![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Corona : કાળમુખા કોરોનાને લઈ એડવાઈઝરી, 10-11 એપ્રિલ માટે કેન્દ્રના 'ખાસ' આદેશ
આ એડવાઈઝરીમાં લોકોને કોવિડ માટે નિર્ધારિત સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.
![Corona : કાળમુખા કોરોનાને લઈ એડવાઈઝરી, 10-11 એપ્રિલ માટે કેન્દ્રના 'ખાસ' આદેશ Corona : Covid Cases in India, Center Issued Advisory, Mock Drill on 10-11 April Corona : કાળમુખા કોરોનાને લઈ એડવાઈઝરી, 10-11 એપ્રિલ માટે કેન્દ્રના 'ખાસ' આદેશ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/25/b7b9467232d3d6162c3ad676511392ac167976513490178_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
દેશમાં કોરોના વાયરસ અને ફ્લૂના વધતા જતા કેસ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એડવાઈઝરી જારી કરી છે. આ એડવાઈઝરીમાં લોકોને કોવિડ માટે નિર્ધારિત સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. મંત્રાલયે લોકોને ભીડવાળી અને બંધ જગ્યાઓએ માસ્ક પહેરવાની સલાહ આપી છે. આ સાથે જ છીંક કે ખાંસી વખતે નાક અને મોં ઢાંકવા માટે રૂમાલ/ટીશ્યુનો ઉપયોગ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. હાથની સ્વચ્છતા જાળવવા સાબુ અથવા હેન્ડવોશથી વારંવાર હાથ ધોવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે લોકોને જાહેર સ્થળોએ થૂંકવાથી દૂર રહેવાની પણ સૂચના આપવામાં આવી છે.
આરોગ્ય મંત્રાલયના નિર્દેશો અનુસાર તપાસને પ્રોત્સાહન આપવા અને લક્ષણો વિશે પ્રારંભિક માહિતી આપવા માટે પણ કહેવામાં આવ્યું છે. આ સાથે જો શ્વાસ સંબંધી રોગોથી પીડિત હોય તો વ્યક્તિગત સંપર્ક મર્યાદિત કરવાની પણ સલાહ આપવામાં આવી છે. કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને 10 અને 11 એપ્રિલના રોજ રાષ્ટ્રીય સ્તરે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે. જેથી તેનો સામનો કરવા માટેની તૈયારીઓનો તાગ મેળવી શકાય. મોક ડ્રીલમાં ICU બેડ, તબીબી સાધનો, ઓક્સિજન અને માનવબળની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવશે.
સ્વાસ્થ્ય મંત્રાલયે 27 માર્ચે સાંજે 4:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યો સાથે બેઠક બોલાવી છે. આ બેઠકમાં મોકડ્રીલ સંબંધિત તમામ માહિતી શેર કરવામાં આવશે.
146 દિવસમાં સૌથી વધુ કેસ સામે આવ્યા
જાહેર છે કે, શનિવારે ભારતમાં કોવિડ-19ના 1,590 નવા કેસ નોંધાયા હતા. જે છેલ્લા 146 દિવસમાં સૌથી વધુ છે. જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 8,601 થઈ ગઈ છે. શનિવારે સવારે આઠ વાગ્યે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ મહારાષ્ટ્રમાં ત્રણ અને કર્ણાટક, રાજસ્થાન અને ઉત્તરાખંડના એક-એક દર્દીના કોરોના વાયરસના કારણે મૃત્યુ થયા બાદ મૃત્યુઆંક વધીને 5,30,824 પર પહોંચી ગયો છે.
ડેટા અનુસાર, દૈનિક ચેપ દર 1.33 ટકા નોંધાયો હતો જ્યારે સાપ્તાહિક ચેપ દર 1.23 ટકા નોંધાયો હતો. આ સાથે ભારતમાં કોવિડ-19ના કુલ કેસની સંખ્યા વધીને 4,47,02,257 થઈ ગઈ છે. સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ચેપના કુલ કેસના 0.02 ટકા છે, જ્યારે કોવિડ-19માંથી સાજા થવાનો દર 98.79 ટકા નોંધાયો છે.
કેસમાં વધારો જોઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે, કોવિડ-19 હજુ ખતમ નથી થયો. તેમણે અધિકારીઓ પર જીનોમ સિક્વન્સિંગ વધારવા અને લોકો દ્વારા કોવિડ-યોગ્ય વર્તન અપનાવવા ભાર મૂક્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)