Waqf Amendment Bill: વકફ સંશોધન બિલ લોકસભામાં પાસ, સરકાર અને વિપક્ષ વચ્ચે જોરદાર ચર્ચા, જાણો 10 મોટી વાતો
મતદાન દરમિયાન વિપક્ષી સાંસદોના સંશોધન નકારી કાઢવામાં આવ્યા હતા. બિલ પસાર થવા માટે 272 મતોની જરૂર હતી, જ્યારે બિલના પક્ષમાં 288 મત પડ્યા હતા

Waqf Amendment Bill 2025: વકફ સંશોધન બિલ પર લગભગ 12 કલાકથી વધુ સમય સુધી ચર્ચા બાદ લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું. મતદાન દરમિયાન વિપક્ષી સાંસદોના સંશોધન નકારી કાઢવામાં આવ્યા હતા. બિલ પસાર થવા માટે 272 મતોની જરૂર હતી, જ્યારે બિલના પક્ષમાં 288 મત પડ્યા હતા અને વિરોધમાં 232 મત પડ્યા હતા. અગાઉ, કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ બુધવારે (02 એપ્રિલ, 2025) લોકસભામાં તેને રજૂ કર્યું હતું.
જાણો 10 મહત્વપૂર્ણ બાબતો
લોકસભામાં બિલ પસાર થયા પછી રાજ્યસભામાં 1 વાગ્યે વક્ફ બિલ પર ચર્ચા શરૂ થશે. કોંગ્રેસ તરફથી અભિષેક મનુ સિંઘવી, નાસિર હુસૈન, ઈમરાન પ્રતાપગઢી બોલશે. ટીએમસી તરફથી નદીમુલ હક અને સુષ્મિતા દેવ પોતાનો પક્ષ રજૂ કરશે. રાજ્યસભામાં બીજેપી તરફથી લગભગ 6-8 સ્પીકર હશે જેમાં સુધાંશુ ત્રિવેદી, બૃજલાલ, મેઘા કુલકર્ણી, શમિક ભટ્ટાચાર્ય, રાધા મોહન દાસ અગ્રવાલ અને ગુલામ અલી જેવા નામોનો સમાવેશ થાય છે.
કિરેન રિજિજુએ વકફ બિલને ગેરબંધારણીય ગણાવવા બદલ વિપક્ષની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે પક્ષોએ કોઈ પણ કારણ વગર 'ગેરબંધારણીય' જેવા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. તમારા પોતાના દેશને ગાળ આપવી ખોટું છે અને આવનારી પેઢીઓ તમને આ માટે ક્યારેય માફ નહીં કરે.
કિરેન રિજિજુએ અસદુદ્દીન ઓવૈસી પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, " ઓવૈસીએ વિવિધ મુદ્દાઓ ઉઠાવ્યા અને આરોપ લગાવ્યો કે વક્ફમાં મુસ્લિમો માટે, મુસ્લિમોના બાળકો માટે જોગવાઈઓ કરવામાં આવી રહી છે. હિન્દુઓ માટે કોઈ જોગવાઈ કેમ નથી કરવામાં આવી રહી? હું તેમને કહેવા માંગુ છું કે હિન્દુઓ માટે પહેલેથી જ જોગવાઈ છે. આ અંગે વધુ કોઈ કાયદો બનાવવાની જરૂર નથી."
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ વક્ફ (સુધારા) બિલ, 2025 પર સરકાર પર પ્રહારો કર્યા અને તેને દેશના સૌથી મોટા લઘુમતી પર હુમલો ગણાવ્યો હતો. લોકસભામાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન તેમણે વક્ફ સુધારા બિલની નકલ ફાડી નાખી હતી.
જમ્મુ અને કાશ્મીરના સાંસદ એન્જિનિયર રશીદે કહ્યું કે દુનિયા ભાજપ વિશે જાણે છે કે તે મુસ્લિમોને તેમની ઔકાત યાદ અપાવે છે આ એક સત્ય છે અને તેમાં કોઈ શંકા નથી પરંતુ જ્યાં સુધી કોંગ્રેસનો સવાલ છે તે મુસ્લિમોને ધર્મનિરપેક્ષતાના મીઠા રસમાં બોળીને તેમની પીઠમાં ખંજર ભોંકે છે. આ પણ એક સત્ય છે.
જગદંબિકા પાલે કહ્યું કે આ બિલમાં 44 સુધારા લાવવામાં આવ્યા હતા અને જો તેઓ ઇચ્છતા હોત તો તેઓ તેને લોકસભા અને રાજ્યસભામાં બહુમતીથી પસાર કરાવી શક્યા હોત. આ JPC એ 38 બેઠકો યોજી હતી. JPC વર્ષમાં ફક્ત 24-25 બેઠકો જ યોજી શકે છે. ઓવૈસીએ બિલ ફાડવાનું કામ કર્યું છે. તેમણે જે કર્યું તે ગેરબંધારણીય હતું. આ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું સૌથી મહત્વપૂર્ણ બિલ છે.
તેમણે કહ્યું કે વકફ બોર્ડમાં ફક્ત 8 મહિલાઓ હતી, હવે દરેક વકફ બોર્ડમાં બે મહિલા સભ્યો હોવાનો આદેશ આપવામાં આવ્યો છે. સચ્ચર રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે બોર્ડમાં બિન-મુસ્લિમ સભ્યો હશે. તેને અમલમાં મૂકવા માટે કામ કર્યું. જેમ તમે સ્વામીનાથન રિપોર્ટને પડતો મૂક્યો હતો, તેમ અમારી સરકારે તેને લાગુ કરવા માટે કામ કર્યું.
રાહુલ ગાંધીએ કહ્યું, "વક્ફ (સંશોધન) બિલ મુસ્લિમોને હાંસિયામાં ધકેલી દેવા અને તેમના અંગત કાયદાઓ અને મિલકતના અધિકારો છીનવી લેવા માટે રચાયેલ એક હથિયાર છે. RSS, BJP અને તેમના સાથીઓ દ્વારા બંધારણ પરનો આ હુમલો આજે મુસ્લિમોને નિશાન બનાવીને કરવામાં આવી રહ્યો છે, પરંતુ ભવિષ્યમાં અન્ય સમુદાયોને નિશાન બનાવવા માટે એક મિસાલ સ્થાપિત કરે છે. કોંગ્રેસ પાર્ટી આ કાયદાનો સખત વિરોધ કરે છે કારણ કે તે ભારતના મૂળભૂત વિચાર પર હુમલો કરે છે અને કલમ 25, ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે."
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ ભારત સરકારનો કાયદો છે અને દરેકે તેને સ્વીકારવો પડશે. તેમણે વિપક્ષ પર આરોપ લગાવતા કહ્યું કે તેઓ સમાજમાં ભ્રમ ફેલાવી રહ્યા છે અને મુસ્લિમોને ડરાવીને તેમની વોટ બેન્ક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું, "સંદેશ સ્પષ્ટ છે કે દેશ બંધારણ દ્વારા ચાલશે. વિપક્ષે મુસ્લિમોને તેમની વોટ બેંકનું એટીએમ બનાવ્યું છે. અમે જમીન વિવાદના નામે જમીન જેહાદને મંજૂરી આપીશું નહીં. દેશમાં ફક્ત એક જ કાયદો પ્રવર્તશે. દેશમાં મુગલિયા ફરમાન ચાલશે નહીં. અનુરાગ ઠાકુરે કહ્યું, "વકફને બદલવાનો સમય આવી ગયો છે, તે અત્યાચારોનો અડ્ડો બની ગયો છે. ફરી એકવાર કોંગ્રેસ ભ્રમ ફેલાવી રહી છે. તમારે નક્કી કરવું પડશે કે તમારે વકફ સાથે રહેવું છે કે બંધારણ સાથે."





















