મમતા બેનર્જીની પાર્ટી TMCમાં ઊભો ફાડીયો પડ્યો છે અને તે બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. બળવાખોર નેતા ઋતબ્રત બેનર્જીના જૂથને ઔપચારિક માન્યતા મળી છે.
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
સ્પીકરે ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે આપી માન્યતા; પક્ષપલટા કાયદાથી બચવા બળવાખોરોએ 58 ધારાસભ્યોના હસ્તાક્ષર સાથે રજૂ કર્યો દાવો.

- પશ્ચિમ બંગાળમાં TMC માં મોટો ફાડીયો; ઋતબ્રત વિપક્ષ નેતા બન્યા.
- ઋતબ્રતને 58 ધારાસભ્યોનો ટેકો મળ્યો; નવી નેતૃત્વ ટીમ જાહેર થઈ.
- બળવાખોરોએ પક્ષપલટા કાયદાનો આંકડો પાર કર્યો, ગેરલાયકાતથી બચ્યા.
- ઋતબ્રતે મમતાને નેતા ગણાવ્યા, સકારાત્મક વિપક્ષ ભૂમિકા ભજવશે.
West Bengal TMC crisis: પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક મોટો ભૂકંપ આવ્યો છે. મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં ઊભો ફાડીયો પડ્યો છે અને પાર્ટી બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાના સ્પીકર રવિન્દ્ર નાથ બોઝે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયેલા નેતા ઋતબ્રત બેનર્જી અને તેમની સાથે જોડાયેલા 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને ઔપચારિક મંજૂરી આપી દીધી છે. આ સાથે જ ઋતબ્રત બેનર્જીને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે માન્યતા મળી ગઈ છે, જ્યારે અખરુઝમાનને મુખ્ય દંડક (ચીફ વ્હીપ) બનાવવામાં આવ્યા છે. બળવાખોર જૂથનો દાવો છે કે તેઓ જ અસલી TMC છે.
નવી નેતૃત્વ ટીમ અને ધારાસભ્યોનું સમર્થન
બંગાળ વિધાનસભામાં વિપક્ષના નવા નેતા બનેલા ઋતબ્રત બેનર્જીની આગેવાનીમાં 60 ધારાસભ્યો સ્પીકર રવિન્દ્ર નાથ બોઝને મળવા પહોંચ્યા હતા. તેમણે 58 ધારાસભ્યોના હસ્તાક્ષરવાળો સમર્થન પત્ર સ્પીકરને સોંપીને પોતાના જૂથને અસલી TMC ગણાવીને વિધાનસભા પક્ષનો દરજ્જો આપવાની માંગ કરી હતી, જેને સ્પીકરે સ્વીકારી લીધી છે. આ બળવાખોર જૂથે પોતાની નવી નેતૃત્વ ટીમ પણ જાહેર કરી છે, જેમાં ઋતબ્રત બેનર્જી નેતા રહેશે. જાવેદ ખાન, સંદીપન સાહા અને શિયુલી સાહા ઉપનેતા રહેશે, જ્યારે રઘુનાથગંજના ધારાસભ્ય અખરુઝમાનને મુખ્ય દંડક બનાવવામાં આવ્યા છે.
પક્ષપલટા કાયદાનો આંકડો પાર કર્યો
આ મોટો ખેલ ત્યારે સામે આવ્યો જ્યારે બળવાખોર ધારાસભ્યોએ 3 જૂન, 2026 ના રોજ વિધાનસભામાં પોતાની અલગ બેઠક યોજી. આ બેઠકથી મમતા બેનર્જીની નજીક ગણાતા નેતાઓ (શોભનદેવ ચટ્ટોપાધ્યાય, નયના બંદોપાધ્યાય, મદન મિત્રા અને કુણાલ ઘોષ) એકદમ દૂર રહ્યા હતા. આ પહેલાં 2 જૂન, 2026 ના રોજ મમતા બેનર્જી દ્વારા કોલકાતામાં આયોજિત વિરોધ પ્રદર્શનમાં પણ આ બળવાખોર ધારાસભ્યોમાંથી કોઈ ફરક્યું નહોતું. અત્રે નોંધનીય છે કે, પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠેરવવાથી બચવા માટે કોઈપણ બળવાખોર જૂથને કુલ ધારાસભ્યોના બે તૃતીયાંશ (2/3) બહુમતીની જરૂર પડે છે. TMC પાસે 80 ધારાસભ્યો છે, એટલે આ જાદુઈ આંકડો 54 થાય છે. ઋતબ્રત પાસે 58 ધારાસભ્યોનું લેખિત સમર્થન હોવાથી તેઓ ગેરલાયકાતથી સરળતાથી બચી ગયા છે.
આ પણ વાંચોઃ શું મમતા બેનર્જીએ આખરે હાર સ્વીકારી? સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં કર્યો ફેરફાર, જાણો શું લખ્યું?
બળવા છતાં મમતા બેનર્જી જ અમારા નેતા છે: ઋતબ્રત
નોંધનીય છે કે, વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ મમતા બેનર્જીએ ઋતબ્રત બેનર્જી અને સંદીપન સાહાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારથી જ બંગાળમાં TMC અંદર બળવો ફાટી નીકળ્યાની અટકળો તેજ બની હતી. જોકે, આટલો મોટો ખેલ કરવા છતાં ઋતબ્રત બેનર્જીએ મમતા બેનર્જીનો ખુલ્લો વિરોધ કર્યો નથી. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ વિધાનસભામાં સકારાત્મક રાજકારણ સાથે વિપક્ષની ભૂમિકા ભજવશે. તેમણે ઉમેર્યું કે, "મમતા બેનર્જી જ અમારા નેતા છે, અને અમને પૂરી આશા છે કે તેઓ આગળ પણ અમને સાચો રસ્તો બતાવતા રહેશે."
આ પણ વાંચોઃ ‘મને બરતરફ કરો, રાજીનામું તો નહીં જ આપું’, મમતા બેનર્જીએ જીદ પકડી, ધારાસભ્યોને કહ્યું - કાળા કપડા પહેરીને...
Frequently Asked Questions
પશ્ચિમ બંગાળના રાજકારણમાં શું મુખ્ય ઘટના બની છે?
પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નવા નેતા કોણ બન્યા છે?
પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયેલા નેતા ઋતબ્રત બેનર્જીને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે માન્યતા મળી છે. તેમની આગેવાની હેઠળ 58 બળવાખોર ધારાસભ્યોનું જૂથ છે.
ઋતબ્રત બેનર્જીના બળવાખોર જૂથને કેટલા ધારાસભ્યોનું સમર્થન છે?
ઋતબ્રત બેનર્જીના જૂથને 58 ધારાસભ્યોનું લેખિત સમર્થન છે. આ સંખ્યા પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયકાતથી બચવા માટે પૂરતી છે.
બળવા છતાં ઋતબ્રત બેનર્જીનું મમતા બેનર્જી વિશે શું કહેવું છે?
ઋતબ્રત બેનર્જીએ સ્પષ્ટ કર્યું છે કે મમતા બેનર્જી જ તેમના નેતા છે. તેઓ વિધાનસભામાં સકારાત્મક રાજકારણ સાથે વિપક્ષની ભૂમિકા ભજવશે.






















