જેલમાં જતા જ PM-CM ની ખુરશી જશે! ૧૩૦મા સુધારા પર JPC બની, પણ વિપક્ષ કેમ છે નારાજ?
130th Constitutional Amendment: આ JPC માં લોકસભાના 21 સભ્યો અને રાજ્યસભાના 10 સભ્યો નો સમાવેશ થાય છે. ભાજપના સાંસદ અપરાજિતા સારંગીને આ મહત્ત્વપૂર્ણ JPC ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

130th Constitutional Amendment: રાજકારણમાં નૈતિકતા અને જવાબદારી લાવવાના હેતુથી 130મા બંધારણીય સુધારા બિલ (2025) ની ચકાસણી માટે JPC (સંયુક્ત સંસદીય સમિતિ) ની રચના કરવામાં આવી છે. આ બિલની જોગવાઈ મુજબ, જો કોઈ વડા પ્રધાન, મુખ્યમંત્રી કે મંત્રી ગંભીર ગુનામાં (જેની સજા 5 વર્ષ કે તેથી વધુ હોય) સતત 30 દિવસ સુધી જેલમાં રહે, તો તે આપમેળે પદ પરથી હટી જશે. ભાજપના સાંસદ અપરાજિતા સારંગી ને આ JPC ના અધ્યક્ષ નિયુક્ત કરાયા છે. જોકે, કોંગ્રેસ, TMC અને સપા સહિતના મુખ્ય વિરોધ પક્ષોએ આ બિલને "લોકશાહી પ્રક્રિયાને નબળી પાડવાનો પ્રયાસ" ગણાવીને JPC નો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.
130મા બંધારણીય સુધારા માટે JPC ની રચના
નવી દિલ્હી ખાતે બુધવારે 130મા બંધારણીય સુધારા માટેની સંયુક્ત સંસદીય સમિતિ (JPC) ની રચના કરવામાં આવી હતી. આ JPC માં લોકસભાના 21 સભ્યો અને રાજ્યસભાના 10 સભ્યો નો સમાવેશ થાય છે. ભાજપના સાંસદ અપરાજિતા સારંગીને આ મહત્ત્વપૂર્ણ JPC ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ સુધારા બિલ હજુ સુધી સંસદમાં પસાર થયું નથી, પરંતુ તેને રજૂ કરવામાં આવ્યું છે અને હવે ચકાસણી માટે સંયુક્ત સમિતિને મોકલવામાં આવ્યું છે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય રાજકારણમાં નૈતિકતા અને જવાબદારી સ્થાપિત કરવાનો છે.
શું છે 130મા સુધારા બિલની જોગવાઈ?
આ બિલમાં એક ક્રાંતિકારી જોગવાઈ છે, જેનો વિરોધ પક્ષો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બિલ મુજબ:
જો કોઈ વડા પ્રધાન, મુખ્યમંત્રી અથવા મંત્રીને પાંચ વર્ષ કે તેથી વધુ સજાપાત્ર ગંભીર ગુના માટે સતત 30 દિવસ સુધી જેલમાં રાખવામાં આવે છે, તો તેમને પદ પરથી આપમેળે દૂર કરવામાં આવશે.
આનો અર્થ એ છે કે, જો કોઈ મંત્રીને ગંભીર આરોપો હેઠળ ધરપકડ કરવામાં આવે અને 30 દિવસની અંદર જામીન ન મળે, તો તેણે રાજીનામું ન આપ્યું હોય તો પણ તેને પદ પરથી હટાવી દેવામાં આવશે.
મુખ્ય વિરોધ પક્ષો દ્વારા JPC નો બહિષ્કાર
આ બિલની જોગવાઈઓને લઈને વિરોધ પક્ષોએ JPC નો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને સમાજવાદી પાર્ટી (SP) એ સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ આ JPC નો ભાગ નહીં બને. કોંગ્રેસ અને આરજેડી જેવા અન્ય વિપક્ષી પક્ષોએ પણ આ બિલને "લોકશાહી પ્રક્રિયાને નબળી પાડવાનો પ્રયાસ" ગણાવીને તેનો બહિષ્કાર કર્યો છે.
આ જ કારણ છે કે JPC માટે જાહેર કરાયેલા સભ્યોની યાદીમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આરજેડી અને ટીએમસી જેવા વિરોધ પક્ષોના સાંસદોનો સમાવેશ થતો નથી. જોકે, યાદીમાં અન્ય વિપક્ષી નેતાઓ જેવા કે AIMIM ના અસદુદ્દીન ઓવૈસી, NCP ના સુપ્રિયા સુલે અને અકાલી દળ (બાદલ) ના હરસિમરત કૌર બાદલ નો સમાવેશ થાય છે.





















