Pahalgam Attack: આતંકી હુમલામાં નેવી ઓફિસરનું મોત, ત્રણ દિવસ અગાઉ થયા હતા લગ્ન
નૌકાદળના અધિકારી લેફ્ટનન્ટ વિનય નરવાલ કોચ્ચિમાં પોસ્ટેડ હતા. તેમના લગ્ન 19 એપ્રિલે થયા હતા

જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલામાં (pahalgam terror attack) ભારતીય નૌકાદળના એક અધિકારી અને ગુપ્તચર બ્યુરો (IB)ના એક અધિકારીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. નૌકાદળના અધિકારી લેફ્ટનન્ટ વિનય નરવાલ કોચ્ચિમાં પોસ્ટેડ હતા. તેમના લગ્ન 19 એપ્રિલે થયા અને તેઓ હનિમૂન માટે જમ્મુ કાશ્મીર ગયા હતા.
લેફ્ટનન્ટ વિનય નરવાલ હરિયાણાના વતની છે. તેમની પત્ની સુરક્ષિત છે. આ દંપતી સોમવારે શ્રીનગર પહોંચ્યું હતું અને પછી પહલગામની મુલાકાતે ગયું હતું. આ ઘટના બાદ પત્નીનો પતિના મૃતદેહ સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
તે હરિયાણાના કરનાલના રહેવાસી હતા.
વિનય નરવાલ કરનાલના સેક્ટર 7ના રહેવાસી હતા. તેઓ 2 વર્ષ પહેલા નૌકાદળમાં જોડાયા હતા. વિનય સોમવારે શ્રીનગર ફરવા ગયા હતા. તેમનો પરિવાર કરનાલના સેક્ટર 7માં રહે છે. ઘટનાની માહિતી મળ્યા બાદ, પરિવારના કેટલાક સભ્યો શ્રીનગર જવા રવાના થઈ ગયા છે.
'અમે તો ભેળપુરી ખાઈ રહ્યા હતા...'
પત્નીએ ધ્રૂજતા અવાજે કહ્યું હતું કે, 'અમે ભેળપુરી ખાઈ રહ્યા હતા... અને પછી તેણે મારા પતિને ગોળી મારી દીધી.' મહિલાએ કહ્યું, 'બંદૂકધારીએ કહ્યું કે મારો પતિ મુસ્લિમ નથી અને પછી તેને ગોળી મારી દીધી.'
દરમિયાન, મંગળવારે બપોરે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં હૈદરાબાદના ઇન્ટેલિજન્સ બ્યૂરો (IB) ના સેક્શન ઓફિસર મનીષ રંજનનું તેમની પત્ની અને બાળકોની સામે મોત થયું હતું. આ હુમલા દરમિયાન ઘણા IB અધિકારીઓ તેમના પરિવારો સાથે એક ગ્રુપમાં હતા.
'કૃપા કરીને મારા પતિને બચાવો'
ઘટનાસ્થળેથી બીજો એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક મહિલા રડતી અને મદદ માટે ભીખ માંગતી જોવા મળે છે. "કૃપા કરીને મારા પતિને બચાવો," તેણી વારંવાર ચીસો પાડી રહી હતી.
આ હુમલો પહલગામના બૈસરન ખીણમાં થયો હતો, જ્યાં લોકો વારંવાર આ વિસ્તારમાં આવે છે. આ વિસ્તારમાં ફક્ત પગપાળા અથવા ઘોડા દ્વારા જ પહોંચી શકાય છે. લશ્કર-એ-તૌયબાનું એક સંગઠન રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડા મહેબૂબા મુફ્તીએ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી હતી.



















