Rajkot Coronavirus: કોરોનાના કેસ વધતા વીરપુરનું જલારામ મંદિર ક્યાં સુધી બંધ રાખવાનો કરાયો નિર્ણય ?
સંક્રમણ વધુ ન ફેલાય તે માટે મંદિરના ગાદીપતિ રઘુરામબાપાએ નિર્ણય લીધો છે અને આવતીકાલથી ભક્તો માટે મંદિરના દ્વાર બંધ કરવામાં આવશે.

રાજકોટ: કોરોના વાયરસનું સંક્રમણ રાજ્યમાં ખૂબજ ચિંતાજનક વધી રહ્યું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં સંક્રમણ વધતા વીરપુર (Virpur)નું સુપ્રસિદ્ધ યાત્રા ધામ જલારામ મંદિર (Jalaram Temple) દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. જલારામ મંદિર અગિયાર એપ્રિલથી 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. મંદિરની સાથે અન્નક્ષેત્ર પણ 30 એપ્રિલ સુધી બંધ રહેશે. કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે મંદિરના ગાદીપતિ રઘુરામબાપાએ નિર્ણય લીધો છે અને આવતીકાલથી ભક્તો માટે મંદિરના દ્વાર બંધ કરવામાં આવશે.
આ સિવાય રાજકોટ (Rajkot) સતત વધતા કોરોનાના કેસ ને લઈને કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર પણ બંધ રાખવાનો સંતો દ્વારા નિર્ણય લેવાયો છે. બીએપીએસ સંસ્થા દ્વારા આગામી તારીખ 30 એપ્રિલ સુધી મંદિર ભક્તો માટે બંધ રહેશે.
આ પહેલા સૌરાષ્ટ્રના બીજા નંબરના યાર્ડમાં સપ્તાહમાં ત્રણ દિવસ બેડીયાર્ડ બંધ રાખવાનો સત્તાધીશો દ્વારા નિર્ણય કરાયો છે. દર સપ્તાહના શુક્ર શનિ અને રવિવારે રહેશે બેડીયાર્ડ બંધ રહેશે. કોરોનાના વધતા કેસોને પગલે યાર્ડ દ્રારા નિણર્ય લેવાયો છે. શાકભાજી માર્કેટ ચાલુ રહેશે..કેમકે અહીંથી સૌરાષ્ટ્રભરમાં શાકભાજી જાય છે. જ્યાં સુધી કોરોનાનું સંક્રમણ ન ઘટે ત્યાં સુધી બેડી યાર્ડમાં સપ્તાહના ત્રણ દિવસ બંધ રહેશે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
રાજ્યમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડ બ્રેક નવા કેસ નોંધાઈ રહ્યાં છે. ત્યારે રાજ્યમાં સતત બીજીવાર કોરોનાના કેસનો આંકડો ચાર હજારને પાર પહોંચી ગયો છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 4541 નવા કેસ નોંધાયા જ્યારે વધુ 42નાં મૃત્યુ થયા છે.
ગુજરાતમાં છેલ્લા 9 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
| તારીખ | નોંધાયેલા કેસ | મોત |
| 9 એપ્રિલ | 4541 | 42 |
| 8 એપ્રિલ | 4021 | 35 |
| 7 એપ્રિલ | 3575 | 22 |
| 6 એપ્રિલ | 3280 | 17 |
| 5 એપ્રિલ | 3160 | 15 |
| 4 એપ્રિલ | 2875 | 14 |
| 3 એપ્રિલ | 2815 | 13 |
| 2 એપ્રિલ | 2640 | 11 |
| 1 એપ્રિલ | 2410 | 9 |
| કુલ કેસ અને મોત | 29,371 | 178 |
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 76,30,525 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 9,84,583 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 86,15,108 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.





















