Crime News: સુરતમાં ચાર બહેનો વચ્ચે એકના એક ભાઇની હત્યાથી જનાક્રોશ, સ્થાનિકોએ કર્યો પોલીસ સ્ટેશનનો ઘેરાવ
સુરતમાં સગીરની હત્યાને લઇને મૃતકના પરિવારજનો અને સ્થાનિકોમાં જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે

સુરતમાં સગીરની હત્યાને લઇને મૃતકના પરિવારજનો અને સ્થાનિકોમાં જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે. મળતી જાણકારી અનુસાર, સુરતમાં આરોપી પ્રભુ શેટ્ટી નામના શખ્સે 17 વર્ષીય પરેશની ગઇ કાલે હત્યા કરી હતી. આ હત્યાને લઇને કાપોદ્રા પોલીસ સ્ટેશન બહાર મહિલાઓએ મોરચો માંડ્યો હતો. હીરાની ઓફિસમાં કામ કરનાર પરેશની હત્યાથી હડકંપ મચી ગયો હતો. ગઈકાલે રાત્રે પણ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો.
સગીરના પરિવારે આરોપ લગાવ્યો હતો કે હત્યારો પ્રભુ શેટ્ટીએ નશો કર્યો હતો. ગઈકાલ રાત્રે જ પ્રભુ શેટ્ટીની પોલીસે ધરપકડ કરી હતી. પ્રભુ શેટ્ટી પર રાત્રે 8 વાગ્યે છરીના ઘા ઝીંકી હત્યા કરવાનો આરોપ છે. ચાર બહેનો વચ્ચે એકના એક ભાઈની હત્યાથી લોકોમા આક્રોશ જોવા મળ્યો હતો. મૃતક પરેશના પિતા ફ્રૂટની લારી ચલાવે છે. આરોપીને ફાંસીની સજાની માંગ સાથે સ્થાનિકોએ મોરચો માંડ્યો હતો. પોલીસ નક્કર કાર્યવાહી ન કરતી હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં રાત્રે હીરાના કારખાનેથી છૂટીને ઘર તરફ જતા રત્નકલાકાર પરેશ પાસે એક ઈસમે નશા માટે રૂપિયાની માંગણી કરી હતી પરંતુ પરેશ પાસે ભાડાના 10 રૂપિયા હોવાથી નશા માટે પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો. જેનાથી ગુસ્સે થઇને આરોપી પ્રભુ રવિરામ શેટ્ટીએ ચપ્પુ મારી પરેશની હત્યા કરી દેતા સમગ્ર કાપોદ્રા પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાને કારણે લોકોમાં આક્રોશ ફેલાતા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરાતા પરિસ્થિતિ મોડી રાત્રે તંગ બની હતી. પાંચ પોલીસ સ્ટેશનની પોલીસને બોલાવી લેવામાં આવી હતી.
મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના માલસીકા ગામના વતની અને હાલ કાપોદ્રા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના નગરમાં અરવિંદભાઈ વાઘેલા પરિવાર સાથે રહે છે. અરવિંદભાઈને સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર પરેશ (ઉ.વ.17) છે. અરવિંદભાઈ ફ્રુટની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. અરવિંદભાઈનો પુત્ર પરેશ હીરાના કારખાનામાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. રાત્રે પરેશ હીરાના કારખાનેથી છૂટીને પરત ઘરે આવી રહ્યો હતો. દરમિયાન પરેશ શેરીમાંથી પસાર થતો હતો ત્યારે આરોપી પ્રભુ શેટ્ટી તેની પાસે આવી નશા માટે પૈસાની માંગણી કરી હતી. દરમિયાન પરેશે કહ્યું હતું કે મારી પાસે ભાડાના દસ રૂપિયા છે. નશો કરવાના પૈસા નથી તેમ કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
પ્રભુએ આવેશમાં આવી તેની પાસે રહેલ ચપ્પુથી પરેશને પેટના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા. જેથી પરેશને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે સ્થાનિક કાપોદ્રા પોલીસને જાણ થતા ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસ કાફલો પહોંચ્યો હતો. પોલીસે મૃતક પરેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં પોલીસે ગણતરીની મિનિટોમાં હત્યારા આરોપી પ્રભુ રવિરામ શેટ્ટીની ધરપકડ કરી કરી હતી. મૃતકના પરિવારજનો સહિત સમાજના લોકોએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ઘેરાવો કર્યો હતો. 500થી વધુ લોકોએ પોલીસ સ્ટેશનના રસ્તાને બંધ કરીને ન્યાયની માંગણી કરી હતી.





















