





















