મહારાષ્ટ્રમાં ફરી રાતોરાત ખેલ પડશે? આદિત્ય ઠાકરેનો ધડાકો: 'શિંદેના 22 ધારાસભ્યો બેગ ભરીને....’
Aaditya Thackeray 22 MLAs claim: સોમવારે (8 ડિસેમ્બર) વિધાનભવન સંકુલમાં મીડિયા સાથે વાતચીત કરતી વખતે આદિત્ય ઠાકરેએ મહાયુતિ સરકારના આંતરિક ડખાને ઉજાગર કર્યો હતો.

Aaditya Thackeray: મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકીય ઉથલપાથલના એંધાણ વર્તાઈ રહ્યા છે. શિવસેના (UBT) ના યુવા નેતા આદિત્ય ઠાકરેએ એક સનસનીખેજ દાવો કરીને સત્તાધારી ગઠબંધનમાં હલચલ મચાવી દીધી છે. આદિત્યએ દાવો કર્યો છે કે મુખ્યમંત્રી એકનાથ શિંદેના જૂથના 22 જેટલા ધારાસભ્યો હવે રાજ્યના નવા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની નજીક સરી ગયા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે સારું ફંડ મળતું હોવાથી આ ધારાસભ્યો હવે ફડણવીસના ઈશારે નાચી રહ્યા છે અને ગમે ત્યારે પક્ષપલટો કરવા તૈયાર છે.
‘એક પક્ષ, બે જૂથ અને 22 ધારાસભ્યો’: આદિત્યનો કટાક્ષ
સોમવારે (8 ડિસેમ્બર) વિધાનભવન સંકુલમાં મીડિયા સાથે વાતચીત કરતી વખતે આદિત્ય ઠાકરેએ મહાયુતિ સરકારના આંતરિક ડખાને ઉજાગર કર્યો હતો. તેમણે શિંદે જૂથનું સીધું નામ લીધા વગર કહ્યું હતું કે, "એક જ પક્ષમાં હવે બે જૂથ પડી ગયા છે. તેમાંથી એક જૂથના 22 ધારાસભ્યો મુખ્યમંત્રી (દેવેન્દ્ર ફડણવીસ) ની અત્યંત નજીક આવી ગયા છે." આદિત્યએ વધુમાં ઉમેર્યું હતું કે આ ધારાસભ્યોને સારા ભંડોળ (Funds) નો લાભ મળી રહ્યો છે, જેના કારણે તેઓ હવે પોતાની મૂળ વફાદારી છોડીને મુખ્યમંત્રીના ઈશારે કામ કરવા લાગ્યા છે.
‘ડેપ્યુટી કેપ્ટન’ પર નિશાન: ઉદય સામંત તરફ ઈશારો?
પોતાના નિવેદનમાં આદિત્ય ઠાકરેએ એક ચોક્કસ નેતાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, "પક્ષ બદલવા માટે તૈયાર બેઠેલા આ 22 ધારાસભ્યોમાંથી એક નેતા તો પોતાને 'ડેપ્યુટી કેપ્ટન' ગણાવે છે." રાજકીય વિશ્લેષકોના મતે આદિત્યનો ઈશારો ઉદ્યોગ મંત્રી ઉદય સામંત તરફ હોઈ શકે છે. અગાઉ પણ શિવસેના (UBT) એવો દાવો કરી ચૂકી છે કે શિંદે અને અજિત પવારની સાથે સાથે સામંત પણ સત્તાના કેન્દ્રમાં રહેવા માંગે છે.
શિવસેનાનું વિભાજન અને સત્તાનું સમીકરણ
અત્રે ઉલ્લેખનીય છે કે જૂન 2022 માં એકનાથ શિંદેના બળવાને કારણે અખંડ શિવસેનામાં ભંગાણ પડ્યું હતું અને તત્કાલીન ઉદ્ધવ સરકારનું પતન થયું હતું. ત્યારબાદ જાન્યુઆરી 2024 માં વિધાનસભા સ્પીકર રાહુલ નાર્વેકરે શિંદે જૂથને જ અસલી શિવસેના ગણાવી હતી. જોકે, હવે આદિત્યના દાવા મુજબ શિંદે જૂથના ધારાસભ્યો ભાજપના નેતૃત્વવાળા સીએમ ફડણવીસ તરફ ઢળી રહ્યા છે, જે ગઠબંધન માટે ચિંતાનો વિષય બની શકે છે.
વિપક્ષના નેતા પદ (LoP) માટે સરકારનો ડર
આદિત્ય ઠાકરેએ માત્ર પક્ષપલટાની જ વાત ન કરી, પરંતુ વિધાનસભામાં 'વિપક્ષના નેતા' ની નિમણૂકમાં થઈ રહેલા વિલંબ મુદ્દે પણ સરકારને ઘેરી હતી. તેમણે સવાલ કર્યો હતો કે સરકાર વિપક્ષના નેતાથી આટલી ડરે છે કેમ? શિવસેના (UBT) પાસે નીચલા ગૃહમાં 20 ધારાસભ્યો છે અને તે સૌથી મોટો વિરોધ પક્ષ છે. પક્ષે ભાસ્કર જાધવનું નામ LoP માટે સૂચવ્યું હોવા છતાં સ્પીકર દ્વારા હજુ સુધી નિર્ણય લેવાયો નથી.
જાધવે વિધાનસભામાં 10% સીટના નિયમ (કુલ 288 માંથી 29 સીટ હોવી જરૂરી) અંગે પણ સ્પષ્ટતા માંગી છે, કારણ કે ગત ચૂંટણીમાં વિપક્ષની હારને કારણે કોઈ એક પક્ષ પાસે 10% બેઠકો નથી. બીજી તરફ, વિધાન પરિષદમાં પણ વિપક્ષી નેતાનું પદ ખાલી છે, જેના માટે કોંગ્રેસે સતેજ પાટીલનું નામ આગળ કર્યું છે.





















