![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ukraine Crisis: PM મોદી યુક્રેન મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે
રશિયા અને યુક્રેન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે પીએમ મોદી યુક્રેનમાં અટવાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે.
![Ukraine Crisis: PM મોદી યુક્રેન મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે PM Modi Chair High Level Meeting on Ukraine Crisis Ukraine Crisis: PM મોદી યુક્રેન મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/27/f825664d9b2f36f7f522453fdf86dd57_original.webp?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે પીએમ મોદી યુક્રેનમાં અટવાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે. પીએમ મોદીએ આજે કહ્યું હતું કે યુક્રેનમાં ફસાયેલા તમામ ભારતીય નાગરિકોને પરત લાવવા સરકાર શક્ય તેટલું કરશે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જ્યાં તેમણે યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને પરત લાવવા માટે ‘ઓપરેશન ગંગા’ હેઠળ ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે માહિતી આપી હતી.
રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉચ્ચ સ્તરીય બેઠક કરશે. તમને જણાવી દઈએ કે છેલ્લા ચાર દિવસથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ગુરુવારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. ત્યારથી, રશિયન સેના યુક્રેનમાં સતત અંદરની તરફ આગળ વધી રહી છે. યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે આ લડાઈમાં અત્યાર સુધીમાં લગભગ 4,300 રશિયન સૈનિકો માર્યા ગયા છે. આ સાથે લગભગ 146 ટેન્ક, 27 એરક્રાફ્ટ અને 26 હેલિકોપ્ટર નષ્ટ થયા છે.
યુક્રેન પર રશિયાના હુમલા બાદ પશ્ચિમી સંગઠન 'NATO' રશિયા પ્રત્યે કડક વલણ અપનાવી રહ્યું છે અને તેના પર તમામ આર્થિક પ્રતિબંધો લાદી રહ્યું છે. આ સિવાય NATO પણ રશિયાને લઈને મોટા નિવેદનો આપી રહ્યું છે, જેના કારણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોટો નિર્ણય લીધો છે. પુતિને રશિયાના ન્યુક્લિયર ડિટેરેન્સ ફોર્સને હાઈ એલર્ટ પર રાખવાનો આદેશ આપ્યો છે. આનાથી વિશ્વભરમાં ચિંતા વધી છે.
રશિયાના રાષ્ટ્રપતિએ રવિવારે રશિયન સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઇગુ અને ચીફ ઑફ જનરલ સ્ટાફ વેલેરી ગેરાસિમોવ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન પુતિને કહ્યું હતું કે "પશ્ચિમના દેશો માત્ર આપણા દેશ સામે આર્થિક પગલાં નથી લઈ રહ્યા, પરંતુ મોટા નાટો દેશોના નેતાઓ આપણા દેશ વિશે આક્રમક નિવેદનો આપી રહ્યા છે. હું રશિયન દળોને વિશેષ ફરજ પર સ્થાનાંતરિત કરવાનો આદેશ આપું છું." નાટો દેશો દ્વારા "આક્રમક નિવેદનો" ના જવાબમાં પુતિને તેમની સેનાને રશિયાના પરમાણુ પ્રતિરોધક દળોને ઉચ્ચ ચેતવણી પર મૂકવાનો આદેશ આપ્યો છે.
યુક્રેન પર હુમલા બાદ પશ્ચિમી દેશો સાથે વધી રહેલા તણાવને કારણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શું નિર્ણય લીધો છે. પુતિને રશિયાના સંરક્ષણ પ્રધાન અને લશ્કરી જનરલ સ્ટાફના વડાને પરમાણુ વિરોધી દળોને "યુદ્ધ સંબંધિત જવાબદારી માટે તૈયાર" રાખવાનો આદેશ આપ્યો હતો. આ પહેલા ફ્રાંસના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે રશિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ધમકી આપી રહ્યું છે, પરંતુ તેણે ધ્યાનમાં રાખવું જોઈએ કે નાટો પાસે પણ પરમાણુ હથિયારો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)